જામનગરમાં યુવક કોંગ્રેસ દ્વારા બિનસચિવાલય કારકૂનની પરીક્ષા ફરી વખત મોકૂફ રહેતાં વિરોધ પ્રદર્શન કરાયું

જામનગર, તા.12
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય કારકૂનની પરીક્ષા ફરી એક વખત મોકૂફ રાખવામાં આવી છે. જે અનુસંધાને જામનગરમાં આજે યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા. 13-2-2022 ના આયોજીત બિનસચિવાલય ઓફિસ આસી.ની ભરતી માટેની પરીક્ષા હાલ રદ્ કરવામાં આવી છે. વર્ષ 2018માં યોજાનારી આ પરીક્ષા રદ કરાયા પછી પેપર ફૂટી જવાના કારણે ૨૦૨૨ માં બીજી વાર રદ્ કરવામાં આવી હતી, જ્યારે ફરી ત્રીજી વખત આયોજીત આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આથી લાખો યુવાનો નિરાશ થયા છે. આમ ગુજરાત યુવક કોંગ્રેસ અન્યાય નો ભોગ બનેલા યુવાનોના સમર્થનમાં છે. અને તેમને ન્યાય મળે તે માટે કટીબદ્ધ છે.

આ અન્યાયનો ભોગ બનેલા યુવા પરીક્ષાર્થીઓના પ્રશ્ન ને વાચા આપવા માટે આજે જામનગર માં યુવક કોંગ્રેસ ના પ્રમુખ ડો. તૌસીફખાન પઠાણ ની આગેવાની માં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, અને વહેલી તકે પરીક્ષા યોજવામાં આવે તેવી માંગણી કરી હતી.
આજે સવારે સાત રસ્તા સર્કલ પાસે આયોજીત વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાં ડો. તૌસીફખાન પઠાણ, ઉપરાંત શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહાનગરપાલિકાના વિપક્ષના નેતા આનંદ રાઠોડ,તથા શક્તિસિંહ જેઠવા, મસરી કંડોરિયા, હાર્દિક દવે, રચનાબેન નંદાણિયા સહિતના કાર્યકર્તાઓ જોડાયા હતા.




