વડોદરા, તા.15 પાદરા તાલુકાના મહલી તલાવડી ગામમાંથી ૧૦ વર્ષ પહેલા પુત્ર સાથે માતા ગુમ થઇ ગયા બાદ બંનેની પોલીસ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં બંનેનો રાજકોટથી પત્તો મળ્યો હતો. આઇસ ફેક્ટરીમાં મજૂરી કરતી માતાનો ૧૦ વર્ષ બાદ જ્યારે સંપર્ક થયો ત્યારે તે આર્થિક રીતે સધ્ધર અને પોતાના ગરબા ક્લાસ ચલાવતી હોવાનું જણાયું હતું.
આ અંગેની વિગત એવી છે કે વિનુભાઇ રતનભાઇ પરમાર (રહે.બોચાસણ, તા.બોરસદ, હાલ મહલી તલાવડી, તા.પાદરા)એ પાદરા પોલીસ સ્ટેશનમાં તા.૫ જૂન ૨૦૧૬ના રોજ જાહેરાત આપી હતી કે પત્ની સંગીતા પાંચ વર્ષના પુત્ર યશને સાથે લઇ દોઢ મહિના પહેલા વલસાડ ખાતે પિયરમાં જઉં છું તેમ કહીને નીકળ્યા બાદ બંને પરત આવ્યા નથી અને બંનેની શોધખોળ છતા પત્તો મળતો નથી.
તાજેતરમાં પોલીસ દ્વારા ગુમ થયેલી વ્યક્તિઓને શોધી કાઢવાની ઝૂંબેશ દરમિયાન પોલીસે વિનુભાઇનો સંપર્ક કરી પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે વર્ષ-૨૦૨૦માં ટીકટોક સોશ્યલ મીડિયામાં પત્નીને છેલ્લે જોઇ હતી. ટિકટોક દેશમાં હાલ પ્રતિબંધિત હોવાથી પોલીસે સોશ્યલ મીડિયાનો સહારો લીધો હતો અને ઇન્સ્ટાગ્રામ તેમજ ફેસબુકના માધ્યમથી શોધખોળ હાથ ધરતાં ગૂમ થનાર સંગીતાબેન રાજકોટમાં રાસ ગરબાના ક્લાસ ચલાવતા હોવાનું જણાયું હતું.
પોલીસની એક ટીમ રાજકોટ નંદા હોલની બાજુમાં કોઠારીયા મેઇનરોડ ખાતે પહોંચી ત્યારે સંગીતાબેન મળ્યા હતાં. તેમણે પોતે કબૂલ્યું હતું કે તે સમયે અગાઉના પતિ વિનુભાઇ સાથે રહી પાદરાના મહડી તલાવડી ખાતેની આઇસ ફેક્ટરીમાં મજૂરી કરતી હતી ત્યારે વિનુભાઇ સાથે અવારનવાર ઝઘડો થતો હોવાથી પુત્રને લઇ વલસાડ પિયરમાં જઉં છું તેમ કહી નીકળી ગઇ હતી અને ત્યારબાદ અમરેલી જિલ્લાના કુંકાવાવ ખાતે રહેતા ધર્મેશ હસમુખ રાણપરીયા સાથે લગ્ન કરી રાજકોટ સ્થાયી થઇ છું તેમજ હું રાસ ગરબાના ક્લાસ ચલાવું છું.
તેનો પુત્ર યશ પણ સાથે જ રહે છે. સંગીતાએ પોલીસને જણાવ્યું હતું કે હું અગાઉના પતિ સાથે રહેવા માગતી નથી.


