Get The App

હોર્મુઝમાં ભારતના જહાજ પર હુમલો, ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત; વિદેશ મંત્રાલય સમક્ષ હાજર થયા ઈરાનના રાજદૂત

Updated: Apr 18th, 2026

GS TEAM

Google News
Google News
હોર્મુઝમાં ભારતના જહાજ પર હુમલો, ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત; વિદેશ મંત્રાલય સમક્ષ હાજર થયા ઈરાનના રાજદૂત 1 - image
File Photo

Indian Ships Forced to Turn Back in Hormuz Strait : પશ્ચિમ એશિયાના સમુદ્રમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે સીધી ભારતીય જહાજો પર જોવા મળી રહી છે. શનિવારે હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની ગનબોટ્સે ભારતીય ધ્વજ ધરાવતા બે જહાજો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલા બાદ જહાજોને યુ-ટર્ન લઈ પાછા ફરવાની ફરજ પડી છે. 

ભારતના જહાજ પર હુમલો

ફાયરિંગનો ભોગ બનેલા બે જહાજો પૈકી એક 'વેરી લાર્જ ક્રૂડ કેરિયર' (VLCC) છે, જેમાં 20 લાખ બેરલ જેટલો મોટો તેલનો જથ્થો ભરેલો હતો. 

ઈરાનના રાજદૂત ભારતના વિદેશ મંત્રાલય સમક્ષ હાજર થયા 

આ ઘટનાના થોડા જ કલાકોમાં ભારત સરકારે ઈરાનના રાજદૂત મોહમ્મદ ફથલીને સમન્સ પાઠવી તેડું મોકલ્યું હતું. જે બાદ તેઓ વિદેશ મંત્રાલય સમક્ષ હાજર થયા હતા. વિદેશ મંત્રાલય ટૂંક સમયમાં સત્તાવાર નિવેદન પણ જાહેર કરી શકે છે.



જોકે બિન સત્તાવાર અહેવાલો અનુસાર આ ફાયરિંગમાં કોઈ જાનહાનિ થઈ નથી અને જહાજોને પણ મોટું નુકસાન પહોંચ્યું નથી.

ઈરાને હોર્મુઝથી પસાર થતાં જહાજ પર હુમલો કર્યો: યુકે 

યુકેની સેનાના નિવેદન અનુસાર આજે અમેરિકાની નાકાબંધીના વિરોધમાં ઈરાની ગનબોટ્સે એક ટેન્કર પર અંધાધૂંધ ગોળીબાર કરતા સમુદ્રમાં નાસભાગ મચી ગઈ હતી.  જે ટેન્કર પર હુમલો કરવામાં આવ્યો હતો તેના પર સવાર ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. 

શિપિંગ ટ્રેકિંગ વેબસાઇટ 'ટેન્કરટ્રેકર્સ'ના અહેવાલ મુજબ, આ ગોળીબાર બાદ બે ભારતીય જહાજોને જીવના જોખમે પાછા વળવું પડ્યું છે. આ પૈકીનું એક ભારતીય ધ્વજ ધરાવતું અત્યંત વિશાળ ટેન્કર (VLCC) છે, જેમાં 20 લાખ બેરલ ઈરાકનું તેલ ભરેલું હતું. આ જહાજ ઈરાકથી તેલ લઈને રવાના થયું હતું, પરંતુ સુરક્ષાના કારણોસર તેને અધવચ્ચેથી પરત ફરવાની ફરજ પડી છે.

અમારી પરવાનગી વિના કોઈ અહીંથી પસાર થઈ શકશે નહીં: ઈરાન 

ઈરાને આક્ષેપ કર્યો છે કે અમેરિકાએ તેના બંદરો પરની નાકાબંધી હટાવી નથી, જેના બદલામાં તેમણે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગને ફરી બંધ કરી દીધો છે. ઈરાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેની પરવાનગી વગર કોઈ પણ જહાજ આ માર્ગ પરથી પસાર થઈ શકશે નહીં.

ક્રૂડ ઓઈલને લઈને ફરીથી ટેન્શન વધ્યું

હોર્મુઝની ખાડી દુનિયાનો એવો સંકડો માર્ગ છે જ્યાંથી વિશ્વનો 20 ટકા તેલ પુરવઠો પસાર થાય છે. જો 22 એપ્રિલ સુધીમાં અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ ડીલ નહીં થાય, તો 22 એપ્રિલ બાદ યુદ્ધવિરામ ખતમ થતાની સાથે જ તેલના ભાવમાં ફરીથી વધારો થઈ શકે છે.

વિરોધાભાસનું કારણ શું?

1. સત્તાનો જંગ: નિષ્ણાતો માને છે કે ઈરાનની રાજકીય નેતાગીરી અને શક્તિશાળી રિવોલ્યુશનરી ગાર્ડ્સ વચ્ચે તાલેમેલનો અભાવ છે. IRGC એ સ્પષ્ટ કર્યું છે કે તેમની પરવાનગી વગર કોઈ જહાજ પસાર નહીં થઈ શકે.

2. અમેરિકાની નાકાબંધી: ટ્રમ્પે હોર્મુઝ ખુલવા પર ખુશી વ્યક્ત કરી પણ સાથે જ કહ્યું કે ઈરાની બંદરો પર અમેરિકાની નાકાબંધી ચાલુ રહેશે. આ વાતથી ભડકેલી ઈરાની સેનાએ ફરી માર્ગ બંધ કરી દીધો છે.

3. રેડિયો ચેતવણી: જહાજ માલિકોના જણાવ્યા મુજબ, શુક્રવારે મોડી રાત્રે તેમને રેડિયો પર ચેતવણી મળી હતી કે પરવાનગી વગર પ્રવેશશો તો કાર્યવાહી થશે.