- શેખ હસીનાને પદભ્રષ્ટ કર્યા પછી મુહમ્મદ યુનુસનાં 'છત્ર' નીચેની સરકારે ચીન અને પાકિસ્તાન સાથે ઘનિષ્ટતા કેળવી છે
ઢાકા : બાંગ્લાદેશમાં ૧૨મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે જેમાં 'જાતીય-સંસદ' (નેશનલ પાર્લામેન્ટ)ના સાંસદો ચૂંટી કઢાશે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાનાં ૧૫ વર્ષનાં લાંબા શાસનનો કરૂણ અંત આવ્યા પછી યોજાનારી આ પહેલી સામાન્ય ચૂંટણી બની રહેશે.
શેખ હસીના ઓગસ્ટ ૨૦૨૪માં પદભ્રષ્ટ થયા પછી નોવેલ પારિતોષિક વિજેતા મુહમ્મદ યુનુસનાં છત્ર નીચે સરકાર રચાઈ હતી, તે પછી આ પહેલી ચૂંટણી છે તેમાં વિવિધ પક્ષોની સ્થિતિ જોઈએ.
(૧) બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બી.એન.પી) : આ વખતની ચૂંટણીમાં બીએનપી મુખ્ય સ્પર્ધક છે. પાર્ટીમાં અધ્યક્ષ અને પૂર્વ વડાપ્રધાન ખાલીદા ઝીયાનાં નિધન પછી તેઓના પુત્ર તારીક રહેમાન પાર્ટીના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળે છે. અત્યારે બીએનપી અગ્રક્રમે છે, તારીક રહેમાન વડાપ્રધાન પદ માટેના ઉમેદવાર છે.
(૨) ૧૧ પક્ષોનું ગઠબંધન : બાંગ્લાદેશ જમાત-એ-ઇસ્લામી (જેઆઈ) અને નેશનલ સીટીઝન્સ પાર્ટી (એન.સી.પી.) સાથે બાંગ્લાદેશ ખેવાફર મજલિસ, અમર બાંગ્લાદેશ પાર્ટી, ખિલાફત મજલિસ, બાંગ્લાદેશ-લેબર-પાર્ટી લિબરલ ડેમોક્રેટિક પાર્ટી, જાતીય ગણતંત્ર પાર્ટી વગેરે મળી કુલ ૧૧ પાર્ટીનું ગઠબંધન આ ચૂંટણીમાં ઝુંકાવી રહ્યું છે.
(૩) જાતીય પાર્ટી સ્પિલટર્ન ગુ્રપ : પૂર્વ લશ્કરી શાસક હુસેન મુહમ્મદ ઇર્શાદે સ્થાપેલી 'જાતીય પાર્ટી' અને નાની નાની પાર્ટીઓનું જૂથ પણ આ ચૂંટણીમાં ઝુંકાવવાનું છે પરંતુ તે જૂથ કેટલું સાથે રહી શકશે તે પ્રશ્ન છે. તેથી તેને સ્પીલટર્ન ગુ્રપ કહ્યું છે.
શેખ હસીનાની 'આવામી લીગ'ને આ ચૂંટણીમાં ભાગ લેવા ઉપર પ્રતિબંધ છે. આવામી લીગ ભારત સાથે સંબંધો મજબૂત રીતે બાંધવાના મતની છે. આ ચૂંટણીમાં બીએનપી જીતે તો શું થાય.
(૧) બી.એન.પી.નો વિજય : બીએનપી સામાન્યત: ચીન તરફી પરંતુ તેના નેતા તારિક રહેમાન વ્યવહારૂ છે. પાર્ટીના ચૂંટણી ઘોષણાપત્રમાં જ ભારત સાથે સારા સંબંધો બાંધવાની વાત કહેવાઈ છે. જોકે તેથી ભારત-બાંગ્લાદેશ સંબંધો તુર્ત જ નિકટવર્તી બની રહે તેમ માનવું ઉતાવળ ભર્યું બનશે.
(૨) બીએનપી - જમાત-ગઠબંધન : બીએનપી બહુમતી ન મેળવી શકે તો તે જમાત-એ-ઈસ્લામી સાથે ૨૦૦૧માં સાધ્યું હતું તેવું ગઠબંધન સાધે એક તરફ તે ભારત સાથે સહકારની વાત કરે છે, તો બીજી તરફ ૧૯૭૧માં તે સમયનાં પૂર્વ પાકિસ્તાનને મુક્ત કરી બાંગ્લાદેશનાં નિર્માણના વિરોધી છે. તેથી પરિસ્થિતિ ઘણી ગૂંચવાઈ છે.
(૩) ઈસ્લામિસ્ટ હાર્ડ-લાઇનર બ્લોક : આ જૂથ જો બાંગ્લાદેશની સંસદમાં બહુમતી મેળવે તો તે ભારત સાથે અકારણ સરહદી વિવાદ પણ ઉભો કરી દેશમાં ભારત વિરોધી હવા ફેલાવે તે ઉપરાંત તે નદીના જળની વહેંચણીનો પણ વિવાદ ઉભો કરે તે અસંભવિત નથી, અને તેના પૂર્વોત્તર ભારત માટે 'લેન્ડલોકડ રીજીયન' તેવો શબ્દ પ્રયોગ કરતાં પરિસ્થિતિ ગૂંચવણભરી બની રહી છે.


