Jamnagar : જામનગર નજીક લાલપુર બાયપાસ પાસે નવા બંધાઈ રહેલા શીવા-26 નામના બિલ્ડીંગમાં રહીને ચોકીદારી કરતા મૂળ ભાણવડ તાલુકાના મેવાસા ગામના વતની કારાભાઈ આલાભાઇ સાદીયા નામના 48 વર્ષના ચોકીદાર, કે જેઓ ગઈકાલે બિલ્ડીંગનું બાંધકામ ચાલી રહ્યું છે, જેના પ્રથમ માળે પાણીની નળી લઈને દિવાલમાં છંટકાવ કરી રહ્યા હતા, જે દરમિયાન અકસ્માતે પોતાનું બેલેન્સ ગુમાવતાં પહેલા માળેથી નીચે પટકાઈ પડ્યા હતા, અને તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી.
જેથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર નિલેશ કારાભાઈ સાદીયાએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝનના પોલીસ સૌપ્રથમ બનાવના સ્થળે, અને ત્યારબાદ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


