World

સ્વાસ્થ્ય સંકટ, ભૂખમરો, પાકિસ્તાનમાં પૂરએ મચાવી તબાહી

By GS Team
3 Sep 20222 mins read
This article was originally published on 3 Sep 2022
સ્વાસ્થ્ય સંકટ, ભૂખમરો, પાકિસ્તાનમાં પૂરએ મચાવી તબાહી

ઈસ્લામાબાદ, તા. 03 સપ્ટેમ્બર 2022 શનિવાર

યુરોપિયન સ્પેસ એજન્સી (ઈએસએ) ની સેટેલાઈટ ઈમેજ અનુસાર પાકિસ્તાન ઈતિહાસના સૌથી ભયંકર પૂર સામે ઝઝૂમી રહ્યુ છે. પરિણામે પાકિસ્તાનનો એક તૃતીયાંશ ભાગ જળમગ્ન થઈ ચૂક્યો છે. હવે પૂરના પાણીથી બીમારી ફેલાવાનુ જોખમ છે. 

અનાજનો પુરવઠો ઓછો થઈ રહ્યો છે કેમ કે પાણીએ લાખો એકર પાકનો નાશ કરી દીધો છે. 30 ઓગસ્ટે ઈએસએની ઈમેજ અનુસાર મૂશળધાર ચોમાસાનો વરસાદ સામાન્યથી 10 ગણો વધારે રહ્યો. જેનાથી સિંધુ નદીના ઝડપી પ્રવાહના કારણે દસ કિલોમીટર પહોળુ એક લાંબુ સરોવરનુ નિર્માણ થઈ ગયુ. 


પાકિસ્તાન અભૂતપૂર્વ પૂરના કારણે ભોજન અને સ્વાસ્થ્ય સંકટનો સામનો કરી રહ્યુ છે. રિપોર્ટ અનુસાર ચેરિટી એક્શન અગેંસ્ટ હંગર અનુસાર દેશમાં 27 મિલિયન લોકોની પાસે પૂર પહેલા પૂરતુ ભોજન નહોતુ. હવે પૂરથી સ્થિતિ વધુ જોખમી થઈ ગઈ. 


યુનાઈટેડ કિંગડમ સ્થિત સહાયતા ગઠબંધન, આપત્તિ કટોકટી સમિતિના મુખ્ય કાર્યકારી સાલેહ સઈદે કહ્યુ, અત્યારે અમારી પ્રાથમિકતા જીવનને બચાવવુ અને મદદ કરવાનુ છે કેમ કે પાણી સતત વધી રહ્યુ છે. પાક વહી ગયો છે અને દેશના વિશાળ વિસ્તારોમાં પશુના મોત નીપજ્યા છે, જેનાથી ભૂખમરાની સમસ્યા વધુ ગંભીર થશે. 


પાકિસ્તાનના વડાપ્રધાન શરીફે 30 ઓગસ્ટે કહ્યુ હતુ કે લોકો ભોજનની અછતનો સામનો કરી રહ્યા છે અને ટામેટા તેમજ ડુંગળી જેવી પાયાની વસ્તુઓની કિંમત આસમાને છે. મને પોતાના લોકોને ભોજન આપવુ છે. તેમનુ પેટ ખાલી રાખી શકતો નથી. WHOએ પાકિસ્તાનના સૌથી ખરાબ પૂરને ઉચ્ચ સ્તરે કટોકટીની સ્થિતિ તરીકે વર્ગીકૃત કર્યુ છે જેમાં મેડીકલ મદદની અછતના કારણે બીમારીનુ ઝડપથી ફેલાવવાની ચેતવણી છે.


WHOના પ્રમુખ ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયસસે પૂર બાદ ડાયરિયા સંબંધિત બીમારીઓ, ત્વચા ચેપ, શ્વસન માર્ગના ચેપ, મેલેરિયા અને ડેન્ગ્યૂના નવા પ્રકોપોની ચેતવણી આપી, જ્યારે પાણીજન્ય બીમારીઓની એક મોટી સંખ્યાએ સ્વાસ્થ્ય જોખમ પણ વધારી દીધુ. પાકિસ્તાનના રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર જૂનના મધ્યથી અત્યાર સુધીમાં પૂરથી 1,100 થી વધારે લોકોના મોત નીપજ્યા છે જેમાંથી લગભગ 400 બાળકો છે જ્યારે લાખો લોકો વિસ્થાપિત થયા છે.