- ઈઝરાયલી દળોએ લેબેનોનમાં હિઝબુલ્લાહનાં મથકો ઉપર 10 મિનિટમાં જ 100થી વધુ મિસાઈલ્સ નાંખ્યા : ઈરાને તેને 'સીઝ-ફાયર' ઉલ્લંધન કહ્યું
નવીદિલ્હી : ૪૦ દિવસનાં ઈરાનનાં યુદ્ધ પછી બુધવાર (૮મી એપ્રિલ)ની વહેલી સવારે જ્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 'સીઝ-ફાયર'ની જાહેરાત કરી ત્યારે સમગ્ર દુનિયાએ રાહતનો શ્વાસ લીધો. પરંતુ પાકિસ્તાનની મધ્યસ્થતા વાળી આ સીઝ-ફાયર મંત્રણાનો ગુબ્બારો અમેરિકાના સાથી દેશ ઇઝરાયેલે ૨૪ કલાકથી પણ ઓછા સમયમાં ફોડી નાખ્યો.
ઇઝરાયલે ઈરાનના સાથી દેશ લેબેનોન ઉપર હજી સુધીમાં કરાયેલા મિસાઈલ્સ હુમલા કરતાં ઘણો ભયંકર મિસાઈલ હુમલો કરી નાખ્યો, ૧૦ મિનિટમાં જ તેણે લેબેનોન ઉપર ૧૦૦થી વધુ મિસાઈલ અને હવાઈ હુમલા કર્યા. તેથી ઓછામાં ઓછા ૨૫૪નાં મૃત્યુ થયાં અને ૧,૧૫૬થી વધુ ઘાયલ થયા. તેણે હિઝબુલ્લાહનાં કમાન્ડ સેન્ટર ઉપર જ મિસાઈલોનો વરસાદ કર્યો જેમાં હિઝબુલ્લાહનો એક અગ્રીમ કમાન્ડર પણ માર્યો ગયો.
આ ભિષણ રક્તપાતથી ધૂંધવાઈ ઊઠેલાં ઈરાને તેને સીઝ-ફાયર ભંગનો આક્ષેપ કર્યો અને સમુદ્રી જળમાર્ગ હોર્મુઝ સ્ટ્રેઈટસ્ ફરી બંધ કરી દીધી. આ ઉપરાંત શુક્રવારે ૧૦મી એપ્રિલે ઈસ્લામાબાદમાં યોજાનારી શાંતિ મંત્રણામાં પણ ભાગ નહીં લેવાના સંકેતો આપી દીધાં છે.
પાકિસ્તાન સ્થિત ઈરાનના રાજદૂત રજા અમીરી મોગદસે પોતાના તે સોશ્યલ મિડીયા પોસ્ટ ઉપર મુકેલા મેસેજને ઈરેઝ કરી નાખ્યો છે. તે મેસેજમાં ઈરાની પ્રતિનિધિઓ પાકિસ્તાન પહોંચ્યા છે, તેવી માહિતી આપવામાં આવી હતી.
આ સાથે સંકેત મળી રહ્યાં છે કે ઈઝરાયલે લેબેનોન ઉપર કરેલા હુમલાને લીધે તે શાંતિ-મંત્રણા યોજાવાની સંભાવના નહીવત્ રહી છે. લાગે છે કે સીઝ-ફાયર અંગે પોતાની પીઠ થાબડતાં પાકિસ્તાનને માટે મુશ્કેલી ઊભી થઈ ગઈ છે.
આ સંયોગોમાં લેબેનોની આંદોલનકારી હિઝબુલ્લાહે કહ્યું કે, ''ઇઝરાયેલ દ્વારા લેબેનોન ઉપર કરાયેલા હુમલા અમોને જવાબી કાર્યવાહી કરવાનો અધિકાર આપે છે.''
બીજી તરફ તુર્કીએ પણ ઇઝરાયેલના આ હુમલાની નિંદા કરી છે.


