World

મલેશિયામાં અનિશ્ચિતતાનો અંત, સુલતાને અનવર ઈબ્રાહિમને નવા PM તરીકે નોમિનેટ કર્યા, આજે શપથ ગ્રહણ થશે

By GS Team
24 Nov 20222 mins read
This article was originally published on 24 Nov 2022
મલેશિયામાં અનિશ્ચિતતાનો અંત, સુલતાને અનવર ઈબ્રાહિમને નવા PM તરીકે નોમિનેટ કર્યા, આજે શપથ ગ્રહણ થશે

- ઈબ્રાહિમ મલેશિયાના 10મા વડાપ્રધાન હશે

નવી દિલ્હી,તા.24 નવેમ્બર 2022,ગુરૂવાર

મલેશિયાના સુલતાન અબ્દુલ્લા અહમદ શાહે અનવર ઈબ્રાહીમને દેશના નવા વડાપ્રધાન તરીકે નોમિનેટ કર્યા છે. દેશના નવ રાજ્યોના રાજાઓ સાથેની ખાસ બેઠકમાં વિચાર વિમર્શ કર્યા બાદ ઈબ્રાહિમની નિમણૂકનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે મલેશિયામાં ખંડિત જનાદેશથી સર્જાયેલી રાજકીય અનિશ્ચિતતાનો અંત આવ્યો.

અહેવાલ અનુસાર, મહેલ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં ઈબ્રાહિમના નોમિનેશનની જાણકારી આપવામાં આવી છે. અનવર ઈબ્રાહિમ ગુરૂવારે સ્થાનિક સમય મુજબ સાંજે 5 વાગ્યે મલેશિયાના 10મા વડાપ્રધાન તરીકે શપથ લેશે. ઈબ્રાહિમ મલેશિયાના 10મા વડાપ્રધાન હશે.

અનવર ઈબ્રાહિમ સુધારાવાદી વિપક્ષી નેતા છે. તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં, અનવરની આગેવાની હેઠળના પાકટન હરાપન ગઠબંધને સૌથી વધુ 82 બેઠકો જીતી હતી. રોયલ કોમ્પ્ટ્રોલર ફાદલી શમસુદ્દીને એક નિવેદન જારી કરીને કહ્યું કે મલય શાસકોના વિચારોને સમજ્યા બાદ સુલતાન દાતુક સેરી અનવર ઈબ્રાહિમને મલેશિયાના 10મા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવા માટે સંમત થયા છે. આ સાથે મલેશિયામાં સામાન્ય ચૂંટણીના પાંચ દિવસ બાદ નવી સરકારની રચનાનો રસ્તો સાફ થઈ ગયો છે. 1998 માં નાયબ વડા પ્રધાન તરીકે બરતરફ કરવામાં આવ્યા અને સત્તાના દુરુપયોગના આરોપ પછી ઇબ્રાહિમનો વડા પ્રધાનપદનો ઉદય થયો.

સુલતાને એકતા સરકારનો પ્રસ્તાવ મૂક્યો હતો

મલેશિયાના વડા પ્રધાન વિશેની જાહેરાત સુલતાન અબ્દુલ્લા અહમદ શાહની એકતા સરકાર બનાવવાની દરખાસ્ત સાથે બહુમતી પક્ષો સંમત થયા પછી આવી. મીડિયા અહેવાલો અનુસાર, અનવર ઇબ્રાહિમ અને તેમના પ્રતિસ્પર્ધી પેરિકટન નેશનલ (PN)ના વડા મુહિદ્દીન યાસીન સંસદમાં બહુમત માટે જરૂરી 112 સાંસદોનું સમર્થન મેળવવામાં અસમર્થ હતા. તેના પગલે, ગુરુવારે, યુનાઈટેડ મલય નેશનલ ઓર્ગેનાઈઝેશન (યુએમએનઓ) પાર્ટીએ એકતા સરકારનો ભાગ બનવાની ઈચ્છા દર્શાવી, બારીસન નેશીયનલ (બીએન) ગઠબંધનના વિરોધમાં રહેવાના તેના અગાઉના વલણથી અલગ થઈને. મલેશિયાના અન્ય રાજકીય પક્ષોએ પણ UMNO દ્વારા લેવામાં આવેલા સ્ટેન્ડને ટેકો આપ્યો હતો. PN એ પણ જાહેરાત કરી હતી કે તે સમાન વિચારધારા ધરાવતા રાજકીય પક્ષો સાથે એકતા સરકારની દરખાસ્ત પર વિચાર કરશે.