Gujarat

અમે ભાજપને લાવવા મહેનત કરી હતી નારણપુરા રોડ પહોળો કરવા મામલે મેયરને રહીશોએ આવેદનપત્ર આપ્યું

By GS Team
24 Mar 20222 mins read
This article was originally published on 24 Mar 2022
અમે ભાજપને લાવવા મહેનત કરી હતી નારણપુરા રોડ પહોળો કરવા મામલે મેયરને રહીશોએ આવેદનપત્ર આપ્યું

  અમદાવાદ,બુધવાર,23 માર્ચ,2022

અમદાવાદના નારણપુરા રેલવે ક્રોસિંગથી ગામ સુધીના ૮૦ ફૂટના રોડને પહોળો કરી સો ફૂટનો કરવાના મ્યુનિ.ના નિર્ણય સામે વિરોધ કરતુ રહીશો દ્વારા મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.અમે ભાજપને સત્તામાં લાવવા મહેનત કરી હતી.રોડ મામલે અમને સાંભળવામાં ના આવતા અમારે ન છુટકે કોંગ્રેસ સાથે રહી રજુઆત કરવી પડે છે એવો આક્રોશ પણ વ્યકત કરાયો હતો.

નારણપુરા રેલવે ક્રોસિંગથી ગામ સુધીના હયાત રસ્તાને પહોળો કરી સો ફૂટનો કરવાના નિર્ણય સામે મ્યુનિ.વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણની આગેવાનીમાં સ્થાનિક રહીશોએ મોટી સંખ્યામાં એકઠા થઈ મેયર કિરીટ પરમારને કામગીરી ના કરવા માટે આવેદનપત્ર આપ્યુ હતું.

રહીશોની રજુઆત પ્રમાણે,ટી.પી.સ્કીમ.નંબર-૧૯,મેમનગરમાં આવતો આ રોડનો વિસ્તાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત  ધારાસભ્ય કૌશિક પટેલ,પૂર્વ મેયર ગૌતમ શાહ,વર્તમાન ડેપ્યુટી મેયર ગીતાબહેન પટેલનો મત વિસ્તાર છે.આ રોડ ઉપર નથી મેટ્રો કે ટ્રાફિકની સમસ્યા.મળતીયા બિલ્ડરોને લાભ કરાવવા સો ફૂટનો રોડ કરવા પેરવી કરાઈ રહી છે.પરંતુ આમ કરવાથી ૪૦ રહેઠાણ અને ૮૦ દુકાન કપાતમાં જાય છે.અનેક જુના વૃક્ષોનું નિકંદન નીકળી જશે.અનેક લોકો બેઘર બનશે અને રોજી રોટી પણ છીનવાઈ જશે.સૌનો સાથ અને સૌનો વિકાસ નહીં પણ મારો વિકાસ અને સૌનો વિનાશ કરવાની સત્તાધારી પક્ષની નીતી સહન કરવામાં નહીં આવે.અમે વર્ષોથી ભાજપ માટે કામ કરતા આવ્યા છીએ.પરંતુ પૂર્વ મેયર ગૌતમ શાહ અને વર્તમાન ભાજપના કોર્પોરેટરોને રોડ પહોળો કરી બિલ્ડર લોબીને વધુ એફ.એસ.આઈ.મળે એમાં રસ હોવાથી અમારે આ કામગીરી અટકાવવા કોંગ્રેસની મદદ લેવી પડી છે.