Get The App

હોર્મુઝમાં ઈરાનની પકડ નબળી? ભારતનું જહાજ નવા રસ્તેથી સુરક્ષિત પસાર, જાણો શું છે મામલો

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News
Google News
હોર્મુઝમાં ઈરાનની પકડ નબળી? ભારતનું જહાજ નવા રસ્તેથી સુરક્ષિત પસાર, જાણો શું છે મામલો 1 - image


Global Shipping: વૈશ્વિક એનર્જી સપ્લાય માટે અત્યંત મહત્ત્વના ગણાતા સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઈરાન દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો અને તેના ટોલ બૂથ જેવા નવા રૂટને બાયપાસ કરીને કોમર્શિયલ જહાજો માટે એક નવો સુરક્ષિત રસ્તો ખૂલ્યો હોય તેમ જણાય છે.

શું છે આ નવો રૂટ?

રિમોટ સેન્સિંગ ડેટા દર્શાવે છે કે ઓઇલ, LNG અને કાર્ગો લઈ જતાં ઓછામાં ઓછા ચાર મોટા જહાજોએ આંતરરાષ્ટ્રીય જળસીમા ટાળીને ઓમાનની પ્રાદેશિક જળસીમાનો ઉપયોગ કર્યો છે. આ માર્ગ ઈરાન દ્વારા સ્થાપિત કરવામાં આવેલા વિવાદાસ્પદ રૂટ કરતાં અલગ છે.

હોર્મુઝમાં ઈરાનની પકડ નબળી? ભારતનું જહાજ નવા રસ્તેથી સુરક્ષિત પસાર, જાણો શું છે મામલો 2 - image

કયા જહાજો પસાર થયા?

માર્શલ આઇલૅન્ડ્સના ધ્વજવાળા બે ક્રૂડ કેરિયર હબરુત અને ધલકુત તેમજ પનામાના ધ્વજવાળું સોહર LNG જહાજ આ નવા માર્ગે સફળતાપૂર્વક પસાર થયા છે. આ ત્રણ જહાજોની પાછળ એક ભારતીય ધ્વજ ધરાવતું કાર્ગો જહાજ MSV કુબા MNV 2183 પણ જોવા મળ્યું હતું, જે દુબઈથી રવાના થયું હતું.

ઈરાનનું ટોલ બૂથ અને બ્લોકેડ

ફેબ્રુઆરીમાં અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ ઈરાને વળતી કાર્યવાહીમાં મિસાઇલ અને ડ્રોન હુમલા શરૂ કર્યા હતા. ઈરાને જહાજો પર નિયંત્રણ રાખવા માટે એક લાંબો અને અઘરો રૂટ બનાવ્યો હતો. જે તેના નૌકા મથકો પાસેથી પસાર થાય છે. અહેવાલો મુજબ, ઈરાન અહીંથી પસાર થતાં જહાજો પાસેથી પ્રતિ બેરલ 1 ડૉલરનો ટોલ વસૂલી રહ્યું હોવાનું પણ સામે આવ્યું છે.

IRGCના બેઝ પર આગ અને નવી સ્થિતિ

આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ(IRGC)ના કેશમ ટાપુ પર આવેલા મુખ્ય નૌકા મથક પર ભીષણ આગ લાગી છે. માનવામાં આવે છે કે, હવાઈ હુમલામાં સુવિધાના ચાર વેરહાઉસ નષ્ટ થયા છે, જેને કારણે ઈરાનની દેખરેખ રાખવાની ક્ષમતા પર અસર પડી હોઈ શકે છે.

હોર્મુઝમાં ઈરાનની પકડ નબળી? ભારતનું જહાજ નવા રસ્તેથી સુરક્ષિત પસાર, જાણો શું છે મામલો 3 - image

શા માટે આ મહત્ત્વનું છે?

વૈશ્વિક ઉર્જા પુરવઠાનો લગભગ પાંચમો ભાગ આ સાંકડી સમુદ્રધુનીમાંથી પસાર થાય છે. ઈરાનના બ્લોકેડને કારણે ભારત સહિત અનેક દેશોમાં તેલ પુરવઠા પર અસર પડી હતી. હવે ઓમાનના રસ્તેથી જહાજોની અવરજવર શરૂ થતાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘટવાની અને સુરક્ષા વધવાની આશા છે.