Gujarat

ત્રણના મોત થતા રોષે ભરાયેલા ગ્રામજનોએ રેતીના ડમ્પરો બંધ કરાવ્યા, ભરૂચના સાંસદ પણ વિફર્યા

By GS Team
22 Feb 20221 min read
This article was originally published on 22 Feb 2022
ત્રણના મોત થતા રોષે ભરાયેલા ગ્રામજનોએ રેતીના ડમ્પરો બંધ કરાવ્યા, ભરૂચના સાંસદ પણ વિફર્યા

વડોદરા, તા. 22 

કરજણ પાલેજ રોડ પર રેતી માફિયાઓ ના ઉપદ્રવને કારણે ડમ્પર ની અડફેટે ત્રણ ગ્રામજનોના મોત નિપજવાના બનાવ બાદ ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે અને ડમ્ફરો બંધ કરાવી દીધા છે.

નારેશ્વર પાલેજ રોડ પર રેતી માફિયાઓ ના ત્રાસને કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે અને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં લેવાતા નહીં હોવાથી આખરે ગ્રામજનોએ કાયદો હાથમાં લીધો છે.

ગઈકાલે માલોદ ગામ પાસે રેતીના ડમ્પર ની અડફેટે ઇશ્વરભાઇ માછી, ભીખીબેન અને સાત વર્ષીય મયંક નું મોત નિપજવાના બનાવ બાદ મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઊતરી આવેલા ગ્રામજનોએ રેતીના ડમ્પરો બંધ કરાવી દીધા છે.

બીજી તરફ ભરૂચના સાંસદ પણ લોકોની તરફેણમાં આવ્યા છે અને ત્રણના મોત માટે ભ્રષ્ટ તંત્ર અને સીધું જવાબદાર ગણી કહ્યું છે કે, ગુજરાત સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ પગલા નહીં લેવાતા હવે આ મુદ્દો લોકસભામાં લઈ જઈશ. તેમણે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કરજણના ધારાસભ્ય ને પણ આડે હાથે લઇ નામનો ઉલ્લેખ કર્યા વગર કહ્યું છે કે, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આગેવાનો ધંધો કરવા કે પછી ધંધા નું રક્ષણ કરવા માટે ભાજપ નો ઉપયોગ કરી રહ્યા છે. ભાજપના મોવડીઓ ગામલોકો ની ઉપેક્ષા કરશે તો આગામી ચૂંટણીમાં તેના ગંભીર પરિણામો વેઠવાનો વખત આવશે.