Israel Lebanon Conflict: મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની મધ્યસ્થતામાં ઇઝરાયલ અને લેબનાન વચ્ચે સીધી વાતચીતનો દોર શરૂ થયો છે. વૉશિંગ્ટનમાં બંને દેશોના રાજદૂતો વચ્ચે ફોન પર વાતચીત થઈ છે. જે બાદ હવે 14 એપ્રિલે સામસામે બેઠક યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાજદ્વારી સંબંધો ન ધરાવતા આ બંને દેશો વચ્ચેની આ મુલાકાત શાંતિ સ્થાપવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
લેબનાનના રાષ્ટ્રપતિ કાર્યાલયનું નિવેદન
લેબનાનના રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી આવેલા નિવેદન અનુસાર, અમેરિકાએ આ ટેલિફોનિક વાતચીતનું આયોજન કર્યું હતું. જેમાં લેબનાનમાં અમેરિકી રાજદૂત પણ સહભાગી થયા હતા. આગામી મંગળવાર, 14 એપ્રિલે વૉશિંગ્ટનમાં અમેરિકી વિદેશ વિભાગ ખાતે બંને પક્ષો વચ્ચે ઔપચારિક બેઠક યોજાશે. આ બેઠક અમેરિકાના સીઝફાયર પ્લાનનો જ એક ભાગ છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય બોર્ડર પર વધેલા તણાવને ઘટાડવાનો અને યુદ્ધવિરામ અંગે કોઈ ચોક્કસ નિર્ણય લેવાનો છે.
આ પણ વાંચો: હોર્મુઝમાં નવું સંકટ પેદા થયું, ઈરાન ઈચ્છે તો પણ ન ખોલી શકે, જહાજો ડૂબવાનું ખતરો વધ્યો
નોંધનીય છે કે, એક તરફ વાટાઘાટોની તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ ઇઝરાયલના લેબનાન પર હુમલા સતત ચાલુ છે. લેબનાની અધિકારીઓના જણાવ્યા મુજબ, ઇઝરાયલી હુમલાઓમાં અત્યાર સુધીમાં આશરે 2,000 લોકોના મોત થયા છે અને 6,300થી વધુ લોકો ઘાયલ થયા છે. બુધવારે થયેલા સીઝફાયર બાદ પણ ઇઝરાયલે બોમ્બમારો ચાલુ રાખતા 357 લોકોના જીવ ગયા હોવાના અહેવાલ છે.
ઇઝરાયલ સીઝફાયરમાં લેબનાનને નથી ગણતું
ઇઝરાયલનું વલણ એવું છે કે સીઝફાયરમાં લેબનાનનો સમાવેશ થતો નથી, જ્યારે ઈરાનનો દાવો છે કે લેબનાન પણ આ શાંતિ પ્રક્રિયાનો હિસ્સો છે. ઈરાને ચેતવણી આપી છે કે જો લેબનાન પર હુમલા ચાલુ રહેશે તો શાંતિ વાટાઘાટો જોખમમાં મુકાઈ શકે છે. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે તમામની નજર 14 એપ્રિલની બેઠક પર ટકેલી છે કે શું આ મંત્રણા હિંસાનો અંત લાવવામાં સફળ રહેશે કે કેમ.


