અમેરિકા નહીં આ દેશે કરી ઈરાન સાથે વાતચીત: 12 દિવસના યુદ્ધ બાદ રીતે થયું સીઝફાયર, જાણો ઇનસાઇડ સ્ટોરી
Iran Israel ceasefire: એક તરફ ઈરાન અને બીજી તરફ ઇઝરાયલ-અમેરિકા... આખરે તેમની વચ્ચે 12 દિવસનું યુદ્ધ ખતમ થયું છે. તેમની વચ્ચે યુદ્ધવિરામ પર સહમતિ થઈ ગઈ છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું કે, બંને દેશો વચ્ચે સંઘર્ષને સમાપ્ત કરવાનો ઉદ્દેશ્યથી ઇઝરાયલ અને ઈરાન વચ્ચે "સંપૂર્ણ અને સર્વાંગી" સીઝફાયર લાગુ થશે. ટ્રમ્પના સૂચન પ્રમાણે ઇઝરાયલ અને ઈરાન પાસે ચાલી રહેલા કોઈપણ મિશનને પૂરું કરવા માટે કેટલોક સમય હશે, ત્યાર બાદ તબક્કાવાર આ સીઝફાયર શરુ થશે. ભારતીય સમય પ્રમાણે 9.30 કલાકે આ સીઝફાયર થઈ જશે.
આ પણ વાંચો: પ્લીઝ, હવે સીઝફાયરનો ભંગ ન કરતાં: ઈરાન દ્વારા ઇઝરાયલ પર હુમલા બાદ ટ્રમ્પનું નિવેદન
અહીં સવાલ એ છે, યુદ્ધ એક-એક દિવસ પસાર કરતાં ખતરનાક થઈ રહ્યા હતા, અને ઈરાન પર ખુદ અમેરિકાએ હુમલો કરી દીધો હતો, ત્યારે અચાનકથી યુદ્ધવિરામ પર સહમતિ કેવી રીતે થઈ ગઈ. આખરે આની પાછળ કયા દેશે મધ્યસ્થીની ભૂમિકા ભજવી, કોણે ઈરાન સાથે વાત કરી, તેમજ યુદ્ધ રોકવા માટે ઈરાનને કોણે મનાવ્યું.
કતારના પીએમએ મુખ્ય ભૂમિકા ભજવી હતી
યુદ્ધવિરામ વાટાઘાટો વિશે જાણકાર એક અધિકારીએ રોઇટર્સને જણાવ્યું હતું કે કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહેમાન અલ થાનીએ ઇઝરાયલ સાથેના સંઘર્ષમાં યુએસ દ્વારા પ્રસ્તાવિત યુદ્ધવિરામ માટે ઈરાનની મંજૂરી મેળવી હતી.
રોઇટર્સના રિપોર્ટ પ્રમાણે વડાપ્રધાન અલ થાનીએ પહેલા ઈરાની અધિકારીઓને ફોન કર્યો અને આ દરમિયાન યુદ્ધવિરામ માટે ઈરાની સરકારની સંમતિ મેળવી હતી.
રોઇટર્સના રિપોર્ટ પ્રમાણે આ વાતચીત પહેલા કતારના અમીર સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વાત કરી હતી. આ વાતચીતમાં ટ્રમ્પે તેમને જાણકારી આપી હતી કે ઇઝરાયલે યુદ્ધવિરામ પ્રસ્તાવ સ્વીકારી લીધો છે, અને હવે કતારનો વારો છે કે તેહરાનને કરાર માટે રાજી કરે. ટ્રમ્પે કતાર પાસેથી મદદ માટે અનુરોધ કર્યો હતો.
કેવી રીતે થશે યુદ્ધવિરામ
ટ્રમ્પના કહેવા પ્રમાણે પહેલા ઈરાન યુદ્ધવિરામ શરુ કરશે અને પછી ઇઝરાયલ. તેના પરિણામે આગામી 24 કલાકમાં યુદ્ધ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે. તેમણે બંને દેશોને ઓવરલેપિંગ સીઝફાયર દરમિયાન "શાંતિપૂર્ણ અને સમ્માનપૂર્વક " બની રહેવાનો પણ આગ્રહ કર્યો હતો.
તેમણે કહ્યું કે, 'સત્તાવાર રીતે ઈરાન યુદ્ધવિરામ શરુ કરશે અને તેના 12 કલાક પછી ઇઝરાયલ યુદ્ધવિરામ શરુ કરશે અને 24 કલાકમાં 12 દિવસના યુદ્ધના સત્તાવાર અંતને વિશ્વ દ્વારા સલામ કરવામાં આવશે. દરેક યુદ્ધવિરામ દરમિયાન બીજો પક્ષ શાંતિપૂર્ણ અને સમ્માનપૂર્વક રહેશે.'