- દલાઈ લામાના ઉત્તરાધિકારીની પસંદગી
ચીન કહે છે : 'દલાઈ લામાના ઉત્તરાધિકારીની પસંદગી માટે ચીન સરકારની મંજૂરી જરૂરી' : દલાઈ લામાએ સ્પષ્ટ કહ્યું : 'તેવું કશું જ નથી'
નવી દિલ્હી : ચીને ફરી એકવાર મર્યાદા છોડી ભારતને ધમકી આપી છે : મુદ્દો દલાઈ લામાના ઉત્તરાધિકારીનો છે. લડાખથી શરૂ કરી અરૂણાચલ પ્રદેશ સુધી તદ્દન ખોટો દાવો કરનારા ચીને. બૌદ્ધ ધર્મમાં સર્વોચ્ચ ગુરૂના વારસની પસંદગીના મુદ્દે ચીન ભારત ઉપર ગિન્નાયું છે સાથે થોડું ગભરાયું પણ છે.
તાજેતરમાં અહીં રહેલા ચીની દૂતાવાસે એક નિવેદન પ્રસિદ્ધ કરી જણાવ્યું છે, 'આ ચીનની આંતરિક બાબત છે ભારતે તેથી દૂર રહેવું જોઈએ.'
ચીનના પ્રવક્તા શુ જિંગે એક સત્તાવાર નિવેદન પ્રસિદ્ધ કરી તે દ્વારા જણાવ્યું હતું કે, 'દલાઈ લામાના ઉત્તરાધિકારીનો મુદ્દો સંપૂર્ણ રીતે ચીનનો આંતરિક મામલો છે. ભારતે તેમાં દખલ કરવાની જરૂર નથી. આ સાથે ચીની દૂતાવાસે તેવી પણ માગણી કરી હતી કે, 'તિબેટની આઝાદીની માંગણી કરતા સંગઠનોને અને નેતાઓને ભારત તેની ધરતીનો ઉપયોગ ન કરવા દે.'
બીજી તરફ દલાઈ લામાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, 'મારા ઉત્તરાધિકારીની વરણી ધાર્મિક પરંપરા પ્રમાણે જ થતી આવી છે. તેમાં રાજ્યનો કોઈ હિસ્સો હોઈ શકે જ નહીં'
ગત વર્ષે કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુજીએ કહ્યું હતું કે, 'તિબેટના આધ્યાત્મિક નેતાને, પોતાના ઉત્તરાધિકારી તરીકે ચૂંટવાનો સંપૂર્ણ અધિકાર છે.' જો કે, તેમણે તેમ પણ કહ્યું હતું કે, 'આ મારું અંગત મંતવ્ય છે. ભારત સરકારનું નિવેદન નથી.'


