World

નેપાળમાં પૂર બાદ 3.2ની તીવ્રતાનો ભૂકંપ, પૂરના નવા ખતરા વચ્ચે ધ્રૂજી ધરતી, તિબેટમાં પણ ધરતીકંપ

By GS Team
27 Aug 20265 mins read
TukuTouch Logo
નેપાળમાં પૂરના નવા સંકટ વચ્ચે ગુરુવારે 3.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો. દેશના કેટલાક ભાગોમાં આંચકા અનુભવાયા, જ્યારે ભોટેકોશી નદી પાસે બનેલા કુદરતી તળાવથી પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે. આ હોનારતમાં અત્યાર સુધીમાં 359 લોકોના મોત થયા છે અને 1,500થી વધુ લોકો લાપતા છે. નેપાળ સરકાર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નેપાળમાં પૂર બાદ 3.2ની તીવ્રતાનો ભૂકંપ, પૂરના નવા ખતરા વચ્ચે ધ્રૂજી ધરતી, તિબેટમાં પણ ધરતીકંપ

Nepal Earthquake : નેપાળમાં પૂરના નવા સંકટ વચ્ચે ગુરુવારે 3.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. દેશના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ભોટેકોશી નદી પાસે કુદરતી તળાવ બની જવાથી નીચાણવાળા વિસ્તારોમાં ફરી એકવાર વિનાશક પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે.

પૂરની તબાહી વચ્ચે નેપાળમાં ભૂકંપનો આંચકો

નેપાળ હજુ તાજેતરમાં આવેલા ભયાનક પૂરની હોનારતમાંથી બહાર પણ નીકળી શક્યું નથી. તિબેટમાં ભોટેકોશી નદી પાસે થયેલા ભૂસ્ખલન બાદ આવેલા અચાનક પૂરના કારણે ભારે વિનાશ સર્જાયો હતો. આ કુદરતી આપદામાં અત્યાર સુધીમાં 359 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 1,500થી વધુ લોકો હજુ પણ લાપતા છે.

image.png

નેપાળમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ અને કેન્દ્રબિંદુની વિગતો

નેપાળમાં 27 ઓગસ્ટ 2026ના રોજ ભારતીય સમય મુજબ રાત્રે 9 કલાક, 18 મિનિટ અને 58 સેકન્ડે 3.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના ડેટા અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ 27.483 અક્ષાંશ અને 88.008 રેખાંશ પર જમીનમાં 10 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું. આ કેન્દ્રબિંદુ સિક્કિમના યુકસોમથી 24 કિલોમીટર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ, પેલિંગથી 29 કિલોમીટર ઉત્તર-પશ્ચિમ, પશ્ચિમ બંગાળના દાર્જિલિંગથી 55 કિલોમીટર ઉત્તર-ઉત્તરપશ્ચિમ, ભૂટાનની રાજધાની થિમ્ફુથી 160 કિલોમીટર પશ્ચિમ અને નેપાળની રાજધાની કાઠમંડુથી 265 કિલોમીટર પૂર્વ દિશામાં નોંધાયું હતું.

નેપાળ પૂર બાદ મૃત્યુઆંકમાં સતત વધારો

નેપાળમાં પૂરના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા સતત વધી રહી છે. નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, ગુરુવાર સાંજે 5 વાગ્યા સુધીમાં 8 જિલ્લાઓમાંથી કુલ 359 મૃતદેહો મળી આવ્યા છે. નેપાળ પોલીસના પ્રવક્તા અબી નારાયણ કફલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સુધારેલા આંકડાની પુષ્ટિ કરી છે. તાજેતરના આંકડા અનુસાર, રસુવાથી 17, નુવાકોટથી 28, ધાદિંગથી 33, ચિતવનથી 132, ગોરખાથી 30, તનહુંથી 22, નવલપરાસી પૂર્વથી 82 અને નવલપરાસી પશ્ચિમથી 15 મૃતદેહ મળ્યા છે.

કયાં દેશના કેટલા નાગરિકો લાપતા?

  • નેપાળ ટૂરિઝમ બોર્ડે ગુરુવારે જણાવ્યું કે 517 વિદેશી પ્રવાસીઓ હજુ પણ લાપતા છે.
  • ચીનના સરકારી મીડિયા મુજબ, તિબેટના ગ્યિરોંગ કાઉન્ટીમાં ઓછામાં ઓછા 3 લોકોના મોત થયા છે, જ્યારે 558 લોકો લાપતા છે.
  • ચીનના વિદેશ મંત્રાલયે એ પણ જણાવ્યું કે નેપાળ તરફથી લગભગ 100 ચીની નાગરિકો લાપતા હોવાનું કહેવાયું છે.
  • નેપાળ ટૂરિઝમ બોર્ડ અનુસાર, અમેરિકાના 65 નાગરિકો લાપતા છે.
  • મલેશિયાના 51 લોકોનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી.
  • યુક્રેનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે તેના 53 નાગરિકો લાપતા છે અને 46 વિદેશી પ્રવાસીઓનો નેપાળી અધિકારીઓ સાથેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે.
  • ઓસ્ટ્રેલિયાના 35, બ્રિટનના 33 અને કેનેડાના 25 નાગરિકો લાપતા હોવાનું કહેવાય છે.
  • દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયાના અધિકારીઓએ પણ પુષ્ટિ કરી છે કે નેપાળના એક હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ વિસ્તારમાં કામ કરી રહેલા તેમના 9 નાગરિકો લાપતા છે.
  • નેપાળ ટૂરિઝમ બોર્ડ મુજબ, સિંગાપોરના 8, જર્મનીના 8 અને રશિયાના 8 પ્રવાસીઓ પણ લાપતા છે.
  • દક્ષિણ આફ્રિકાના 6, લાતવિયાના 6 અને જાપાનના 5 નાગરિકો લાપતા હોવાની માહિતી સામે આવી છે.

35 પુલ અને 45 સસ્પેન્શન બ્રિજ તણાઈ ગયા

નેપાળના રસુવા વિસ્તારમાં ભોટેકોશી નદીમાં ભયાનક પૂરથી ભારે વિનાશ જોવા મળ્યો છે. આ વિનાશક ફ્લેશ ફ્લડમાં લગભગ 359 લોકોના મોત થયા છે અને 1500થી વધુ લોકો લાપતા હોવાનું કહેવાય છે. પૂરના કારણે ઘણા વિસ્તારોનું પરિવહન અને સંપર્ક માળખું પણ ખરાબ રીતે અસરગ્રસ્ત થયું છે. સરકારી આંકડા મુજબ, 35 પુલ અને 45 સસ્પેન્શન બ્રિજ તણાઈ ગયા છે, જેનાથી ઘણા વિસ્તારોનો સંપર્ક કપાઈ ગયો છે.

13 હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સને નુકસાન

આ ઘટનામાં 13 હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સને નુકસાન પહોંચ્યું છે અને વહાન પણ પાણીના તેજ વહેણની ચપેટમાં આવી ગયા. નેપાળ સેનાએ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 250થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. નેપાળમાં હજુ પણ ઘણા લોકો લાપતા છે, જેમાં ઘણા ભારતીય નાગરિકો પણ સામેલ છે.

કૃત્રિમ તળાવ બનતા નેપાળ સરકારે એલર્ટ જાહેર કર્યું

નેપાળ સરકારના સેટેલાઇટ તસવીરોના વિશ્લેષણ પરથી મળેલા રિપોર્ટ મુજબ, રસુવાગઢી સરહદથી લગભગ 18 કિલોમીટર ઉપર લેંડે નદીનો પ્રવાહ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. આ રુકાવટના કારણે કાંઠાના વિસ્તારમાં લગભગ 0.11 ચોરસ કિલોમીટર વિસ્તારમાં એક મોટી અસ્થાયી લેક (તળાવ) બની ગઈ છે. નેપાળ સરકારે ચેતવણી જાહેર કરતા કહ્યું છે કે આ કુદરતી તળાવનો બંધ તૂટવાથી નીચાણવાળા વિસ્તારોમાં અચાનક ભયાનક પૂર આવવાનું મોટું જોખમ ઊભું થયું છે. વહીવટીતંત્રે નદીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા તમામ નિવાસીઓ અને સંબંધિત અધિકારીઓને ખૂબ જ સાવચેતી રાખવા અને હાઇ એલર્ટ પર રહેવાનો નિર્દેશ આપ્યો છે.

ભોટેકોશી નદીમાં તળાવ ફાટવાનો અને ફરી પૂરનો ખતરો

નેપાળ સરકારે ભોટેકોશી નદીમાં સંભવિત પૂરના જોખમ અંગે વિશેષ નોટિસ જાહેર કરી છે. ચીન તરફથી મળેલી તાજી માહિતી અને સેટેલાઇટ ઇમેજ મુજબ, નદીનો પ્રવાહ રોકાઈ ગયો છે અને ગઈકાલે જ્યાં પૂર આવ્યું હતું ત્યાં એક તળાવ બની ગયું છે. નોટિસમાં જણાવાયું છે કે તળાવમાં પાણીનું સ્તર વધી રહ્યું છે અને તે ફાટવાનું જોખમ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, ભોટેકોશી નદીના નીચાણવાળા કાંઠાના વિસ્તારોના રહીશો, પ્રવાસીઓ અને બચાવ કાર્યકર્તાઓને નદીના કિનારા અને જોખમી વિસ્તારોથી દૂર સુરક્ષિત જગ્યાએ રહેવા વિનંતી કરવામાં આવી છે.

તિબેટમાં 4.9ની તીવ્રતાનો જોરદાર આંચકો

તિબેટમાં 27 ઓગસ્ટ 2026ના રોજ ભારતીય સમય મુજબ રાત્રે 8 કલાક, 15 મિનિટ અને 53 સેકન્ડે 4.9ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના ડેટા મુજબ તેનું કેન્દ્રબિંદુ 33.121 અક્ષાંશ અને 86.775 રેખાંશ પર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. આ કેન્દ્રબિંદુ કાઠમંડુથી 616 કિલોમીટર ઉત્તર-ઉત્તરપૂર્વ, સિક્કિમના લાચુંગથી 632 કિલોમીટર ઉત્તર-ઉત્તરપશ્ચિમ, યુકસોમથી 654 કિલોમીટર ઉત્તર-ઉત્તરપશ્ચિમ અને પેલિંગથી 660 કિલોમીટર ઉત્તર-ઉત્તરપશ્ચિમ અંતરે આવેલું હતું.

અફઘાનિસ્તાનમાં બપોરે 3.5ની તીવ્રતાનો આંચકો

અફઘાનિસ્તાનમાં 27 ઓગસ્ટ 2026ના રોજ ભારતીય સમય મુજબ બપોરે 2 કલાક, 24 મિનિટ અને 55 સેકન્ડે 3.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના ડેટા અનુસાર આ ભૂકંપનું કેન્દ્રબિંદુ 36.463 અક્ષાંશ અને 71.486 રેખાંશ પર હતું અને તેની ઊંડાઈ 145 કિલોમીટર નોંધાઈ હતી.

મેઘાલયના ઈસ્ટ ગારો હિલ્સમાં ભૂકંપ

ભારતના પૂર્વોત્તર રાજ્ય મેઘાલયના ઈસ્ટ ગારો હિલ્સ વિસ્તારમાં 27 ઓગસ્ટ 2026ના રોજ ભારતીય સમય મુજબ બપોરે 1 કલાક, 02 મિનિટ અને 40 સેકન્ડે 2.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા મુજબ તેનું કેન્દ્રબિંદુ 25.751 અક્ષાંશ અને 90.744 રેખાંશ પર જમીનથી માત્ર 5 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું.

અફઘાનિસ્તાનમાં મધરાત બાદ 3.7ની તીવ્રતાનો બીજો ભૂકંપ

અફઘાનિસ્તાનમાં 27 ઓગસ્ટ 2026ના રોજ મધરાત બાદ ભારતીય સમય મુજબ 12 કલાક, 06 મિનિટ અને 47 સેકન્ડે 3.7ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ 36.354 અક્ષાંશ અને 70.372 રેખાંશ પર 180 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. આમ, 27 ઓગસ્ટ 2026ના રોજ અફઘાનિસ્તાનમાં 3.5 અને 3.7ની તીવ્રતાના બે અલગ-અલગ ભૂકંપ નોંધાયા હતા.