નેપાળ બાદ ચીનમાં આફત, ભૂસ્ખલન થતાં કાટમાળમાં દટાયેલા 16 લોકોના મોત, 500થી વધુ ગુમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

China Landslide: ચીન-નેપાળ સરહદે આવેલા ગિરોંગ પોર્ટ (Gyirong Port) પર 26મી ઓગસ્ટે થયેલા વિનાશક ભૂસ્ખલન બાદ પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. દક્ષિણ-પશ્ચિમ ચીનના તિબેટ સ્વાયત્ત ક્ષેત્રના વહીવટીતંત્રના જણાવ્યાનુસાર, શનિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં 16 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 546 લોકો હજુ પણ ગુમ છે. ગુમ થયેલા લોકોમાં 49 ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે. રાહત અને બચાવ ટીમો હાલમાં ગુમ થયેલા લોકોને શોધવા માટે સતત બચાવ કામગીરી ચલાવી રહી છે.
23 દેશોના કુલ 261 વિદેશી નાગરિકો ગુમ
અહેવાલો અનુસાર, ભૂસ્ખલન પછી 23 દેશોના કુલ 261 વિદેશી નાગરિકો ગુમ હોવાના અહેવાલ છે. આમાંથી સૌથી વધુ નેપાળના 104 નાગરિકો ગુમ થયા છે. આ સિવાય ગુમ થયેલા લોકોમાં ભારતના 49, લાતવિયાના 33, અમેરિકાના 18 અને બ્રિટનના 15 નાગરિકોનો સમાવેશ થાય છે. ઉપરાંત કેનેડા અને ઓસ્ટ્રેલિયાના 6-6 નાગરિકો, દક્ષિણ આફ્રિકાના 4, મલેશિયાના 3, જર્મનીના 3 અને રશિયાના 3 નાગરિકો પણ ગુમ છે. આયર્લેન્ડ અને એસ્ટોનિયાના 2-2, તથા ફ્રાન્સ, નેધરલેન્ડ્સ અને ન્યૂઝીલેન્ડ સહિત અન્ય ઘણાં દેશોના નાગરિકો પણ ગુમ થયેલા લોકોની યાદીમાં સામેલ છે.
વિદેશીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર
તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં તાજેતરમાં આવેલા પૂર અને ભૂસ્ખલન બાદ, સ્થાનિક અધિકારીઓએ ગુમ થયેલા વિદેશી નાગરિકો વિશે જાણકારી આપવા અને માહિતી એકત્રિત કરવા માટે 24 કલાક કાર્યરત બે વિશેષ અંગ્રેજી ભાષાની હેલ્પલાઇન શરૂ કરી છે. આ હેલ્પલાઇન દ્વારા ગુમ થયેલા વિદેશી નાગરિકોના પરિવારો તેમના પ્રિયજનો વિશે માહિતી મેળવી શકશે. તિબેટ વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા સમર્પિત હેલ્પલાઇન નંબરો 0086-891-6817165 અને 0086-183-0802-6705 છે.




