Get The App

સત્તા પલટતાં જ બાંગ્લાદેશના સૂર બદલાયા! રહેમાને યુનુસનો ફરમાન રદ કરી ભારત અંગે લીધો મોટો નિર્ણય

Updated: Feb 20th, 2026

GS TEAM

Google News
Google News
સત્તા પલટતાં જ બાંગ્લાદેશના સૂર બદલાયા! રહેમાને યુનુસનો ફરમાન રદ કરી ભારત અંગે લીધો મોટો નિર્ણય 1 - image


Bangladesh Restores Visa Services for Indian Citizens | બાંગ્લાદેશના નવા વડાપ્રધાન તારિક રહેમાને ભારતીય નાગરિકો માટે ફરીથી વિઝા સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. શેખ હસીના સરકારનો સત્તાપલટો થયો તે પછી ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં ખટાશ આવી હતી. બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા પણ વધી હતી. એવામાં હવે ચૂંટણી બાદ ચૂંટાયેલી નવી સરકાર સત્તામાં આવતા જ બાંગ્લાદેશના સૂર બદલાયા છે. એવું લાગી રહ્યું છે કે બાંગ્લાદેશ હવે ભારત સાથે સંબંધો સુધારવા માંગે છે. 

બાંગ્લાદેશે ભારતીયો માટે વિઝા સેવા ફરી શરૂ કરી 

દિલ્હી સ્થિતિ બાંગ્લાદેશ હાઈ કમિશને ભારતીય નાગરિકો માટે વિઝા સેવા ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી છે. આશરે બે મહિના અગાઉ બાંગ્લાદેશે ભારતીયોના વિઝા બંધ કર્યા હતા. જોકે ત્રણ દિવસ પહેલા જ BNP નેતા તારિક રહેમાને બાંગ્લાદેશના વડાપ્રધાનની ખુરશી સંભાળી છે. 

યુનુસના શાસનમાં ભારત-બાંગ્લાદેશ વચ્ચે વધ્યો હતો તણાવ

ડિસેમ્બર મહિનામાં બાંગ્લાદેશમાં વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદ બાંગ્લાદેશે ભારત પર ગંભીર આરોપ લગાવ્યા હતા. બીજી તરફ બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાની ઘટના વધી રહી હતી. એવામાં બંને દેશોએ એકબીજાના નાગરિકો માટે વિઝા પર રોક લગાવી હતી. જોકે હવે ઢાકામાં યુનુસની વિદાય બાદ બંને દેશો વચ્ચેની કડવાશ દૂર થવાના સંકેત મળ્યા છે. 

નોંધનીય છે કે ભારત અત્યારે બાંગ્લાદેશીઓને માત્ર ડબલ એન્ટ્રી વિઝા અને મેડિકલ વિઝા જ આપે છે. એવામાં હવે અન્ય શ્રેણીમાં પણ વિઝા સેવા શરૂ ટૂંક સમયમાં જ શરૂ થાય તેવી શક્યતા છે.

સત્તા પલટતાં જ બાંગ્લાદેશના સૂર બદલાયા! રહેમાને યુનુસનો ફરમાન રદ કરી ભારત અંગે લીધો મોટો નિર્ણય 2 - image

રહેમાન ભારત યાત્રા પર આવશે? 

આ અઠવાડિયે જ તારિક રહેમાનની શપથવિધિ કાર્યક્રમમાં ભારતની લોકસભાના સ્પીકર ઓમ બિરલા સામેલ થયા હતા. બિરલાએ PM મોદીનો પત્ર રહેમાનને સોંપ્યો અને તેમને ભારત આવવા આમંત્રણ આપ્યું. નોંધનીય છે કે મોટા ભાગે બાંગ્લાદેશમાં નવી સરકારના વડાપ્રધાન પોતાની પહેલી વિદેશ યાત્રામાં દિલ્હી જ આવતા હોય છે. જોકે મોહમ્મદ યુનુસ આ પરંપરા તોડીને ચીન ગયા હતા. હવે જોવાનું રહેશે કે રહેમાન પોતાની પ્રથમ વિદેશ યાત્રામાં કયા દેશની પસંદગી કરે છે.