World

પાકિસ્તાનનો સાથ આપનારા તૂર્કિયેનો યુ-ટર્ન: ભારત સાથે સંબંધો સુધારવા એર્દોગનનો નવો માસ્ટરપ્લાન!

By GS Team
3 Sep 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાનને મદદ કરનાર તૂર્કિયે હવે ભારત સાથે રાજદ્વારી અને આર્થિક સંબંધો સુધારવા પ્રયાસ કરી રહ્યું છે. જૂનમાં તૂર્કિયેના વિદેશ મંત્રી હાકન ફિદાને જણાવ્યું કે, બંને દેશો વચ્ચે કોઈ ભૌગોલિક સીમા કે દ્વિપક્ષીય વિવાદ નથી. આર્થિક લાભ માટે તૂર્કિયે ભારતીય વેપાર, રોકાણ અને પ્રવાસન ક્ષેત્રે પહોંચ વધારવા માંગે છે. કાશ્મીર અને ઓપરેશન સિંદૂરના તણાવ બાદ પણ, સંબંધો સુધારવા મંત્રણા શરૂ થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાનનો સાથ આપનારા તૂર્કિયેનો યુ-ટર્ન: ભારત સાથે સંબંધો સુધારવા એર્દોગનનો નવો માસ્ટરપ્લાન!
IMAGE - IANS

India Turkey Relations: ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનની મદદ કરનાર તૂર્કિયે હવે ભારત સાથેના પોતાના રાજદ્વારી અને આર્થિક સંબંધો સુધારવાના પ્રયાસો કરી રહ્યું છે. જૂન મહિનામાં તૂર્કિયેના વિદેશ મંત્રી હાકન ફિદાને નિવેદન આપતાં જણાવ્યું હતું કે, તૂર્કિયે ભારત સાથે સારા અને મજબૂત સંબંધો ઈચ્છે છે, કારણ કે બંને દેશો વચ્ચે કોઈ ભૌગોલિક સીમા કે દ્વિપક્ષીય વિવાદો નથી. ભારત સાથે આપણો કોઈ નકારાત્મક ઈતિહાસ પણ રહ્યો નથી. પાકિસ્તાન સાથે તૂર્કિયેના ઐતિહાસિક અને ભાઈચારાના સંબંધો હોવા છતાં, ભારત અને તૂર્કિયે પોતાના મતભેદો બાજુ પર મૂકીને સકારાત્મક એજન્ડા સાથે આગળ વધી શકે છે.

SCOનું પૂર્ણ સભ્ય બનવા તૂર્કિયેની આતુરતા

તૂર્કિયે શંઘાઈ સહયોગ સંગઠન (SCO)નું પૂર્ણ સભ્ય બનવા માટે પણ ઈચ્છુક છે. જો આમ થશે તો SCOમાં એક ગઠબંધન દેશ તરીકે NATOના વધુ એક દેશની એન્ટ્રી થશે. જોકે, તૂર્કિયેના પ્રમુખ રજબ તૈયબ એર્દોગને સ્પષ્ટતા કરી છે કે આ પગલાનો અર્થ એવો બિલકુલ નથી કે તૂર્કિયે અન્ય વૈશ્વિક ગઠબંધનો કે પશ્ચિમી દેશો સાથેના પોતાના સંબંધોથી દૂર થઈ રહ્યું છે.

શા માટે ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે તૂર્કિયે?

ભારત સાથે સંબંધો સુધારવા પાછળનું એક મોટું કારણ આર્થિક લાભ પણ છે. તૂર્કિયે ભારતીય વેપાર, વિદેશી રોકાણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પોતાની પહોંચ વધારવા માંગે છે. આ ઉપરાંત ભારતીય પ્રવાસીઓ પણ તૂર્કિયેના ટૂરિઝમ અને અર્થતંત્રમાં ખૂબ મોટો ફાળો આપે છે. બંને દેશો વચ્ચેના વેપારની વાત કરીએ તો તૂર્કિયે ભારતને માર્બલ, મશીનરી અને કૃષિ ક્ષેત્રની ચીજવસ્તુઓની નિકાસ કરે છે, જ્યારે ભારત તૂર્કિયેને કેમિકલ્સ, મશીનરી અને ઓટોમોબાઈલ પાર્ટ્સ મોકલે છે.

કાશ્મીર મુદ્દાથી લઈને ઓપરેશન સિંદૂર સુધીનો તણાવ

પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહીની તૂર્કિયેએ આકરી ટીકા કરી હતી. આ ઉપરાંત ભારતે હાથ ધરેલા ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને ભારત સામે તૂર્કિયેમાં બનેલા ડ્રોનનો ઉપયોગ કર્યો હોવાના પણ અહેવાલો આવ્યા હતા. પ્રમુખ એર્દોગન પણ સતત જમ્મુ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કરતા આવ્યા છે, જે બંને દેશો વચ્ચેના તણાવનું મુખ્ય કારણ રહ્યું છે. જોકે, તૂર્કિયેએ સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાન સાથે તેનું સૈન્ય સહયોગ જૂના સંરક્ષણ કરાર મુજબ છે અને તે ભારત સામે મદદ કરવાનો કોઈ નવો રસ્તો નથી.

સંબંધો સુધરવાના સકારાત્મક સંકેતો

લાંબા સમયના તણાવ બાદ એપ્રિલ 2026માં ચાર વર્ષના લાંબા અંતરાલ પછી ભારત અને તૂર્કિયે વચ્ચે વિદેશ કાર્યાલય સ્તરની મંત્રણા શરૂ થઈ હતી. બંને દેશોએ ગેરસમજો અને પરસ્પરના મતભેદો દૂર કરવા સંવાદ ચાલુ રાખવા પર ભાર મૂક્યો હતો. હાલમાં જ ડ્રગ સ્મગલર સલીમ ડોલાના પ્રત્યાર્પણમાં પણ તૂર્કિયેએ ભારતની મદદ કરી હતી અને અન્ય ગુનેગારોના પ્રત્યાર્પણ અંગે પણ સકારાત્મક ચર્ચાઓ ચાલી રહી છે.