વોશિંગ્ટન,૨૪ માર્ચ,૨૦૨૬,મંગળવાર
૨૮ ફેબુ્આરીના રોજ ઇઝરાયેલ-અમેરિકા દ્વારા ઇરાન મિનાબ શહેરની એક ગર્લ્સ સ્કૂલ પર હુમલો કરવામાં આવતા ૧૬૦ સ્કૂલી બાળકીઓના મોત થતા વિશ્વમાં હાહાકાર મચી ગયો હતો. ઇરાને સ્કૂલ પરના હુમલાને વખોડી કાઢીને યુએનની માનવાધિકાર પરિષદમાં તરત જ એક ચર્ચા કરવાનો અનુરોધ કર્યો હતો. તેનું ટાઇટલ આંતરરાષ્ટ્રીય સશસ્ત્ર સંઘર્ષોમાં બાળકો અને શૈક્ષણિક સંસ્થાનોની સુરક્ષા હતું.
રોયટર્સના જણાવ્યા અનુસાર સંયુકત રાષ્ટ્રમાં ઇરાનના રાજદૂત અલી બાહરેનીએ ૨૩ માર્ચે પરિષદના અધ્યક્ષને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે સ્કૂલમાં બાળકોને ભણાવાતા હતા ત્યારે હુમલો થવોએ ગંભીર બાબત છે. માનવાધિકાર પરિષદના પ્રવકતાએ ઉલ્લેખ કર્યો હતો કે જેનેવામાં ઇરાની મિશન તરફથી પાઠવવામાં આવેલા પત્રમાં ઇરાન ઉપરાંત ચીન અને કયૂબાએ પણ તાત્કાલિક ચર્ચા કરવાનો આગ્રહ રાખ્યો છે. ઇરાની અધિકારીઓએ માહિતી આપી હતી કે સ્કૂલ ઉપર બે મિસાઇલો છોડવામાં આવી હતી જેમાં ૧૬૮ના મરણ થયા જેમાં મોટા ભાગની મૃતક સ્કૂલી બાળકીઓ જેની ઉંમર ૫ થી ૧૨ વર્ષની હતી.
ખાડી દેશોની વાત કરીએ તો બહેરીન, જોર્ડન, કુવૈત, કુવૈત, ઓમાન, કતર સાઉદી અરબ અને યુએઇના નાગરિક અને ઉર્જા સંસ્થાનો પર ઇરાને કરેલા હુમલા અંગે પણ ચર્ચા કરવા માનવાધિકાર પરિષદને અનુરોધ કર્યો છે. ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ તરફથી બહેરીનના કાયદેસરના આગ્રહ પર ૨૫ માર્ચના રોજ સેશન બોલાવવામાં આવ્યું છે. વર્ષ ૨૦૦૬માં રચાયેલા માનવાધિકાર પરિષદની આ ૧૧ મી અત્યંત આવશ્યક ચર્ચા હશે.


