ઇરાન સાથે સમજૂતીની કોઇ ઉતાવળ નથી, હોર્મુઝની નાકાબંધી નહીં હટાવીએ : ટ્રમ્પ

- અમેરિકી પ્રમુખ સવારે સંમત થયા અને સાંજે ફેરવી તોળતાં ડીલ ડામાડોળ !
- ઇરાન સાથે વાટાઘાટો સારી રહી પરંતુ અમે તેને પરમાણુ હથિયારો નહીં બનાવવા દઇએ તે વાત સમજી લે : અમેરિકી પ્રમુખ
- ઇરાન 60 દિવસમાં યુરેનિયમનો નિકાલ કરવા અને ૩૦ દિવસમાં હોર્મુઝ ખોલવા સંમત પણ ટ્રમ્પ-નેતન્યાહુ પાછીપાની કરવા તૈયાર નથી
વોશિંગ્ટન: ઇરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી, જેના પર સમગ્ર વિશ્વની નજર હતી, જોકે અમેરિકા અને ઇઝરાયેલ બન્ને પરમાણુ હથિયારો પર અટક્યા છે જેને પગલે હાલ કોઇ જ નિરાકરણ નથી આવ્યું. ઇઝરાયેલે માગ કરી છે કે ઇરાનમાં પરમાણુ યુરેનિયમનું ઉત્પાદન બંધ થવું જોઇએ, હાલ જે પ્લાન્ટ ચાલી રહ્યા છે તેને હટાવવામાં આવે અને ઇરાન એક પરમાણુ ખતરો નથી તેવી ખાતરી થાય પછી જ તેની સાથે સમજૂતી થશે, ઇઝરાયેલની આ શરત સાથે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સંમત થયા છે. જેને પગલે હાલ હોર્મુઝ ખાડી તાત્કાલીક ખુલે તેવા કોઇ અણસાર નથી.
ઇરાન પાસે એક પણ પરમાણુ બોમ્બ ના હોવો જોઇએ યુરેનિયમનો નાશ કરે અને પ્લાન્ટ બંધ કરે ઃ નેતન્યાહુ
ઇરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચે ઘર્ષણને પગલે ઇરાને હોર્મુઝ ખાડી બંધ કરી દીધી છે, બાદમાં અમેરિકાએ પણ પોતાની રીતે ઘાડીમાં વ્યવહાર ઠપ કરી દીધો હતો, જેની અસર ભારત સહિત અનેક દેશો પર થઇ રહી છે. એવામાં રવિવારે એવા અહેવાલો સામે આવ્યા હતા કે આ સમગ્ર વિવાદ પર પૂર્ણ વિરામ મુકાઇ શકે છે અને વધુ ૬૦ દિવસ સુધી શસ્ત્ર વિરામ જાહેર કરવામાં આવી શકે છે.
ઇરાન પણ ૩૦ દિવસમાં હોર્મુઝ પર જહાજોની અવર જવર સામાન્ય કરવા માટે તૈયાર થઇ ગયું હતું. જોકે રવિવારે સાંજે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ બધી આશાઓ પર પાણી ફેરવી નાખે તેવી જાહેરાત કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે ઇરાન સાથે સમજૂતી માટેના અમારા પ્રતિનિધિઓને મે હાલ થોભી જવા માટે કહ્યું છે, હાલ અમેરિકાને આ મુદ્દે કોઇ જ ઉતાવળ નથી, આ સાથે જ ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે આ અમારો સમય છે, હોર્મુઝ ખાડીમાંથી અમારા સુરક્ષાદળોને હાલ નહીં હટાવીએ.
જ્યારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ કહ્યું હતું કે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ અને હું બન્ને એ વાત સાથે સંમત છીએ કે ઇરાન પરમાણુ હથિયારોનું ઉત્પાદન નહીં કરી શકે, જ્યાંસુધી ઇરાન અમારા માટે એક પરમાણુ ખતરો રહેશે ત્યાંસુધી કોઇ જ સમજૂતી શક્ય નથી. ઇઝરાયેલ અને અમેરિકા બન્નેની પોલિસી એક સરખી છે, ઇરાન પાસે કોઇ જ પરમાણુ હથિયાર ના હોવા જોઇએ. તેનો અર્થ એ થયો કે ઇરાને પરમાણુ હથિયારોનો નાશ કરવો પડશે સાથે જ જે પણ પરમાણુ ઉત્સર્જન પ્લાન્ટ છે તેને પણ કાયમ માટે બંધ કરવા પડશે. અહેવાલો મુજબ, ઈરાન પાસે હાલમાં શો બનાવવા માટે જરૂરી ક્ષમતાની ખૂબ નજીકનું ૪૪૦.૯ કિલોગ્રામ યુરેનિયમ છે. સંભવિત કરાર હેઠળ, ઈરાન આ જથ્થો છોડવા સંમત થયું હતું અને આગામી ૬૦ દિવસની અંદર આ યુરેનિયમને રશિયા જેવા ત્રીજા દેશમાં મોકલવા સમંત થયું હતું.









