World

3 દેશો ધ્રુજી ઉઠ્યા ! કિમ જોંગ ઉને દરિયામાં ઉતાર્યું મહાવિનાશક યુદ્ધ જહાજ, દર વર્ષે 2 વોરશિપ બનાવવાનો આપ્યો આદેશ

By GS Team
5 Jul 20262 mins read
TukuTouch Logo
ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉને તાજેતરમાં નવા વિધ્વંસક 'કાંગ કોન' પરથી ક્રૂઝ મિસાઈલ પરીક્ષણનું નિરીક્ષણ કર્યું. ગયા વર્ષે અકસ્માતનો ભોગ બનેલું આ યુદ્ધજહાજ રેકોર્ડ સમયમાં રિપેર થઈને ફરી સમુદ્રમાં ઉતર્યું છે. કિમનો 5 વર્ષનો પ્લાન દર વર્ષે 2 નવા વિધ્વંસક અને 10000 ટનના વિશાળ યુદ્ધજહાજો બનાવવાનો છે. આ ક્રૂઝ મિસાઈલો પરમાણુ પેલોડ વહન કરી શકે છે, જે દક્ષિણ કોરિયા અને જાપાન માટે ખતરો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

3 દેશો ધ્રુજી ઉઠ્યા ! કિમ જોંગ ઉને દરિયામાં ઉતાર્યું મહાવિનાશક યુદ્ધ જહાજ, દર વર્ષે 2 વોરશિપ બનાવવાનો આપ્યો આદેશ
Image Source - @Defense_Talks

Kim Jong Un Cruise Missile Test : આજકાલ જ્યાં મોટાભાગના દેશો આધુનિક ડ્રોન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાયબર વોર સિસ્ટમ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, ત્યારે ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન પરંપરાગત પરંતુ, અત્યંત આક્રમક નૌકાદળનું સૈન્ય તૈયાર કરવામાં વ્યસ્ત છે. તાજેતરમાં જ કિમ જોંગ ઉને ઉત્તર કોરિયાના નવા વિધ્વંસક (ડિસ્ટ્રોયર) 'કાંગ કોન'ના ડેક પરથી ક્રૂઝ મિસાઈલ પરીક્ષણોનું વ્યક્તિગત રીતે નિરીક્ષણ કર્યું હતું, જે સ્પષ્ટ સંકેત છે કે, પ્યોંગયાંગ પોતાની દરિયાઈ પ્રહાર ક્ષમતાને એક નવા સ્તરે લઈ જવા માટે ઉત્સુક છે.

અકસ્માત બાદ રેકોર્ડ સમયમાં રિપેરિંગ

'કાંગ કોન' વિધ્વંસકનું સમુદ્રમાં ઉતરવું, એ ઉત્તર કોરિયાની નૌસેના માટે માત્ર એક લશ્કરી પરીક્ષણ નથી, પરંતુ એક મોટી મનોવૈજ્ઞાનિક જીત પણ છે. આ એ જ યુદ્ધજહાજ છે, જે ગયા વર્ષે તેના લોન્ચિંગ સમારોહ દરમિયાન ગંભીર તકનીકી ખામીનો ભોગ બન્યું હતું, અને બંદર પર જ આંશિક રીતે પલટી ગયું હતું. આ ઘટના પર કિમ જોંગ ઉને ભારે નારાજગી વ્યક્ત કરી હતી, અને અધિકારીઓને કડક ઠપકો આપ્યો હતો. જોકે, રેકોર્ડ સમયમાં તેની મરામત કરવામાં આવી, અને તેને ફરીથી સમુદ્રમાં ઉતારવામાં આવ્યું છે. કિમ જોંગ ઉને હવે આ જહાજને આગામી 2 મહિનામાં યુદ્ધ માટે સંપૂર્ણ રીતે તૈયાર કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે.

કિમનો 'ફાઈવ-યર્સ પ્લાન' અને વિશાળ યુદ્ધજહાજ

કિમ જોંગ ઉન માત્ર એક, કે બે જહાજોથી સંતુષ્ટ થવાના નથી. તેમની નૌકાદળની યોજનાઓ ખૂબ જ આક્રમક અને લાંબા ગાળાની છે. કિમ તરફથી સંરક્ષણ અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, તેઓ આગામી 5 વર્ષ સુધી દર વર્ષે આ શ્રેણી (Choe Hyon-class)ના બે નવા વિધ્વંસક જહાજોનું નિર્માણ કરે.

ઉત્તર કોરિયાના પ્લાનમાં 10000 ટન વર્ગના મહાવિશાળ યુદ્ધજહાજોનું નિર્માણ પણ સામેલ થઈ ચૂક્યું છે. ઉત્તર કોરિયા પોતાના નૌકાદળને પરમાણુ હથિયારોથી સજ્જ કરવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. તાજેતરમાં પરીક્ષણ કરાયેલી ક્રૂઝ મિસાઈલો પરમાણુ પેલોડ વહન કરવા માટે સક્ષમ હોવાનું કહેવાય છે, જે સીધી રીતે દક્ષિણ કોરિયા, જાપાન અને અમેરિકાના નૌકાદળના ઠેકાણાઓ માટે મોટો ખતરો બની શકે છે.

ડ્રોન યુગમાં પરંપરાગત નૌસેના પર દાવ કેમ?

આજના આધુનિક યુદ્ધક્ષેત્રમાં જ્યારે રિમોટ-કંટ્રોલ ડ્રોન અને એન્ટી-શિપ મિસાઈલોનો દબદબો છે, ત્યારે કિમ જોંગ ઉનનું વિધ્વંસક જહાજો પર અબજો ડોલર ખર્ચવું દુનિયાને આશ્ચર્યચકિત કરે છે. આની પાછળ ઉત્તર કોરિયાની બે મુખ્ય વ્યૂહરચના છે:

  1. દરિયાઈ ક્ષેત્રોમાં પોતાની સાર્વભૌમત્વનું પ્રદર્શન કરવું, અને અમેરિકા સમર્થિત દક્ષિણ કોરિયાની નૌસેનાને સીધી ટક્કર આપવી.
  2. કિમ જોંગ ઉન હંમેશા નૌસેનાને પોતાની સેનાનો સૌથી નબળો હિસ્સો માનતા આવ્યા છે, તેથી તે આ અંતરને વહેલી તકે દૂર કરીને, પોતાની જાતને એક સંપૂર્ણ પરમાણુ શક્તિ સંપન્ન દેશ તરીકે સ્થાપિત કરવા માંગે છે, જે જમીન, હવા અને સમુદ્ર ત્રણેય મોરચે હુમલો કરવાની તાકાત ધરાવતો હોય.