ભારત યાત્રા માટે આવી રહેલા 92 શીખોને પાકે. એરપોર્ટ પર જ રોક્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- પાક.માં લઘુમતીઓ પર ખુદ સરકાર દ્વારા અત્યાચાર
- ઉત્તરાખંડના ધાર્મિક સ્થળે આવવા ભારતના વીઝા હોવા છતાં ધરાર ફ્લાઇટમાં ના બેસવા દેવાયા, મહિલાઓ-બાળકો સહિતનાને હેરાન કરાયા
ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં લઘુમતીઓને ખુદ પ્રશાસન દ્વારા પરેશાન કરવામાં આવી રહ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. પાકિસ્તાનથી આશરે ૯૨ જેટલા શીખો ભારતમાં ઉત્તરાખંડમાં આવેલા પોતાના એક ધાર્મિક સ્થળે જવા માટે પાક.થી રવાના થયા હતા. જોકે આ તમામ શીખ શ્રદ્ધાળુઓને પાકિસ્તાન પ્રશાસને ફૈસલાબાદ એરપોર્ટ પર જ રોકી લેવાયા હતા અને ભારત આવતા અટકાવાયા હતા.
ભારતના ઉત્તરાખંડમાં શ્રી હેમકુંડ સાહિબ આવવા માટે પાકિસ્તાનના ૯૨ જેટલા શીખો રવાના થયા હતા, તેમની પાસે ભારતના કાયદેસરના વીઝા પણ હતા. શુક્રવારે બાળકો મહિલાઓ સહિતના આ તમામ શીખો ગલ્ફ થઇને ભારત આવતી એક ફ્લાઇટમાં આવવા માટે એરપોર્ટ પર પહોંચ્યા હતા. જોકે તેમને ફૈસલાબાદ એરપોર્ટ પર જ પાકિસ્તાનના ઇમિગ્રેશન વિભાગ દ્વારા રોકી લેવાયા હતા અને ફ્લાઇટમાં બેસવા નહોતા દેવાયા. આ મામલે ભારે વિવાદ થતા બાદમાં પાકિસ્તાન ઇમિગ્રેશન વિભાગે પોતાના બચાવમાં એવો દાવો કર્યો હતો કે આ તમામ પાકિસ્તની શીખો પાસે રિટર્ન ટિકિટ નહોતી, તેઓએ માત્ર ભારત જવા માટેની જ ટિકિટ લીધી હતી.
સાથે જ સરકાર પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એનઓસી પણ લેવામાં નહોતું આવ્યું. એટલુ જ નહીં દિલ્હી મંદર મેનેજમેન્ટ કમિટી દ્વારા આ તમામ શીખોના વીઝાની કાર્યવાહી કરવામાં આવી હતી, આ મુસાફરો પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટીનો પણ સંપર્ક કરી શક્યા હોત. વાઘા બોર્ડરનો પણ ઉપયોગ કરી શક્યા હોત. આવા વિચિત્ર કારણો આપીને અનેક શીખ પરિવારને પાકિસ્તાન પ્રશાસન દ્વારા પરેશાન કરવામાં આવ્યા હતા. શીખોએ વીડિયો બનાવીને આપવીતી વર્ણવી હતી. વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે અમે છેલ્લા ચાર કલાકથી એરપોર્ટ પર અટવાયા છીએ, કોઇ મદદ માટે આગળ આવે. બાદમાં શીખ શ્રદ્ધાળુઓએ કહ્યું હતું કે અમે બાકીના તમામ ડોક્યુમેન્ટ્સ રજુ કરીને પણ અમારા ધાર્મિક સ્થળે પહોંચીશું.




