Iran US Talks Precondition: અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની શાંતિ વાતચીત શરૂ થાય તે પહેલા જ નિષ્ફળ થતી જણાય છે. એક તરફ જ્યાં અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 18 કલાકની લાંબી ઉડાન ન ભરવાની વાત કહીને US ડેલિગેશનનો પાકિસ્તાન પ્રવાસ રદ કરી દીધો, તો બીજી તરફ ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સીનિયર પાકિસ્તાની સૈન્ય અને સરકારી અધિકારીઓ સાથે મુલાકાત કર્યા બાદ ઈસ્લામાબાદની યાત્રા પૂર્ણ કરી પરત ફર્યા. આ દરમિયાન ઈરાની રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પેજેશ્કિયાને શરત રાખતા કહ્યું છે કે જ્યાં સુધી ઈરાની બંદરો પર નાકાબંધી ચાલુ રહેશે, ત્યાં સુધી કોઈ વાતચીત થશે નહીં.
અમેરિકા અને ઈરાનનું જિદ્દી વલણ
હોર્મુઝને લઈને અમેરિકા અને ઈરાનના વલણથી વાત બનતી જણાતી નથી. આ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઉછાળો યથાવત છે અને તે 105 ડોલર પ્રતિ બેરલને પાર ટ્રેડ કરી રહ્યું છે. વળી, શાંતિ વાતચીત પણ સતત નિષ્ફળ જઈ રહી છે.
ઈરાન કોઈ પણ કાળે ઝૂકવા તૈયાર નથી
ઈરાને આર્થિક અને લોજિસ્ટિક સંબંધિત પ્રતિબંધો લાગુ રહે ત્યાં સુધી અમેરિકા સાથે નવી વાતચીતનો ઈનકાર કર્યો છે. બિઝનેસ ટુડે પર પ્રકાશિત રિપોર્ટમાં જણાવાયું છે કે રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પેજેશ્કિયાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જ્યાં સુધી ઈરાની પોર્ટ્સ પર અમેરિકન નાકાબંધી હટશે નહીં, ત્યાં સુધી તેહરાન વાતચીતના ટેબલ પર પાછું ફરશે નહીં.
પહેલા ઓપરેશનલ પ્રતિબંધો દૂર કરો
ઈરાની મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે ફોન પર થયેલી વાતચીત દરમિયાન પેજેશ્કિયાને આ વાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે અમેરિકા સાથે વાતચીતનો કોઈ પણ નવો તબક્કો શરૂ કરતા પહેલા તેણે નાકાબંધી સહિતના ઓપરેશનલ પ્રતિબંધો દૂર કરવા જોઈએ.
ઈરાનની લીડરશિપમાં જબરદસ્ત આંતરિક ડખો
રિપોર્ટ મુજબ ઈરાની નેતૃત્વ વચ્ચે આંતરિક ડખો અંગેના ટ્રમ્પના હાલના દાવા અને એક ગુપ્ત પત્રએ તેહરાનમાં તણાવ વધારવાનું કામ કર્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે ઈરાનની લીડરશિપમાં જબરદસ્ત આંતરિક ડખો અને મૂંઝવણની સ્થિતિ છે. આ માટે કોણ જવાબદાર છે, તે તેમને ખુદને ખબર નથી. મોજતબા ખામેનેઈને સંબોધિત એક પત્રમાં ઈરાનની આર્થિક સ્થિતિને ગંભીર અને અસહ્ય ગણાવવામાં આવી છે. જેમાં જવાબદારોને પરમાણુ મુદ્દે અમેરિકા સાથે વાતચીત પર ગંભીરતાથી વિચાર કરવા વિનંતી કરવામાં આવી છે.
ગુપ્ત પત્ર કથિત રીતે બહાર આવ્યો
આ સંકેત આપે છે કે વરિષ્ઠ અધિકારીઓ ફેબ્રુઆરીના અંતમાં શરૂ થયેલા અમેરિકા અને ઈઝરાયલ સાથેના સંઘર્ષ બાદ વધતા આર્થિક દબાણ વચ્ચે દેશની દિશાને લઈને ચિંતિત છે. એવું પણ કહેવામાં આવે છે કે આ પત્ર પર મોહમ્મદ બાઘર ગાલિબાફ, પેજેશ્કિયન, અરાઘચી અને મુસ્તફા પોરમોહમ્મદી સહિત અનેક ટોચની હસ્તીઓએ હસ્તાક્ષર કર્યા છે. આ પત્રને સંપૂર્ણપણે ગુપ્ત રાખવાનો પ્રયાસ હતો, પરંતુ કથિત રીતે તે બહાર પ્રસારિત થઈ ગયો.
'અમે ઈરાની અને ક્રાંતિકારી'
મોહમ્મદ બાઘર ગાલિબાફે ઈરાનમાં આંતરિક મતભેદોની અટકળોને નકારી કાઢતા કહ્યું છે કે ઈરાનમાં કોઈ કટ્ટરપંથી કે ઉદારવાદી નથી, પરંતુ અમે બધા ઈરાની અને ક્રાંતિકારી છીએ. બીજી તરફ રાષ્ટ્ર પ્રમુખ પેજેશ્કિયાને પણ સમાન લાગણી વ્યક્ત કરી છે, જ્યારે ન્યાયતંત્રના વડા ગુલામ-હુસૈન મોહસેની એજેઈ એ જૂથબંધીની વાતોને વાહિયાત અને નિરાધાર ગણાવી છે.
આ પણ વાંચો: ‘પાકિસ્તાનની મધ્યસ્થતાથી ભારતનું કદ નાનું નહીં થાય’, કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિવેદન
હોર્મુઝ પર તણાવ, ક્રૂડમાં ઉછાળો
જણાવી દઈએ કે અમેરિકા-ઈરાન વચ્ચે વાત ન બની શકવાને કારણે વિતેલા સપ્તાહમાં ક્રૂડની કિંમતોમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત 105 ડોલર પ્રતિ બેરલને પાર ટ્રેડ કરી રહી છે. જો આગામી સપ્તાહે બંને દેશો વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટને લઈને તણાવ વધુ વધશે, તો કાચા તેલની કિંમતોમાં પણ તેજી જોવા મળી શકે છે અને તેની અસર શેરબજારો પર પણ જોવા મળી શકે છે. નિષ્ણાતોનું પણ કહેવું છે કે આગામી સપ્તાહે શેરબજારની ચાલ પર અમેરિકા-ઈરાન વચ્ચેની વાતચીત અંગે આવનારા અપડેટ્સ અને કાચા તેલની કિંમતોની અસર જોવા મળશે.


