- પ્રાપ્ય અહેવાલો પ્રમાણે પેઝેશ્કીયાને કહ્યું : વર્તમાન પરિસ્થિતિમાં ન તો હું સરકાર ચલાવી શકતો કે ન તો મારી જવાબદારી નિભાવી શકતો
તહેરાન, નવી દિલ્હી : ઇરાન- અમેરિકા વચ્ચે શાંતિ-મંત્રણા ફરી અટકી છે બંને વચ્ચે સમજૂતી સધાવાની સંભાવના ઓસરી રહી છે. અમેરિકા શર્તો કઠોર અને કઠોર બનાવી રહ્યું છે. તેથી ઇરાન ભડકી ઉઠયું છે. આ બધા વચ્ચે ઇરાનના ટોચના નેતૃત્વમાં આંતરિક મતભેદો વધી રહ્યા હોવાના સમાચારો સતત વધી રહ્યા છે.
તાજેતરમાં મળતા અહેવાલો મુજબ ઇરાનના પ્રમુખ પેઝેશ્કીયાને પોતનું ત્યાગપત્ર આપવા તૈયારી દર્શાવી છે. તેનું કારણ તેમની અને ઇરાન રીવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઇ.આર.જી.સી.) વચ્ચે વધી રહેલા મતભેદો હોવાનું કહેવાય છે.
લંડન સ્થિત મીડીયા આઉટલેટ 'ઇરાન- ઇન્ટરનેશનલ'ના એક વિસ્ફોટક રીપોર્ટ મુજબ પ્રમુખ પેઝેશ્કીયાને રવિવારે ઇરાનના સુપ્રીમ લીડર માજનબા ખોમેનેઇના કાર્યાલયને પોતાનું ત્યાગપત્ર આપી દીધું છે.
સૂત્રો જણાવે છે કે, પેઝેશ્કીયાને આક્ષેપ કર્યો છે કે, આઇઆરજીસીએ સરકારના મોટા ભાગ ઉપર પૂરેપૂરો કબજો જમાવી દીધો છે, અને યુદ્ધ અંગેના નિર્ણયોમાં મંત્રીઓ અને અન્ય ટોચના નેતાઓને એક તરફ મૂકી દે છે.
પોતાનું નામ ન જણાવવાની શર્તે એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, 'છેલ્લા કેટલાયે સપ્તાહોથી પ્રમુખ મસૂદ પેઝેશ્કીયાન અને આઇ.આર.જી.સી.ના પ્રમુખ વચ્ચે ગંભીર વિવાદ ચાલી રહ્યો છે. પેઝોશ્કીયાન નારાજ તે કારણથી છે કે, જે રીતે સેના યુદ્ધ લંબાવી રહી છે તેથી અર્થતંત્ર બર્બાદ થઈ ગયું છે. આમ જનતા બેહદ પરેશાન છે.
રીપોર્ટમાં આગળ જણાવવામાં આવ્યું છે કે, પેઝેશ્કીયાને તેમના પત્રમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, આવા દબાણ ભરેલી પરિસ્થિતિમાં તેઓ સરકાર ચલાવવા માટે પોતાની સંવૈધાનિક જવાબદારીઓ નિભાવવા માટે પૂર્ણત: અસમર્થ બની રહ્યા છે. તેથી મને એ પદ ઉપરથી મુક્ત કરવામાં આવે.'
ઇરાને આ ખબરો અત્યારે તો ફગાવી દીધી છે. ઇરાનના પ્રમુખના કાર્યાલયે આ દાવાને ઇરાનને બદનામ કરવાના પ્રયત્ન તરીકે કહ્યો છે. રાષ્ટ્રપ્રમુખના કાર્યાલયના સૂચના વિભાગના વડા સૈયદ મેહદી તબાઇએ એક નિવેદનમાં કહ્યું : 'વિદેશી નેટવર્ક મનઘડંત અફવા ફેલાવી રહ્યું છે. પરંતુ, તે હકીકત નથી. માત્ર ગપગોળો છે. પ્રમુખ પેઝેશ્કીયાન જનતાની સેવા કરવામાંથી પાછી પાની નહીં કરે જેઓ ઇરાનની એકતા તોડવા માગે છે તેઓ તેની આ ઇચ્છા સાથે સીધા કબરમાં જશે.
પ્રમુખનું કાર્યાલય જે કહે છે તે પરંતુ પેઝેશ્કીયાન પદત્યાગ કરે તે સંભાવના તદ્દન વાહિયાત નથી. ઇરાન હુમલા કરી જ શકે છે. પરંતુ અંદરખાનેથી ખોખલું થઈ ગયું હોય તે નકારી શકાય નહીં. પ્રમુખ પેઝેશ્કીયાનને આથી જ આઇઆરજીસી સાથે યુદ્ધ અંગે મતભેદો હોઈ શકે જ. કારણ કે તેઓ ઇરાનની ભીતરી પરિસ્થિતિ જાણતા જ હોય.


