દાંડિયા બજાર સ્થિત વીજીએલ (વડોદરા ગેસ લિમિટેડ)ની ઓફિસે આજે પાઈપ લાઈન ગેસ કનેક્શન મેળવવા માટે અરજદારોની ભારે ભીડ જોવા મળી હતી.
૩૧ માર્ચ પહેલા કનેક્શન લેવા પર ડિપોઝિટમાંથી મુક્તિ મળશે તેવી જાહેરાતના આધારે લોકો મોટી સંખ્યામાં ઓફિસે ઉમટી પડતા અફરાતફરી સર્જાઈ હતી.
અરજદારોનું કહેવું હતું કે, સરકારના નિયમ મુજબ ૩૧ માર્ચ પહેલા કનેક્શન લેતા ગ્રાહકો પાસેથી ડિપોઝિટ લેવામાં આવતી નથી, પરંતુ અહીં રૂ. ૬ હજાર ડિપોઝિટ તેમજ ફોર્મના રૂ. ૫૦ વસૂલવામાં આવી રહ્યા છે. જેના કારણે અરજદારોમાં અસંતોષ ફેલાયો હતો અને સરકારે આ મુદ્દે સ્પષ્ટતા કરવાની માગ ઉઠી છે.
મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, વીજીએલ દ્વારા ફ્રી કનેક્શન અંગે કોઈસત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. નિયમ મુજબ રૂ. ૬ હજાર ડિપોઝિટ લેવામાં આવે છે, જે ગ્રાહક કનેક્શન બંધ કરે ત્યારે પરત આપવામાં આવે છે. એટલે ડિપોઝિટમાં કોઈ રાહત નથી.
તેમણે વધુમાં ઉમેર્યું કે, રજીસ્ટ્રેશન ફી રૂ. ૩૦૦ માંથી મુક્તિ આપી છે. સરકારની માર્ગદર્શિકા મુજબ ગેસ કંપનીઓ પોતાની અનુકૂળતા મુજબ સ્કીમ જાહેર કરી શકે છે, પરંતુ હાલ કોઈફ્રી કનેક્શન યોજના લાગુ નથી.
આ ઘટનાને કારણે અરજદારોમાં ગૂંચવણ અને અસંતોષનો માહોલ સર્જાયો હતો.


