ઓમાનમાં કોમર્શિયલ જહાજ પર હુમલો 13 ભારતીય ક્રૂને બચાવાયા, એક લાપતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મસ્કત/કૈરો : પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ ધીમે ધીમે વધુ ફેલાઈ રહ્યું છે. હવે ઓમાનના દરિયા કિનારા નજીક એક કોમર્શિયલ જહાજ એમટી અલ-ગૈઆ પર હુમલો કરાયો હતો. જહાજ પર સવાર ૧૪ ભારતીય ક્રૂમાંથી ૧૩ને બચાવી લેવાયા છે જ્યારે એક લાપતા છે. ઈરાને પણ તેના કોમર્શિયલ જહાજ પર રવિવારે વહેલી સવારે હુમલો થયો હોવાનો અને તેમાં એકનું મોત થયાનો દાવો કર્યો હતો. બીજીબાજુ ઈરાન સમર્થિત હુથી બળવાખોરો અને સાઉદી અરબ વચ્ચે શરૂ થયેલું યુદ્ધ વધુ ભયાનક બની રહ્યું છે. હુથી બળવાખોરોએ જજાન પ્રાંત પર મિસાઈલ હુમલો કર્યો હતો, જેમાં એક મસ્જિદને નુકસાન થયું છે અને તેના સૈન્ય બેઝનો નાશ થયો છે.
ભારતમાં યોજાયેલી બે દિવસની બ્રિક્સ બેઠકમાં સમુદ્રી વ્યાવસાયિક જળમાર્ગો અને ભારતીય નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવાયો હતો ત્યારે ઓમાનના દરિયા કિનારે ફરી એક વખત રવિવારે કોમર્શિયલ જહાજ એમટી અલ ગાઈયા પર હુમલો થયો હતો.
મિશન પનામા ધ્વજવાળા ટેન્કર એમટી અલ ગાઈઆમાં ૧૪ ભારતીય ક્રૂ સવાર હતા, જેમાંથી ૧૩ને બચાવી લેવાયા છે જ્યારે એક લાપતા છે, તેને શોધવા માટે બચાવ અભિયાન ચલાવાયું છે તેમ ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું. ભારતીય વિદેશ મંત્રાલયે નવી દિલ્હીમાં આ કોમર્શિયલ જહાજ પર થયેલા હુમલાની આકરી ટીકા કરી હતી. જોકે, આ હુમલો કોણે કર્યો તે સ્પષ્ટ થઈ શક્યું નથી. આ સિવાય હોર્મુઝની ખાડીમાં કાસેમ ટાપુ નજીક ઈરાનના કોમર્શિયલ જહાજ પર હુમલો થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ચાર ઘાયલ થયા હતા. હોર્મુઝની ખાડીમાં અમેરિકા અને ઈરાન યુદ્ધ અનિશ્ચિતતા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે યમનમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરો અને સાઉદી અરબ વચ્ચે યુદ્ધ વકરી રહ્યું છે. હુથી બળવાખોરોએ સાઉદી અરબ પર સતત હુમલા ચાલુ રાખ્યા છે. હુથી બળવાખોરોએ હવે સાઉદીના જાજાન પ્રાંત પર મિસાઈલ હુમલો કર્યો હતો, જેમાં એક મસ્જિદને નુકસાન થયું હતું અને સાઉદીના સૈન્ય બેઝનો નાશ થયો હોવાનો હુથી બળવાખોરોએ દાવો કર્યો હતો.
સાઉદી સિવિલ ડિફેન્સે કહ્યું કે, હુથી બળવાખોરોએ દક્ષિણ જાજાન પ્રાંતમાં મિસાઈલ હુમલો કર્યો હતો, જેમાં બે લોકો ઘાયલ થયા હતા અને એક મસ્જિદ તૂટી ગઈ હતી. આ સિવાય અનેક મસ્જિદોને નુકસાન થયું છે. ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશન અને સ્થાનિક અધિકારીઓ મુજબ હુથી અને સાઉદીના યુદ્ધમાં અત્યાર સુધીમાં ૫૦૦ લોકો માર્યા ગયા છે.
વધુમાં હુથી બળવાખોરો સમર્થિત હાશિશ જનજાતિઓએ સશસ્ત્ર પીકઅપ ટ્રકોના મોટા કાફલા સાથે યમનમાં મારિબ પર કબજો કરવા આગેકૂચ કરવાની જાહેરાત કરી હતી. આ જનજાતિના લોકો સેંકડો સશસ્ત્ર ટોયોટા પીકઅપમાં મશીનગન અને એન્ટી-એરક્રાફ્ટ ગઈન મારિબ તરફ રવાના થતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.




