કાશ્મીર ભારતનું જ છે... અમેરિકાના એક નિવેદનથી પાકિસ્તાનમાં હડકંપ! વિદેશ મંત્રાલયનું જૂનું રટણ ચાલુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sergio Gor Kashmir Visit: અમેરિકન પ્રમુખના ભારત સ્થિત રાજદૂત સર્જિયો ગોરે શ્રીનગર ખાતે આપેલા એક મહત્ત્વના નિવેદનને કારણે પાકિસ્તાનમાં મોટો ખળભળાટ મચી ગયો છે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે કાશ્મીર પ્રવાસ દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે 'જમ્મુ-કાશ્મીર ભારતનો જ ભાગ છે.' આ સાથે તેમણે અમેરિકન નાગરિકોને કાશ્મીરની મુલાકાત લેવા પ્રોત્સાહિત કરવાની અને ટ્રાવેલ એડવાઇઝરીની સમીક્ષા કરવાની વાત પણ કરી હતી. સુપરપાવર દેશના પ્રતિનિધિ દ્વારા જાહેર મંચ પરથી કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ ગણાવતા જ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનનો ખોટો પ્રોપેગેન્ડા પડી ભાંગ્યો છે.
ઉપ-રાજદૂતને 'ડિમાર્શે' પાઠવ્યો
અમેરિકન રાજદૂત સર્જિયો ગોરના આ નિવેદનથી અકળાયેલા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ઇસ્લામાબાદ ખાતે તહેનાત અમેરિકન ઉપ-રાજદૂત સામે આકરો વિરોધ નોંધાવ્યો હતો અને તેમને એક વિરોધ પત્ર (ડિમાર્શે) આપ્યો હતો. પાકિસ્તાની અધિકારીઓએ અમેરિકન દૂતના નિવેદનને સખત શબ્દોમાં ફગાવી દીધું હતું. પાકિસ્તાને દાવો કર્યો હતો કે કાશ્મીર એક આંતરરાષ્ટ્રીય વિવાદિત ક્ષેત્ર છે અને તેનો ઉકેલ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના પ્રસ્તાવ મુજબ થવો જોઈએ.
અમેરિકા સામે કડક વલણ વચ્ચે ટ્રમ્પ સમક્ષ મધ્યસ્થતાની વિનંતી
આ સમગ્ર ઘટનાક્રમમાં પાકિસ્તાનની લાચારી અને બેવડું વલણ સ્પષ્ટપણે છતું થયું છે. એક તરફ પાકિસ્તાન અમેરિકાને દશકો જૂની નીતિઓનું પાલન કરવાની સલાહ આપી રહ્યું છે, તો બીજી તરફ તે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવા માટે વિનંતી પણ કરી રહ્યું છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે જાહેર કરેલા પત્રમાં ડોનાલ્ડ ટ્રમ્પના એ જૂના નિવેદનની પ્રશંસા કરવામાં આવી છે, જેમાં તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરવાની ઓફર કરી હતી.
પાકિસ્તાનની અકળામણનું મુખ્ય કારણ
કૂટનીતિક દ્રષ્ટિએ અમેરિકન રાજદૂતનું શ્રીનગર જવું અને ત્યાંથી કાશ્મીરને ભારતનો ભાગ ગણાવવો એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ઘટના છે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ શાંતિ અને વિકાસનો નવો યુગ શરૂ થયો છે, જે હવે દુનિયા જોઈ રહી છે. પાકિસ્તાન દ્વારા અમેરિકન ડિપ્લોમેટને સમન પાઠવવું એ માત્ર પોતાની સ્થાનિક જનતાને ગુમરાહ કરવાનો એક પ્રયાસ છે, કારણ કે વૈશ્વિક મંચ પર પાકિસ્તાનના આ વિરોધને હવે કોઈ ગંભીરતાથી લઈ રહ્યું નથી.









