Afghanistan-Pakistan Border War : અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ફરી ભયાનક ઘર્ષણ શરૂ થઈ ગયું છે. પાકિસ્તાની સેનાએ હવાઈ હુમલા કર્યા બાદ વળતો જવાબ આપી અફઘાન સુરક્ષા દળોએ પૂર્વ દિશામાં આવેલા રાજ્યોમાં ઘર્ષણ શરૂ કરી દીધું છે. અફઘાનિસ્તાનની સેનાના ખાલિદ બિન વલીદ કૉર્પ્સના પ્રવક્તાએ આ માહિતી આપી છે. અફઘાન સરકારે દાવો કર્યો છે કે, તેણે પાકિસ્તાનની 15 સરહદી પોસ્ટો પર કબજો કરી લીધો છે, જેમાં અનેક પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે અને કેટલાકને પકડી લેવામાં આવ્યા છે.
અફઘાનિસ્તાને પાકિસ્તાનને આપ્યો વળતો જવાબ
પાકિસ્તાને તાજેતરમાં જ અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક કરી હતી, જેના જવાબમાં આ કાર્યવાહી કરાઈ હોવાનો પ્રવક્તાએ દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, તેમના દેશે પાકિસ્તાની સરહદ પાસે મોટાપાયે સૈન્ય અભિયાન શરૂ કરી દીધું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, પાકિસ્તાની સેનાએ વારંવાર ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી ઉલ્લંઘન કર્યું છે, જેના જવાબમાં વિવાદાસ્પદ ડુરંડ લાઈનની આસપાસ મોટાપાયે સૈન્ય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પાકિસ્તાની સરહદી ચોકીઓ અફઘાનના નિશાના પર
અફઘાનિસ્તાની સેનાએ એક સાથે કાર્યવાહી કરીને પાકિસ્તાની સરહદી ચોકીઓને નિશાન બનાવી છે. અફઘાનિસ્તાન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, ખોસ્ત, પકતિયા અને નૂરિસ્તાન રાજ્ય સહિત અનેક વિસ્તારોમાં પાકિસ્તાન સેના વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે. હાલ બંને દેશો વચ્ચે સ્થિતિ તંગ બની છે. બીજીતરફ આ ઘર્ષણમાં મૃત્યુઆંકનો કે લડાઈ મામલે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી, પરંતુ નિવેદનથી સંકેત મળ્યા છે કે, આ કોઈ નાનું ઘર્ષણ નથી, પરંતુ મોટી સૈન્ય કાર્યવાહી છે.
પાકિસ્તાને તાજેતરમાં જ અફઘાન પર એરસ્ટ્રાઈક કરી હતી
આ પહેલા 24 ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ઘર્ષણ શરૂ થયું હતું, જેમાં પાકિસ્તાની તોપોએ અફઘાન પર અનેક હુમલા કર્યા હતા. સરહદ પર પાંચ જગ્યાઓએ ભારે ગોળીબાર કરાયો હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતો. સેનાએ ઉરઘા બોર્ડર પાસે અફઘાનિસ્તી પોસ્ટ પર આર્ટિલરીનો ઉપયોગ કરીને તોપમારો કર્યો હતો. ત્યારબાદ ઉરાઘા બોર્ડર, જકા ખેલ, વરઘા, શાહકોટ અને લંદી કોટલ વિસ્તારોમાં ઘર્ષણ શરૂ થઈ ગયું હતું. પાકિસ્તાને આતંકી હુમલાઓનો બદલો લેવા અફઘાનિસ્તાનમાં આતંકીઓના સાત સ્થળો પર હવાઈ હુમલો કરી 70 આતંકીઓનો સફાયો કર્યો હોવાનો દાવો કર્યો હતો. પાકિસ્તાને લગભગ પાંચ મહિનાના સમયમાં અફઘાનિસ્તાન પર રવિવારે ફરી એક વખત એરસ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં એક જ પરિવારના 19 લોકો માર્યા ગયા હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલો કરવાની ઘટનાની ભારતે નિંદા કરી છે.
પાકિસ્તાન-તાલિબાન વિવાદનું કારણ
પાકિસ્તાન લાંબા સમયથી ટીટીપીના આતંકીઓ સરહદ પાર કરી હુમલા કરી રહ્યા હોવાના આક્ષેપો કરતું રહ્યું છે. જોકે, તાલિબાન સરકાર અને ટીટીપીએ આ આક્ષેપોને સતત નકારી કાઢ્યા છે. પાકિસ્તાનનું માનવું છે કે, અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને તેમની જમીનનો પાકિસ્તાનમાં આતંકવાદી પ્રવૃત્તિ ફેલાવવા માટે ઉપયોગ નહીં કરવા દેવા વારંવાર વિનંતી કરવામાં આવી હતી. પરંતુ તેઓ આતંકીઓ સામે નોંધપાત્ર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ પૃષ્ઠભૂમિમાં પાકિસ્તાને ગુપ્તચર માહિતીના આધારે આતંકીઓની સાત છાવણીઓ પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં 70 આતંકીઓ માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના પાકિસ્તાની નાગરિકો હતા. આ આતંકીઓ હુમલા કરીને અફઘાનિસ્તાનમાં ભાગી જતા હતા.


