World

PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડક્યું અમેરિકા, ટ્રમ્પના મંત્રીએ ભારતને ધમકાવ્યું

By GS Team
3 Sep 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ઈરાન સાથે વેપાર કરનારા દેશોને કડક પ્રતિબંધોની ખુલ્લી ચેતવણી આપી છે. વડાપ્રધાન મોદી અને ઈરાનના પ્રમુખ પેઝેશ્કિયાન વચ્ચે બિશકેકમાં SCO સમિટ દરમિયાન થયેલી બેઠક બાદ આ નિવેદન આવ્યું છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું કે કોઈ દેશે ઈરાનને આતંકવાદ કે પરમાણુ હથિયારો માટે મદદ ન કરવી જોઈએ, અન્યથા તેઓ પણ સમાન પ્રતિબંધોનો સામનો કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડક્યું અમેરિકા, ટ્રમ્પના મંત્રીએ ભારતને ધમકાવ્યું

USA Threat to India about Iran : ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભારે વિવાદ અને તંગદિલી વચ્ચે અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ વિશ્વના દેશોને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન પર લાદવામાં આવેલા અમેરિકન પ્રતિબંધોમાંથી તેને બચાવવાનો પ્રયાસ કરનાર કે તેની સાથે વેપાર કરનાર કોઈ પણ દેશ પર ટ્રમ્પ પ્રશાસન કડક પ્રતિબંધો લગાવતા ખચકાશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે થયેલી તાજેતરની બેઠક બાદ આ નિવેદન સામે આવ્યું છે.

માર્કો રુબિયોની કડક ચેતવણી

બિશકેકમાં SCO સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી અને ઈરાની પ્રમુખ પેઝેશ્કિયાન વચ્ચે થયેલી બેઠક અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે, ભારત અને ઈરાન વચ્ચે હાલ કોઈ નવી ટ્રેડ ડીલ થઈ હોય તેવું તેમને લાગતું નથી. પરંતુ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નીતિ સ્પષ્ટ કરી છે કે કોઈ પણ દેશે ઈરાનને અમેરિકન પ્રતિબંધોથી બચાવવામાં મદદ ન કરવી જોઈએ.

આતંકવાદ અને પરમાણુ હથિયારોનો મુદ્દો

અમેરિકન વિદેશ મંત્રીએ ઉમેર્યું હતું કે ઈરાન કમાણી કરી શકે અને તે પૈસાનો ઉપયોગ આતંકવાદને પ્રોત્સાહન આપવા કે પરમાણુ હથિયારો બનાવવા માટે કરે તેવી કોઈ વ્યવસ્થા બનાવવામાં કોઈ દેશે મદદ ન કરવી જોઈએ. જો કોઈ દેશ ઈરાન સાથે આવો વેપારી કરાર કરવાનો નિર્ણય કરશે, તો અમેરિકા તે દેશ પર પણ આકરા પ્રતિબંધો લાદવા મજબૂર બનશે.

SCO સમિટમાં મોદી અને પેઝેશ્કિયાન વચ્ચે બેઠક

કિર્ગિસ્તાનની રાજધાની બિશકેકમાં યોજાયેલી 'શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન' (SCO) પરિષદ દરમિયાન પીએમ મોદી અને ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની પ્રવર્તમાન પરિસ્થિતિ અને ક્ષેત્રમાં વધી રહેલા વિવાદ પર ચર્ચા કરી હતી.

શાંતિ અને કૂટનીતિ પર ભારતનો ભાર

ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારતનું વલણ પુનરાવર્તિત કરતા કહ્યું હતું કે તમામ વિવાદોનો ઉકેલ યુદ્ધના બદલે માત્ર વાટાઘાટો અને કૂટનીતિ (ડિપ્લોમસી) દ્વારા જ લાવવો જોઈએ. આ ઉપરાંત તેમણે દરિયાઈ વાહતુક અને મુક્ત વેપારની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને સામાન્ય નાગરિકો તેમજ જહાજો પર કામ કરતા નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી.

ઈરાનનો અમેરિકા પર આક્ષેપ

બીજી તરફ, ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને તાજેતરના સંઘર્ષ સમયે ભારતે આપેલા સહયોગની પ્રશંસા કરી હતી અને ક્ષેત્રમાં શાંતિ સ્થાપવા માટે ભારત પોતાની કૂટનીતિક ક્ષમતાઓનો ઉપયોગ કરે તેવી વિનંતી કરી હતી. આ સાથે જ તેમણે અમેરિકા પર આરોપ લગાવ્યો હતો કે કૂટનીતિનો માર્ગ અપનાવવાના બદલે અમેરિકાએ યુદ્ધ અને અશાંતિનો રસ્તો પસંદ કર્યો છે.