પાકિસ્તાનના 'ઈસ્લામિક નાટો' માં મોટું ટ્વિસ્ટ, ઈરાન મુદ્દે સાઉદીને તૂર્કિયેનો મોટો ઝટકો!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pakistan-Saudi-Turkey Defense Pact: સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તૂર્કિયે વચ્ચે તાજેતરમાં જ રચાયેલા નવા સંરક્ષણ જોડાણમાં એક મોટો રાજદ્વારી વળાંક આવ્યો છે. મક્કામાં હસ્તાક્ષર કરાયેલા સંયુક્ત સંરક્ષણ કરાર બાદ તૂર્કિયેના વિદેશ મંત્રી હાકાન ફિદાનના તાજેતરના નિવેદને આ જોડાણના વાસ્તવિક સ્વરૂપ પર સવાલો ઊભા કરી દીધા છે. તૂર્કિયે સ્પષ્ટ કર્યું છે કે આ કરાર ઇરાન કે અન્ય કોઈ દેશ વિરુદ્ધ નથી અને એક દેશ પર હુમલો એ ત્રણેય પર હુમલો ગણાશે નહીં.
મક્કામાં રચાયું હતું ‘ઇસ્લામિક નાટો’
શુક્રવારે સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કામાં સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, તૂર્કિયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે એક ઐતિહાસિક સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
ઓઇલ સમૃદ્ધ સાઉદી અરેબિયા, પરમાણુ શક્તિ ધરાવતું પાકિસ્તાન અને નાટોમાં બીજી સૌથી મોટી સેના ધરાવતા તૂર્કિયેના આ જોડાણને વિશ્લેષકો "ઇસ્લામિક નાટો" તરીકે ઓળખાવી રહ્યા હતા. આ કરાર હેઠળ મુખ્ય બાબત એ માનવામાં આવતી હતી કે જો કોઈ એક સભ્ય દેશ પર હુમલો થાય તો તે ત્રણેય દેશો પરનો હુમલો ગણાશે.
સાઉદી અરેબિયાની ગણતરીઓ ઊંધી પડી?
તાજેતરના પ્રાદેશિક સંઘર્ષમાં ઇરાન દ્વારા ખાડી દેશોમાં આવેલા અમેરિકી લશ્કરી મથકોને નિશાન બનાવીને કરવામાં આવેલા મિસાઇલ હુમલાઓ બાદ સાઉદી અરેબિયા પોતાની સુરક્ષાને લાઇનઅપ કરવા માંગતું હતું. એવું માનવામાં આવતું હતું કે આ ત્રિપક્ષીય કરાર ઇરાન તરફથી મળતી ધમકીઓ સામે સાઉદીને મજબૂત કવચ પૂરું પાડશે. પરંતુ તૂર્કિયેના વલણે સાઉદી માટે આંચકાજનક સ્થિતિ સર્જી છે.
તૂર્કિયેની સરકારી સમાચાર એજન્સી 'અનાડોલુ'ને આપેલા ઇન્ટરવ્યુમાં વિદેશ મંત્રી હાકાન ફિદાને સ્પષ્ટતા કરી હતી કે આ કરાર હેઠળ કોઈ ચોક્કસ દેશને દુશ્મન માનવામાં આવ્યો નથી. તેમણે જણાવ્યું હતું કે, 'અમારી પાસે લેખિતમાં એવું કંઈ નથી જે કોઈ સામાન્ય ખતરાને વ્યાખ્યાયિત કરતું હોય. જે દેશ આપણા પર હુમલો કરતો નથી, તે આપણા માટે લક્ષ્ય નથી.'
ઓટોમેટિક સૈન્ય મદદ નહીં મળે
તૂર્કિયેના વિદેશ મંત્રી હાકાન ફિદાને જણાવ્યું હતું કે, 'નાટોના આર્ટિકલ 5ની જેમ પરસ્પર સંરક્ષણની જોગવાઈઓ ટેકનિકલી હોવા છતાં, કોઈ એક દેશ પર હુમલો થતાં જ સૈન્ય સહાય આપમેળે શરૂ થઈ જશે નહીં.' તૂર્કિયેના આ વલણથી સ્પષ્ટ થાય છે કે તે ઇરાન સાથે સીધો તણાવ વધારવા માંગતું નથી, જેના કારણે આ નવા જોડાણની વાસ્તવિક ક્ષમતા અને હેતુ પર હવે પ્રશ્નાર્થચિહ્ન મુકાઈ ગયું છે.









