Unsafe food causes 1.5 million deaths annually: વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા હાલમાં જ પ્રકાશિત એક અહેવાલે વૈશ્વિક સ્તરે ખોરાકની સલામતીની ચિંતા વધારી દીધી છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ, તે જો અસુરક્ષિત કે દૂષિત હોય તો તે કેટલો ઘાતક સાબિત થઈ શકે છે તેનો પુરાવો આ આંકડા આપે છે. વાર્ષિક 86.6 કરોડ લોકોને બીમાર કરીને 15 લાખ જીવ લેનારા દૂષિત ખોરાકનો સૌથી વધુ ભોગ બાળકો બને છે.
ડરામણા આંકડા: બીમારી અને મૃત્યુનું વૈશ્વિક પ્રમાણ
WHO ના નવા અંદાજ મુજબ, અસુરક્ષિત કે દૂષિત ખોરાક માત્ર સામાન્ય પેટનો દુખાવો જ નથી લાવતો, પણ તે વૈશ્વિક રોગચાળા જેવું સ્વરૂપ લઈ રહ્યો છે.
- વિશ્વમાં દર વર્ષે અસુરક્ષિત ખોરાકના કારણે આશરે 86.6 કરોડ લોકો બીમાર પડે છે.
- દૂષિત આહારને કારણે વાર્ષિક 15 લાખ લોકો જીવ ગુમાવે છે. જો સ્વચ્છ પાણી, પાસ્ચ્યુરાઇઝેશન જેવી ખાદ્ય સલામતી પ્રથાઓ, યોગ્ય સ્વચ્છતા અને સમયસર સ્વાસ્થ્ય સુવિધા મળી રહે તો આમાંના મોટાભાગના મૃત્યુ અટકાવી શકાય તેમ છે.
- વર્ષ 2000 ની તુલનામાં ખોરાકજન્ય રોગોમાં થોડો ઘટાડો જરૂર થયો છે, પરંતુ આફ્રિકા અને દક્ષિણ-પૂર્વ એશિયા જેવા વિસ્તારોમાં આજે પણ આ સ્થિતિ ગંભીર છે. વિશ્વની કુલ બીમારીઓના 3/4 કેસ અને 60% મૃત્યુ માત્ર આ બે પ્રદેશોમાં થાય છે.

માસૂમ બાળકો પર સૌથી મોટું જોખમ
આ રિપોર્ટનો સૌથી ચિંતાજનક ભાગ એ છે કે, પુખ્ત વયના લોકોની સરખામણીમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં દૂષિત ખોરાકથી બીમાર થવાનું જોખમ ત્રણ ગણું વધુ છે.
- નાના બાળકો વિશ્વની કુલ વસ્તીના માત્ર 9% છે.
- આમ છતાં, ખોરાકજન્ય રોગોના કુલ કેસોમાંથી 1/3 કેસ માત્ર નાના બાળકોમાં જોવા મળે છે.
- બાળકોમાં (ઝાડા-ઊલટી) જેવા રોગો જીવલેણ સાબિત થાય છે. આ ઉપરાંત ખોરાકમાં ભળતા સીસું (Lead) અને મિથાઈલમર્ક્યુરી જેવા ભારે રસાયણો બાળકના વિકાસશીલ મગજને કાયમી નુકસાન પહોંચાડે છે, જેના કારણે બાળકો આજીવન ન્યુરોલોજીકલ (ચેતાતંત્રની) અને માનસિક વિકાસની સમસ્યાઓનો ભોગ બને છે.
જૈવિક વર્સિસ રાસાયણિક જોખમો (Biological vs Chemical Hazards)
ખોરાક દૂષિત થવાના મુખ્ય બે કારણો છે: જૈવિક (બેક્ટેરિયા, વાયરસ, પરોપજીવીઓ) અને રાસાયણિક (ભારે ધાતુઓ અને ઝેરી તત્ત્વો).
- બીમારીઓનું કારણ: વર્ષ 2021 માં બેક્ટેરિયા અને વાયરસ જેવા જૈવિક જોખમોને કારણે સૌથી વધુ એટલે કે આશરે 86 કરોડ લોકો બીમાર પડ્યા હતા.
- મૃત્યુનું કારણ: જોકે બીમારીઓ જૈવિક કારણોથી વધુ થાય છે, પરંતુ મૃત્યુમાં કેમિકલ એટલે કે રાસાયણિક પ્રદૂષણનો હિસ્સો અપ્રમાણસર રીતે ઘણો મોટો છે. વર્ષ 2021 માં દૂષિત ખોરાકથી થયેલા કુલ મોતમાંથી 73% મોત રાસાયણિક જોખમોના કારણે થયા હતા. આ કેમિકલયુક્ત મોતમાં અકાર્બનિક આર્સેનિક (42%) અને સીસું (31%) સૌથી વધુ જવાબદાર હતા, કારણ કે તેનાથી હૃદય રોગ અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓ થાય છે.
આ રસાયણો કુદરતી સ્ત્રોતો અથવા માનવ પ્રવૃત્તિઓ અને પ્રદૂષણ દ્વારા ખાદ્ય શૃંખલા (Food Chain) માં પ્રવેશે છે અને એકવાર તે અનાજ કે પાણીમાં ભળી જાય પછી તેને દૂર કરવા અશક્ય બની જાય છે.
અબજો ડોલરનું આર્થિક નુકસાન
અસુરક્ષિત ખોરાક માત્ર માણસનું સ્વાસ્થ્ય જ નથી બગાડતો, પરંતુ દેશના અર્થતંત્રને પણ મોટો ફટકો મારે છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2021 માં ખોરાકજન્ય રોગોના કારણે લોકો કામ પર ન જઈ શક્યા, જેના લીધે વૈશ્વિક ઉત્પાદકતામાં (Productivity) આશરે 310 બિલિયન યુએસ ડોલરનું સીધું નુકસાન થયું હતું. જો આ આંકડાને જુદા જુદા દેશોના મોંઘવારી દર અને જીવન ધોરણ મુજબ સરખાવવામાં આવે તો આ આર્થિક નુકસાન વધીને આશરે 647 બિલિયન યુએસ ડોલર જેટલું મોટું થઈ જાય છે.
WHOની ચેતવણી અને ઉકેલ
WHO દ્વારા જણાવાયું છે કે ખાદ્ય સલામતી કોઈ સામાન્ય વિષય નથી, તે દરરોજ દરેક પરિવારના ભોજનને અસર કરે છે. આ રિપોર્ટ દ્વારા પ્રથમ વખત દેશોને પોતાનો ચોક્કસ ડેટા મળ્યો છે, જેથી સરકારો આ સમસ્યા સામે કડક પગલાં લઈ શકે.
ક્લાઈમેટ ચેન્જના કારણે ખોરાક દૂષિત થવાનું જોખમ વધી રહ્યું છે અને એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (દવાઓની અસર ન થવી) ના કારણે ચેપની સારવાર અઘરી બની રહી છે. આના ઉકેલ માટે 'વન હેલ્થ' અભિગમ અપનાવવો જરૂરી છે, જેમાં મનુષ્ય, પ્રાણીઓ, વનસ્પતિ અને પર્યાવરણ—બધાના સ્વાસ્થ્યને એકસાથે જોડીને કડક નિયમો બનાવવાની જરૂર છે.
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ 2026
WHO દ્વારા 7 જૂન 2026 ના રોજ ઉજવવામાં આવનારા વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની આ વર્ષની થીમ છે: ‘બોજથી ઉકેલો સુધી - દરેક જગ્યાએ સલામત ખોરાક’ (From burden to outcomes – safe food everywhere). આ ઝુંબેશનો હેતુ તમામ દેશોને ડેટાનો ઉપયોગ કરીને વાસ્તવિક પગલાં ભરવા માટે પ્રેરિત કરવાનો છે.


