- મોજતબા ખામેનેઈને રમજાન યુદ્ધના જાં-બાઝ સેનાપતિ કહ્યા છે
- 28 ફેબ્રુઆરીએ આયાતોલ્લાહ અલિ ખામેનેઈ જન્નત-નશીન થયા, 8મી માર્ચે મોજતબા સર્વોચ્ચ નેતા તરીકે સ્વીકૃત થયા પરંતુ હજીએ તેઓ જાહેરમાં દેખાયા નથી
તહેરાન : ઈઝરાયલ-અમેરિકાનાં પ્રચંડ આક્રમણને પરિણામે દેશના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ-અલી-ખામેનેઈનું નિધન થયા પછી તેમના પુત્ર મોજતબા ખામેનેઈને દેશના સર્વોચ્ચ નેતાપદે સ્વીકારવામાં આવ્યા પરંતુ તે પછી બે દિવસથી તેઓ જાહેરમાં દેખાયા નથી. તેથી તેઓ ઈજાગ્રસ્ત થયા હોવાની અટકળોએ જોર પકડયું છે. ઈરાનની સત્તાવાર ટીવી ચેનલે તેઓને રમજાન યુદ્ધના જાં-બાઝ સેનાની તરીકે દર્શાવ્યા છે.
એક રીપોર્ટ પ્રમાણે તેઓ ઘાયલ થયા હોવાની વાત સાચી પણ છે. તેઓને 'તમગે' કહેવામાં આવ્યા છે. આ શબ્દ પ્રયોગ 'ધર્મયુદ્ધ' (જેહાદ-ક્રૂઝેડ)માં ઘાયલ થયેલા માટે જ વાપરવામાં આવે છે. એમ પણ કહેવાય છે કે ઈરાન આ યુદ્ધને સામાન્ય યુદ્ધ ન ગણતાં ધર્મયુદ્ધ સમાન જ માને છે.
ઈંડીયા ટુડેના એક રીપોર્ટ પ્રમાણે ઈરાને આ યુદ્ધને 'રમજાન યુદ્ધ' તેવું નામ આપ્યું છે. જોકે મોજતબા ઘાયલ થયા છે તે વિષે કોઈ માહિતી ઈરાનની કોઈ ટીવી ચેનલે આપી નથી. સત્તાવાર તેવી સરકારી ચેનલ 'ઈર્ના' પણ તે અંગે મૌન સેવે છે. પરંતુ ૮મી માર્ચે મોજતબા ખામેનેઈ વિધિસર સર્વોચ્ચ નેતા જાહેર થયા પછી હજી સુધી તેઓ કોઈ જાહેર કાર્યક્રમમાં દેખાયા નથી કે જાહેર રીતે કોઈની સાથે જોવા મળ્યા નથી તેથી તેઓ ઘાયલ થયા હોવાની અટકળોએ જોર પકડયું છે.


