- આ અમારૂં યુદ્ધ નથી, અમે તેમાં ઢસડાશું પણ નહીં, બ્રિટને કહ્યું આવું જ મંતવ્ય યુરોપીય દેશોએ જાહેર કર્યું : જળમાર્ગ ખુલ્લો કરવા આગ્રહ રાખ્યો
લંડન : બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર કીર સ્ટારમેરે જાહેર કર્યું હતું કે હોર્મઝની સમુદ્રધુનિ ખુલ્લી કરવા વિચારણા કરવા આ સપ્તાહે જ બ્રિટન ૩૫ દેશોની મીટીંગ બોલાવશે. આ સાથે તેમણે તેમ પણ કહ્યું હતું કે અમે તે યુદ્ધમાં ઢસડાશું નહીં આ અમારૂં યુદ્ધ નથી.
કીર સ્ટારમેરના આ વિધાનો સાથે યુરોપના કેટલાયે દેશો પણ સહમત થયા હતા.
કીરનાં આ વિધાનો અને અન્ય યુરોપીય દેશોએ તેને આપેલી સંમતિ સ્પષ્ટ કરે છે કે યુરોપના દેશો ઇરાન-યુદ્ધથી દૂર રહેવા જ માગે છે. આ સાથે હોર્મુઝ તથા ગલ્ફ ઓફ એડનના મહત્ત્વના જળમાર્ગો ખુલ્લા કરવા માટે શાં પગલાં લેવાં તે વિષે પણ વિચારણા કરાશે તેવામાં ઇરાનની સંસદે ઇરાનના જળમાર્ગમાંથી પસાર થતાં વહાણો ઉપર વધારાની લેવી લેવાના કેબિનેટના નિર્ણયને બહાલી આપી હતી. જો કે તેમાં કતાર અને યુએઇ જેવા મિત્ર દેશોની સલામતી વિષે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
આ મીટીંગમાં ભારતને આમંત્રણ છે કે નહીં તે નિશ્ચિત રીતે જાણવા મળ્યું નથી. પરંતુ જાણકારો કહે છે કે તેમાં ભારતની ઉપસ્થિતિ અનિવાર્ય જ બને તેમ છે.
ઉલ્લેખનીય છે કે વૈશ્વિક જળમાર્ગો માટે સ્ટ્રેઇટસ ઓફ હોર્મુઝ એડન નજીકની બાબ અલ મંડળની સમુદ્રધુનિ તથા સુમાત્રા ટાપુ અને મલાયા દ્વિપકલ્પ વચ્ચે રહેલી સ્ટ્રેટ ઓફ મલાકશ, જીવાદોરી સમાન બની રહ્યાં છે. તેવામાં બે જળમાર્ગ સ્ટ્રેઇટસ ઓફ હોર્મુઝ અને હુથી બળવાખોરોએ ઇરાનનાં જ કહેવાથી એડન પાસેની સ્ટ્રેઇટ બાબ અલ મંડલ રૂંધતાં વિશ્વના તેના પુરવઠા ઉપર ગંભીર અસર થઇ છે. સામે વૈશ્વિક અર્થતંત્ર ઉપર પણ ગંભીર અસર થઇ છે તે સર્વિવિદિત છે.


