Get The App

યુવાને મિત્રને તળાવમાં ધકેલી માથે પથ્થરના ઘા ઝીંકી હત્યા નિપજાવી

Updated: Apr 8th, 2026

GS TEAM

Google News
Google News
યુવાને મિત્રને તળાવમાં ધકેલી માથે પથ્થરના ઘા ઝીંકી હત્યા નિપજાવી 1 - image

કલ્યાણપુરના લાંબા ગામે ખર્ચના પૈસાની માથાકૂટ જીવલેણ બની : હત્યાને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કરાયો પણ પૂછપરછમાં ભાંડો ફૂટયો : ફાયર બ્રિગેડની જહેમત બાદ તળાવમાંથી મૃતદેહ હાથ લાગ્યો 

જામ ખંભાળિયા, : કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે એક પરપ્રાંતિય યુવાન દ્વારા પોતાના મિત્રને પાણીમાં ફેંકી દઈ, ઉપરથી પથ્થરો મારી, હત્યા નિપજાવવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ પ્રકરણના આરોપીએ પ્રથમ તો આ બનાવ આપઘાતનો હોવાનું જણાવ્યું હતું. બાદમાં આ સમગ્ર પ્રકરણનો ભેદ ખૂલવા પામ્યો છે. 

 આ ચકચારી બનાવની વિગત એવી છે કે ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના પડરછ ગામના મૂળ રહીશ અને હાલ વડોદરામાં રહીને એક ખાનગી કંપનીમાં નોકરી કરતા રામશકલ શિવશંકર ગ્વાલા નામના 24 વર્ષના  યુવાનનો નાનો ભાઈ સંતોષ શિવશંકર ગ્વાલા (ઉ.વ. 22) કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે આવેલી એક કંપનીમાં ડ્રાઇવિંગ કામ કરે છે. તેના મિત્ર રામનરેશ મોતીલાલ સાકેત (રહે. મૂળ મધ્ય પ્રદેશ, હાલ લાંબા)ના ફોનમાંથી રામશકલને ફોન આવ્યો હતો કે તમારા ભાઈ સંતોષને લાંબા ગામ ખાતે નોકરી કરવી નથી, અને બીજી જગ્યાએ નોકરીનું ગોઠવી આપો. ત્યાર બાદ તા. 6ના રોજ રામનરેશે ફરી ફોન કર્યો અને 'હું તથા તમારા ભાઈ સંતોષ તળાવ બાજુ નાસ્તો લઈને ફરવા ગયા ત્યારે સંતોષ તળાવમાં કૂદી પડયો હતો' તેમ કહી રડવા લાગ્યો હતો.

આ બનાવ બાદ તેણે રાજકોટથી તેની કંપનીના શેઠ સાથે લાંબા ગામે જઇ રામનરેશની પૂછપરછ કરી હતી પણ સંતોષ તળાવના પાણીમાં જાતે કૂદી પડયાનું તેનું કથન ગળે ન ઉતરતા તેણે રામનરેશને હકીકત કહી દેવા જણાવ્યું હતું, જેથી રામનરેશે કહેલ કે 'મારાથી ખોટું થઈ ગયું છે. હું તથા તમારા ભાઈ સંતોષ નાસ્તો-પાણી લઈને લાંબા ગામે ગેટની બાજુમાં આવેલા તળાવ પાસે ગયા હતા. ત્યાં તળાવ કાંઠે બેસીને નાસ્તો કરેલ, અને સંતોષે  મને ખર્ચના રૂપિયા આપ તેમ કહેતા મેં ના પાડી હતી. આ પછી મારે તથા સંતોષને બોલાચાલી થઈ હતી. જેમાં મેં સંતોષને ધક્કો મારીને પાણી ભરેલા તળાવમાં નાખી દીધો હતો, અને ઉપરથી પથ્થરોના ઘા કર્યા હતા. તા. ૬ના રોજ બનેલા આ બનાવ બાદ ગઈકાલે ફાયર બ્રિગેડની લાંબી જહેમત બાદ તળાવના પાણીમાંથી સંતોષનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહનું કલ્યાણપુરની હોસ્પિટલમાં પીએમ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર બનાવ અંગે મૃતકના મોટાભાઈ રામશકલ શિવશંકર ગ્વાલાની ફરિયાદના આધારે કલ્યાણપુર પોલીસે આરોપી રામનરેશ સાકેતની અટકાયત કરી આગળની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. એમ.આર. સવસેટા દ્વારા હાથ ધરવામાં આવી છે.