World

ઈરાન વિરુદ્ધ નવો મોરચો? ખામેનેઈની અંતિમ વિદાયમાં સામેલ ન થયા આ 3 મુસ્લિમ દેશો

By GS Team
6 Jul 20262 mins read
TukuTouch Logo
ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર તેહરાનમાં યોજાયા હતા. ભારત, ચીન, રશિયા, પાકિસ્તાન સહિત અનેક દેશોના પ્રતિનિધિઓ હાજર રહ્યા, પરંતુ UAE, બહેરીન અને કુવૈત ગેરહાજર રહ્યા. ઈરાનના ડ્રોન હુમલા અને રાષ્ટ્રીય હિતોના ટકરાવને કારણે આ દેશોએ અંતર રાખ્યું. સાઉદી અરેબિયાએ પ્રતિનિધિમંડળ મોકલી ઈરાન સાથે તણાવ ઘટાડવાનો સંકેત આપ્યો. આ ઘટનાએ GCCમાં તિરાડ અને રાષ્ટ્રીય હિતોની પ્રાથમિકતા દર્શાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન વિરુદ્ધ નવો મોરચો? ખામેનેઈની અંતિમ વિદાયમાં સામેલ ન થયા આ 3 મુસ્લિમ દેશો

Middle East Geopolitics Sovereign Interest vs Religion: ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર વખતે તેહરાનમાં ઇસ્લામિક દેશોની એકતા બતાવવાનો મોટો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભારત, ચીન, રશિયા અને પાકિસ્તાન સહિત વિશ્વના અનેક દેશોના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓ આ જનાજામાં સામેલ થયા હતા. પરંતુ આ ભીડ વચ્ચે ખાડી ક્ષેત્ર (ગલ્ફ) અને મુસ્લિમ સંગઠન 'GCC'(ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ)ના ત્રણ શક્તિશાળી દેશોની ગેરહાજરી સૌથી વધુ ચર્ચાનો વિષય બની છે. આ ત્રણ કટ્ટર મુસ્લિમ દેશો હતા- સંયુક્ત આરબ અમીરાત (UAE), બહેરીન અને કુવૈત.

ત્રણ કટ્ટર મુસ્લિમ દેશોએ કેમ અંતર રાખ્યું?

વિશુદ્ધ ઈસ્લામિક દેશ હોવા છતાં UAE, બહેરીન અને કુવૈતે આયતુલ્લા અલી ખામેનેઈને અંતિમ વિદાય આપવા માટે પોતાના પ્રતિનિધિ મંડળ મોકલ્યા નહોતા. આ પાછળ ગલ્ફ ક્ષેત્રની જટિલ કૂટનીતિ અને ઈરાન પ્રત્યેની નારાજગી જવાબદાર છે.
ઈરાની ડ્રોન હુમલાની નારાજગી: તાજેતરના ઈરાન-અમેરિકા-ઈઝરાયલ યુદ્ધ દરમિયાન ઈરાને આ દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો અને વ્યૂહાત્મક સ્થાનો પર પોતાના શાહેદ ડ્રોન વડે ભારે તબાહી મચાવી હતી.
રાષ્ટ્રીય હિત અને વિચારધારાનો ટકરાવ: જો UAE ઈરાન સમક્ષ ઝૂકીને પોતાના દૂત મોકલત, તો તેની ઘરેલું સુન્ની વસ્તીમાં ખોટો સંદેશ જાત કે તેઓ શિયા બહુલ ઈરાન સામે ઝૂકી ગયા છે. વળી, UAE હવે "સુરક્ષા પહેલાં"ની નીતિ હેઠળ અમેરિકા અને ઈઝરાયલ સાથે સૈન્ય ગઠબંધન મજબૂત કરી રહ્યું છે.
આંતરિક હસ્તક્ષેપ: બહેરીન શિયા બહુલ દેશ હોવા છતાં ત્યાં સુન્ની અલ ખલીફા પરિવારનું શાસન છે, તેથી તે ઈરાન પર આંતરિક મામલામાં દખલગીરીનો આરોપ લગાવતું રહ્યું છે. કુવૈતે પણ અમેરિકા સાથેની સુરક્ષા ભાગીદારીને કારણે તેહરાનથી અંતર રાખ્યું.

અપમાન અને હુમલા ભૂલીને સાઉદી કેમ પહોંચ્યું?

ચોંકાવનારી બાબત એ રહી કે ઈરાન સાથે સૌથી જૂની દુશ્મની ધરાવતા અને કટ્ટર સુન્ની રાષ્ટ્ર ગણાતા સાઉદી અરેબિયાએ પોતાના નાયબ વિદેશ મંત્રી વલીદ અલ ખુરૈજીના નેતૃત્વમાં એક ડેલિગેશન તેહરાન મોકલ્યું હતું. ઈરાને યુદ્ધમાં સાઉદી પર પણ બોમ્બમારો કર્યો હોવા છતાં, સાઉદીનું જનાજામાં સામેલ થવું એ દર્શાવે છે કે રિયાદ હવે અમેરિકાની નારાજગી વહોરીને પણ ઈરાન સાથે તણાવ ઓછો કરવા અને 'સંવાદ'ની સ્વતંત્ર વિદેશ નીતિ અપનાવવા માગે છે. આ ઉપરાંત, કતાર અને ઓમાને પણ પોતાના પ્રતિનિધિઓ મોકલ્યા હતા. કતાર હાલ આ ક્ષેત્રમાં મધ્યસ્થની ભૂમિકા ભજવી રહ્યું છે જ્યારે ઓમાન પરંપરાગત રીતે પશ્ચિમી દેશો અને ઈરાન વચ્ચે સેતુનું કામ કરે છે.

GCCમાં સ્પષ્ટ ભંગાણ

આ ઘટનાએ ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ(GCC)ની અંદરની તિરાડ અને સાઉદી અરેબિયા તથા UAE વચ્ચેની છૂપી સ્પર્ધાને જગજાહેર કરી દીધી છે. તાજેતરમાં જ સાઉદીએ પણ UAEના ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા. ટૂંકમાં, ગલ્ફની રાજનીતિ હવે 'મઝહબ'(ધર્મ)ના નામે એક થવાને બદલે પોતપોતાના 'રાષ્ટ્રીય હિતો' અને ગઠબંધનોના આધારે ચાલી રહી છે, જેના કારણે ખામેનેઈનો જનાજો મુસ્લિમ એકતાનું પ્રતીક બનવામાં નિષ્ફળ રહ્યો.