World

નેપાળમાં જળપ્રલય બાદ ત્રિશૂલી ટનલમાંથી 63 ભારતીયો સહિત 350 શ્રમિકનો આબાદ બચાવ

By GS Team
28 Aug 20262 mins read
TukuTouch Logo
નેપાળમાં ભોટેકોશી નદીમાં આવેલા ભયાનક પૂરમાં ફસાયેલા 350 શ્રમિકો અને ગ્રામજનોને નેપાળી સેનાએ નવજીવન બક્ષ્યું છે. રસુવા જિલ્લામાં અપર ત્રિશૂલી હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ટનલમાં ફસાયેલા 63 ભારતીય નાગરિકો સહિત લોકોને સુરક્ષિત બહાર કઢાયા છે. જોકે, હજુ 100થી વધુ લોકો ફસાયેલા છે. 26 ઓગસ્ટની તબાહીમાં 500થી વધુ લોકોના મોત થયા હતા. ચીન સરહદ નજીક ડેમ તૂટવાના ભયથી ફરી પૂરનો ખતરો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નેપાળમાં જળપ્રલય બાદ ત્રિશૂલી ટનલમાંથી 63 ભારતીયો સહિત 350 શ્રમિકનો આબાદ બચાવ

Nepal Flash Flood : નેપાળમાં કુદરતના પ્રકોપ અને ભોટેકોશી નદીમાં આવેલી ભયાનક પૂરની હોનારત વચ્ચે આશાનું એક કિરણ પ્રગટ્યું છે. મોત અને જીવન વચ્ચે ઝોલા ખાતા 350 જેટલા લાચાર શ્રમિક અને સ્થાનિક ગ્રામજનો માટે નેપાળી સેના તારણહાર બનીને આવી હતી. રસુવા જિલ્લામાં આવેલા અપર ત્રિશૂલી હાઇડ્રોપાવર પ્રોજેક્ટની અંધારી ટનલમાં ફસાયેલા 350 કમનસીબ લોકોને સેનાએ કાળજીપૂર્વક જળપ્રવાહ અને ખરાબ મોસમ વચ્ચેથી બહાર કાઢીને નવજીવન આપ્યું છે. આ સુરક્ષિત બચાવેલા લોકોમાં 63 જેટલા ભારતીય નાગરિકો પણ શામેલ છે, જેમના પરિવારજનો પોતાના સ્વજનોની એક ખબર માટે કાળજું હાથમાં રાખીને બેઠા હતા.

અંધારી ગુફાઓમાં હજુ પણ 100થી વધુ જિંદગીઓ ફસાયેલી

હાલમાં પણ વિનાશક પૂરના પાણી વચ્ચે બચાવ કામગીરી પાર પાડવી અત્યંત જોખમી અને પડકારજનક સાબિત થઈ રહી છે. રેસ્ક્યૂ અધિકારીઓના જણાવ્યા મુજબ, ટનલના ભયાનક અંધકાર વચ્ચે હજુ પણ 100થી વધુ કમનસીબ લોકો આશા-નિરાશા વચ્ચે ફસાયેલા છે, જેમને સલામત બહાર લાવવા માટે સેનાના સાહસિક જવાનો રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહ્યા છે. ત્રિશૂલી સ્થિત સેનાના સેકન્ડ મુવમેન્ટ ટેક્ટિકલ હેડક્વાર્ટરના વોરંટ ઓફિસર ભક્તજન બસનેટ અને સેકન્ડ લેફ્ટનન્ટ અભિષેક શાહીના નેતૃત્વ હેઠળ જુદી જુદી ટુકડીઓએ અતિ સંવેદનશીલ એવા સ્યાફ્રુબેસી, ટિમુરે, મેલુંગ અને હાકુબેસી વિસ્તારોમાંથી કુલ 883 પીડિતોને સુરક્ષિત સ્થાને ખસેડ્યા છે.

26 ઓગસ્ટની તબાહીથી 500થી વધુ જિંદગીઓ હોમાઈ ગઈ

નેપાળમાં ગત 26 ઓગસ્ટે ગ્લેશિયર ફાટવાને કારણે બરફ, પથ્થરો અને મિશ્રિત કાંપના વિસર્જક પ્રવાહે માર્ગમાં આવતું બધું જ તહસ-નહસ કરી નાખ્યું હતું. આ ભયાનક આપત્તિમાં અત્યાર સુધીમાં 500થી વધુ લોકો કાળનો કોળિયો બની ચૂક્યા છે. અસંખ્ય ઘરો, રસ્તાઓ અને પુલ જમીનદોસ્ત થઈ ગયા છે અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને નુકસાન પહોંચતાં 431 મેગાવોટ વીજ ઉત્પાદન ઠપ થઈ ગયું છે. ચારેય તરફ સ્વજનો ગુમાવનારા લોકોનો આક્રંદ અને વિનાશનું બિહામણું દ્રશ્ય પથરાયેલું છે.

20260827675.JPG

બીજા ભયાનક પૂરનો ખતરો: ચીન સરહદ નજીક ડેમ તૂટવાના એંધાણ

જુના ઘા હજુ તાજા છે ત્યાં જ નેપાળ પર ફરી એકવાર જળપ્રલયનો ખતરો મંડરાઈ રહ્યું છે. તિબેટ તરફ એક અસ્થાયી ડેમ/બેરીયર લેક તૂટવાના અહેવાલો મળતાં જ ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓના જળસ્તરમાં ફરી વિનાશક જળસ્તર વધારાનું એલર્ટ જાહેર કરાયું છે. નેપાળ પોલીસ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગે રસુવા, નુવાકોટ, ધાદિંગ અને ચિતવન જેવા નીચાણવાળા કાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ આપી લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા અપીલ કરી છે.

20260827684.JPG