Get The App

ઈરાન યુદ્ધ વચ્ચે લેબનોનમાં વર્ષો જૂની ઈચ્છા પૂરી કરવાની તૈયારીમાં ઈઝરાયલ? ચારે તરફથી હુમલા શરૂ

Updated: Mar 24th, 2026

GS TEAM

Google News
Google News
ઈરાન યુદ્ધ વચ્ચે લેબનોનમાં વર્ષો જૂની ઈચ્છા પૂરી કરવાની તૈયારીમાં ઈઝરાયલ? ચારે તરફથી હુમલા શરૂ 1 - image
 AI IMAGE

Iran America War : મિડિલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઈઝરાયલના નાણામંત્રી બેઝાલેલ સ્મોટ્રિચે એક અત્યંત વિવાદાસ્પદ અને મોટું નિવેદન આપ્યું છે. સ્મોટ્રિચે જણાવ્યું છે કે ઈઝરાયલે પોતાની સત્તાવાર સરહદ હવે લેબનાનની લિટાની નદી સુધી લંબાવવી જોઈએ. કોઈ મોટા ઈઝરાયલી નેતા દ્વારા લેબનાનની જમીન પર કબજો કરવા અંગેનું આ અત્યાર સુધીનું સૌથી સ્પષ્ટ નિવેદન માનવામાં આવે છે.

લિટાની નદી સુધી જ કેમ?

લિટાની નદી દક્ષિણ લેબનાનમાં આવેલી છે. ઈઝરાયલનું કહેવું છે કે આ વિસ્તાર ઈરાન સમર્થિત હિઝબુલ્લાહનો ગઢ છે અને ત્યાંથી જ ઈઝરાયલ પર રોકેટ હુમલા કરવામાં આવે છે. સ્મોટ્રિચે રેડિયો પર આપેલા નિવેદનમાં ભારપૂર્વક કહ્યું કે, "દરેક ચર્ચામાં હું એ જ કહું છું કે ઈઝરાયલની નવી સરહદ લિટાની નદી હોવી જોઈએ."

યુદ્ધની વર્તમાન સ્થિતિ

ઈઝરાયલી હવાઈ અને જમીની હુમલામાં અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોના મોત થયા છે. 10 લાખથી વધુ લોકોએ પોતાના ઘર છોડવા પડ્યા છે. સોમવારે બેરુતના દાહિયા વિસ્તારમાં થયેલા હુમલામાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સના કુદ્સ ફોર્સના એક કમાન્ડરનું પણ મોત થયું છે.

આ પણ વાંચો : IPL માટે BCCIના 7 નવા નિયમો: ખેલાડીઓ પરિવાર કે મિત્રોને સાથે રાખી મુસાફરી નહીં કરી શકે

લિટાની નદી પરના પુલોનો નાશ

ઈઝરાયલે રણનીતિ હેઠળ લિટાની નદી પરના તમામ મોટા પુલો અને રસ્તાઓનો નાશ કર્યો છે. આનો હેતુ દક્ષિણ લેબનાનનો ઉત્તર લેબનાન સાથેનો સંપર્ક તોડવાનો છે. સ્થાનિક મેયર હન્ના અમીલના જણાવ્યા અનુસાર, હવે તે વિસ્તારમાં વીજળી, પાણી અને ડીઝલની ભારે અછત સર્જાઈ છે અને જીવનજરૂરી ચીજો માટે લેબનાની સેનાના કાફલા પર નિર્ભર રહેવું પડે છે.

લેબનાનનો ઈતિહાસ અને હાલની પહેલ

ઈઝરાયલે અગાઉ 1982 થી 2000 સુધી દક્ષિણ લેબનાન પર કબજો રાખ્યો હતો. લેબનાન સરકાર હવે આ જૂના દર્દને યાદ કરી રહી છે. જોકે, વર્તમાન સ્થિતિમાં લેબનાનના રાષ્ટ્રપતિ જોસેફ ઔન સીધી વાતચીતનો પ્રસ્તાવ આપ્યો છે અને હિઝબુલ્લાહની ગતિવિધિઓ પર રોક લગાવી છે. લેબનાન ઈચ્છે છે કે વિદેશી દેશો દબાણ લાવીને આ યુદ્ધને અટકાવે.

આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા

યુએન (UN) ના માનવાધિકાર પ્રમુખે ઈઝરાયલની કાર્યવાહીની ટીકા કરી છે. આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ નાગરિક ઇમારતો અને પુલો પર હુમલો કરવો ગુનો છે. પરંતુ ઈઝરાયલનો દાવો છે કે તેઓ માત્ર હિઝબુલ્લાહના ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યા છે અને નાગરિકોને બચાવવા માટે જ સ્થળાંતરના આદેશ આપી રહ્યા છે.