Get The App

ટ્રમ્પની ધમકી બાદ ધ્રુજી ઉઠ્યું ઈરાન! 'પાવર સેન્ટર' પર ઈઝરાયલનો હુમલો, અનેક બિલ્ડિંગો ધ્વસ્ત

Updated: Mar 1st, 2026

GS TEAM

Google News
Google News
ટ્રમ્પની ધમકી બાદ ધ્રુજી ઉઠ્યું ઈરાન! 'પાવર સેન્ટર' પર ઈઝરાયલનો હુમલો, અનેક બિલ્ડિંગો ધ્વસ્ત 1 - image

US-Israel Attacks On Iran : અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત સૈન્ય અભિયાનમાં ઈરાનમાં ભયાનક તબાહી સર્જાઈ છે. ઈઝરાયલી સેનાએ પ્રથમ વખત ઈરાનની રાજધાની તેહરાનના મધ્ય ભાગ એટલે કે 'તેહરાનના હાર્દ' પર સીધો હુમલો કર્યો છે. આ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામનેઈ ઉપરાંત આર્મી ચીફ ઓફ સ્ટાફ, સંરક્ષણ મંત્રી, રિવોલ્યુશનરી ગાર્ડના વડા અને ખામનેઈના ટોચના સુરક્ષા સલાહકાર પણ માર્યા ગયા હોવાની પુષ્ટિ થઈ છે.

તેહરાનમાં 7 સ્થળોએ વિસ્ફોટ, સરકારી ઈમારતો ધરાશાયી

શનિવારથી શરૂ થયેલા આ હુમલાઓમાં તેહરાન એરપોર્ટ સહિત શહેરના મધ્ય ભાગમાં આવેલી સાત મહત્વની જગ્યાઓને નિશાના બનાવવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં બે મોટી સરકારી ઈમારતો સંપૂર્ણપણે નાશ પામેલી દેખાય છે. ઈઝરાયલી સેનાના દાવા મુજબ, આ હુમલાઓ ઈરાનના વહીવટી અને વ્યૂહાત્મક માળખાને તોડી પાડવા માટે કરવામાં આવ્યા છે. વિસ્ફોટ એટલા પ્રચંડ હતા કે સમગ્ર શહેરમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા અને પોલીસ હેડક્વાર્ટર તેમજ સરકારી ટેલિવિઝન ઓફિસ પાસે ભારે નુકસાન થયું છે.

‘વળતો પ્રહાર કર્યો તો...’ ટ્રમ્પની ચેતવણી

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ કાર્યવાહી બાદ સોશિયલ મીડિયા પર ઈરાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. ટ્રમ્પે લખ્યું છે કે, ‘જો ઈરાને હવે કોઈપણ પ્રકારની વળતી કાર્યવાહી કે તણાવ વધારવાનો પ્રયાસ કર્યો, તો અમે એવી શક્તિથી જવાબ આપીશું જે વિશ્વએ પહેલા ક્યારેય જોઈ નથી. આ હુમલાઓ પાછળનો હેતુ ઈરાનનું શાસન બદલવાનો અને પરમાણુ કાર્યક્રમને રોકવાનો છે.’

ઈરાનનું વળતું મિસાઈલ આક્રમણ અને ખાડી દેશોમાં તણાવ

ખામનેઈના મોત બાદ ઈરાને બદલો લેવા ખાડીના અનેક દેશો પર મિસાઈલો છોડી છે. બહેરીન, કતાર, ઓમાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના દુબઈ અને અબુધાબી જેવા શહેરો ઈરાની મિસાઈલોની ઝપેટમાં આવ્યા છે. દુબઈ એરપોર્ટ અને બુર્જ અલ અરબ હોટલને પણ નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલ છે, જેના કારણે સમગ્ર ગલ્ફ રિજનમાં હવાઈ માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે.

અંતરિમ નેતૃત્વ પરિષદ નેતૃત્વ સંભાળશે

ઈરાનના વરિષ્ઠ અધિકારી અલી લારીજાનીએ જણાવ્યું છે કે સંવિધાનની કલમ 110 મુજબ હવે દેશના રાષ્ટ્રપ્રમુખ, ન્યાયતંત્રના વડા અને બંધારણીય પરિષદના સભ્યો મળીને કામચલાઉ નેતૃત્વ સંભાળશે. દેશમાં અરાજકતા ઉભી ન થાય તે માટે અંતરિમ નેતૃત્વ પરિષદ બનાવવાની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો : ‘ભાનમાં આવો, તમારું યુદ્ધ પડોશીઓ સાથે નથી’, દુબઈ પર હુમલા બાદ ભડક્યું UAE

આ પણ વાંચો : VIDEO: દુબઈની વર્લ્ડ ફેમસ બુર્જ અલ અરબ હોટલ પર ઈરાને કર્યો હતો હુમલો, જ્યાં રોકાય છે દુનિયાભરના અમીરો