સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ભારતના 20 જહાજ ફસાયા! ઈરાને UNને મોકલ્યો 'મેસેજ', ભારતને રાહત કે નહીં?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (image - ians) |
Strait of Hormuz: વેસ્ટ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ઊર્જા સંકટ ઘેરું બન્યું છે, ખાસ કરીને દુનિયાના સૌથી મહત્ત્વના ગણાતો 'હોર્મુઝ સ્ટ્રેટ' દરિયાઈ માર્ગ બંધ થવાથી ક્રૂડ ઓઇલ અને LPGની સપ્લાય ખોરવાઈ છે. વિશ્વના 20% ક્રૂડની અવરજવર આ રૂટ પરથી થાય છે, જે હાલ તણાવ હેઠળ છે. ભારત સરકારના જણાવ્યા અનુસાર, આ સ્ટ્રેટની પશ્ચિમ દિશામાં હાલ 20 ભારતીય જહાજો ફસાયેલા છે. જોકે, આ સ્થિતિ વચ્ચે હવે ઈરાન તરફથી એક રાહતના સમાચાર આવ્યા છે.
મર્યાદિત અવરજવર માટે ઈરાનની અત્યંત કડક શરતો
ઈરાને સંયુક્ત રાષ્ટ્ર(UN) અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠનને મોકલેલા સંદેશમાં સંકેત આપ્યો છે કે તે હોર્મુઝ સ્ટ્રેટ પરથી મર્યાદિત અવરજવરની મંજૂરી આપશે. પરંતુ આ માટે ઈરાને અત્યંત કડક શરતો રાખી છે. ઈરાની પ્લાન મુજબ, માત્ર એવા જ જહાજોને પસાર થવા દેવામાં આવશે જે 'બિન-શત્રુતાપૂર્ણ'(Non-Hostile) શ્રેણીમાં આવે છે. આ જહાજોએ પણ ઈરાની સત્તાધીશો સાથે યોગ્ય તાલમેલ સાધવો પડશે અને નિર્ધારિત સેફ્ટી પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવું પડશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, અમેરિકા અને ઈઝરાયલ સાથે જોડાયેલા કોઈપણ જહાજ પર ઈરાને સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે.
અમેરિકા-ઈઝરાયલના સાથી દેશો પર ઈરાનનો કડક પ્રતિબંધ
ઈરાનના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જે દેશો ઈરાન વિરુદ્ધની સૈન્ય કાર્યવાહીમાં અમેરિકા કે ઈઝરાયલનો સાથ આપી રહ્યા છે, તેમના ઓઇલ અને ગેસ ભરેલા જહાજોને આ માર્ગનો ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને મોકલેલા આ સંદેશમાં ઈરાને જણાવ્યું છે કે તેણે હુમલાખોર માનવામાં આવતા દેશોના જહાજોને રોકવા માટે જરૂરી તમામ પગલાં લીધા છે.
આ પણ વાંચો: યુદ્ધ વચ્ચે રશિયાના ઓઈલ અંગે યુરોપના એક નિર્ણયથી ભારતને જબરદસ્ત ફાયદો!
1 લાખ પેટ્રોલ પંપો પર સ્થિતિ સામાન્ય, નાગરિકોને ન ગભરાવા અપીલ
ભારતની વાત કરીએ તો, શિપિંગ અને પોર્ટ્સ મંત્રાલયના સ્પેશિયલ સેક્રેટરી રાજેશ કુમાર સિન્હાએ પુષ્ટિ કરી છે કે 20 ભારતીય જહાજો આ રૂટ પાર કરવાની રાહ જોઈ રહ્યા છે. જોકે, આ યુદ્ધ અને દરિયાઈ અવરોધને કારણે ભારતમાં ઓઇલ કે ગેસની અછત સર્જાશે તેવી અફવાઓને સરકારે ફગાવી દીધી છે. પેટ્રોલિયમ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી સુજાતા શર્માએ ખાતરી આપી છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને LPGનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. દેશની રિફાઇનરીઓ સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહી છે અને 1 લાખથી વધુ પેટ્રોલ પંપો પર સપ્લાય સામાન્ય છે, તેથી નાગરિકોએ ગભરાવાની જરૂર નથી.








