| (IMAGE - IANS) |
Netanyahu Iran Nuclear Claims: ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણા નિષ્ફળ ગઈ છે. અમેરિકન પ્રમુખ વતી પ્રતિનિધિત્વ કરી રહેલા ઉપપ્રમુખ જેડી વેન્સે જણાવ્યું હતું કે, 'અહીં 21 કલાક રોકાયા બાદ પણ કોઈ સકારાત્મક પરિણામ આવ્યું નથી, આથી અમે પરત ફરી રહ્યા છીએ.' આ નિષ્ફળતા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી છે, કારણ કે બંને દેશો વચ્ચે મડાગાંઠ યથાવત છે.
'યુદ્ધ હજુ ખતમ થયું નથી': નેતન્યાહૂની ખુલ્લી ચેતવણી
બીજી તરફ, ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ઈરાન સામેની લડાઈમાં 'ઐતિહાસિક સિદ્ધિઓ' હાંસલ કરી હોવાનો દાવો કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર ઈરાન અને તેના સહયોગીઓનો નકશો પોસ્ટ કરીને આક્રમક વલણ દાખવ્યું હતું. નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું કે, ઈરાનની પરમાણુ મહત્વાકાંક્ષાઓને નાકામ કરી દેવામાં આવી છે, પરંતુ આ અભિયાન હજી પૂરું થયું નથી. તેમણે જણાવ્યું કે ઈરાન પરમાણુ હથિયાર બનાવવાના ખૂબ નજીક હતું અને દરરોજ સેંકડો મિસાઇલ બનાવવાની ક્ષમતા ધરાવતું હતું, જે ઈઝરાયલ માટે મોટો ખતરો હતો.
નેતન્યાહૂનો આયતુલ્લા અલી ખામેનેઈ પર સીધો પ્રહાર
આયતુલ્લા અલી ખામેનેઈ પર નિશાન સાધતા નેતન્યાહૂએ દાવો કર્યો કે ઈરાન તેના પરમાણુ કાર્યક્રમને જમીનની અંદર છુપાવવા માંગતું હતું, પરંતુ ઈઝરાયલ તેને સફળ થવા દેશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું કે ઈરાન પાસે હજુ પણ 400 કિલોથી વધુ સંવર્ધિત યુરેનિયમ છે, જેને કૂટનીતિક રીતે અથવા બળપ્રયોગ દ્વારા હટાવવામાં આવશે. લેબેનોન અંગે વાત કરતા તેમણે કહ્યું કે, જ્યાં સુધી હિઝબુલ્લાહનું નિઃશસ્ત્રીકરણ ન થાય ત્યાં સુધી કાયમી યુદ્ધવિરામ શક્ય નથી.
આ પણ વાંચો: અમેરિકા-ઈરાન વચ્ચે જંગ ફરી ભભૂકશે? ઈસ્લામાબાદ મંત્રણા ફેલ થયા બાદ દુનિયાભરમાં ચિંતા
લેબેનોનમાં ભીષણ જંગ: મોતનો આંકડો 2020ને પાર
લેબેનોનમાં ચાલી રહેલા સંઘર્ષની સ્થિતિ અત્યંત ગંભીર છે. ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેના યુદ્ધમાં લેબેનોનમાં અત્યાર સુધીમાં મરનારાઓનો આંકડો 2020 પર પહોંચી ગયો છે. લેબેનોનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં જ લગભગ 100 લોકોના મોત થયા છે. આ યુદ્ધમાં મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો અને સ્વાસ્થ્યકર્મીઓએ પણ જીવ ગુમાવ્યા છે, જેના કારણે માનવીય કટોકટી વધુ ઊંડી બની છે. આ સમગ્ર ઘટનાક્રમની વ્યૂહનીતિ અને તેના પરિણામો અત્યારે વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યા છે.


