US Iran War: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ સૈન્ય સંઘર્ષ વચ્ચે ઈરાનના પૂર્વ વિદેશ મંત્રી અને પરમાણુ કરાર (JCPOA)ના મુખ્ય સૂત્રધાર રહી ચૂકેલા મોહમ્મદ જવાદ ઝરીફે ઈરાનને એક મહત્ત્વની સલાહ આપી છે. અમેરિકન મેગેઝિન 'ફોરેન અફેર્સ'માં પ્રકાશિત એક લેખમાં ઝરીફે તર્ક આપ્યો છે કે, ઈરાને હવે જીતની જાહેરાત કરવી જોઈએ અને એક એવા કરાર તરફ આગળ વધવું જોઈએ જે આ યુદ્ધને સમાપ્ત કરે અને ભવિષ્યના સંઘર્ષોને પણ અટકાવે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર રાખ્યો મત
ઝરીફે સૂચન કર્યું છે કે ઈરાને પોતાના પરમાણુ કાર્યક્રમ પર મર્યાદાઓ લગાવી દેવી જોઈએ અને વિશ્વના સૌથી મહત્ત્વના ક્રૂડ ઓઇલ જળ માર્ગ 'સ્ટ્રેટ ઑફ હોર્મુઝ'ને ફરીથી ખોલવાનો પ્રસ્તાવ મૂકવો જોઈએ. તેના બદલામાં ઈરાને પોતાના પર લાગેલા તમામ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને સંપૂર્ણપણે નાબૂદ કરવાની માંગ કરવી જોઈએ. ઝરીફનું માનવું છે કે અમેરિકાએ ભલે પહેલા આ સોદો ન સ્વીકાર્યો હોય, પરંતુ વર્તમાન યુદ્ધની ભયાનકતાને જોતાં હવે તે તેને સ્વીકારી શકે છે.
નોંધનીય છે કે, જવાદ ઝરીફને આંતરરાષ્ટ્રીય વ્યૂહનીતિના નિષ્ણાત માનવામાં આવે છે. આ યુદ્ધ અટકાવવા તેમણે ઈરાન માટે એક વિગતવાર રૂપરેખા તૈયાર કરી છે.
'દેશના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરો'
ઝરીફે અમેરિકા અને ઈરાન વચ્ચે પરસ્પર અનાક્રમણ કરારનો પ્રસ્તાવ મૂક્યો છે. આ અંતર્ગત બંને દેશો ભવિષ્યમાં એકબીજા પર હુમલો ન કરવાની ઔપચારિક પ્રતિજ્ઞા લેશે. તેમણે ઈરાનને સૂચન કર્યું છે કે, અમેરિકા સાથે આર્થિક સંવાદ અને વેપારના દ્વાર ખોલવા જોઈએ. આ માત્ર બંને દેશોના લોકો માટે ફાયદાકારક જ નહીં હોય, પરંતુ દાયકાઓ જૂના અવિશ્વાસને ઘટાડવામાં પણ મદદ કરશે.
ઝરીફના જણાવ્યા અનુસાર, આ કરારોથી ઈરાનના નેતૃત્વને વિદેશી દુશ્મનોથી બચાવવાને બદલે પોતાના નાગરિકોના જીવનધોરણને સુધારવા અને દેશના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક મળશે.
'શાંતિ વાટાઘાટોના ટેબલ પર બેસવાનો યોગ્ય સમય'
ઝરીફનો આ લેખ એવા સમયે આવ્યો છે, જ્યારે ઈરાન ચારે બાજુથી સૈન્ય અને આર્થિક દબાણનો સામનો કરી રહ્યું છે. જીતની જાહેરાત કરવાનું તેમનું સૂચન વાસ્તવમાં એક રાજદ્વારી વ્યૂહરચના છે, જેથી ઈરાન પોતાનું સન્માન ગુમાવ્યા વિના યુદ્ધમાંથી સન્માનજનક રીતે વિદાય લઈ શકે. તેમનું માનવું છે કે ઈરાને પોતાની પ્રતિકાર ક્ષમતા બતાવીને પોતાનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે અને હવે શાંતિ વાટાઘાટોના ટેબલ પર બેસવાનો યોગ્ય સમય છે.
આ પણ વાંચો: હોર્મુઝ ઓળંગતા જ સમુદ્રમાં 'ખેલ', જાણો ગુજરાત આવતું ઈરાનનું જહાજ ચીન તરફ કેમ ગયું
ભારત માટે આનો શું અર્થ છે?
જો ઝરીફનો આ પ્રસ્તાવ વાસ્તવિકતામાં બદલાય, તો તેના સૌથી મોટા લાભાર્થીઓમાં ભારત પણ સામેલ હશે. ભારતને LPG અને ક્રૂડ ઓઇલનો સપ્લાય ફરીથી સરળ થઈ જશે. વૈશ્વિક બજારમાં તેલના ભાવ ઘટશે, જેનાથી ભારતના અર્થતંત્રને મોટી રાહત મળશે. શાંતિની સ્થિતિમાં ભારત ઈરાનના ચાબહાર બંદર દ્વારા મધ્ય એશિયા સુધી પોતાની પહોંચને વધુ મજબૂત કરી શકશે.


