Iran America War Effect : ખાડી દેશોમાં યુદ્ધની અસર હવે વૈશ્વિક અર્થતંત્ર સાથે દેશના વાહન બજારમાં પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. વૈશ્વિક અસ્થિરતા અને ઇંધણના વધતા ભાવથી ખાસ કરીને પેટ્રોલ અને પેટ્રોલ+સીએનજી વાહનોના વેચાણમાં ચિંતાજનક ઘટાડો નોંધાયો છે.
રાજ્ય સરકારના પરિવહન પોર્ટલના આંકડા મુજબ, વડોદરા શહેરમાં વર્ષ 2025ના જાન્યુઆરીથી મે મહિના દરમિયાન કુલ 45,198 વાહનોનું વેચાણ થયું હતું. જ્યારે ચાલુ વર્ષે મેં મહિનાની 21 તારીખ સુધી માત્ર 22,750 વાહનોનું જ વેચાણ નોંધાયું છે. આ પ્રમાણે વાહન વેચાણમાં અંદાજે 49.7 ટકાનો ઘટાડો નોંધાતા ઓટોમોબાઈલ સેક્ટરમાં ચિંતા વ્યાપી છે.
વધતા ઇંધણ ખર્ચ અને ભવિષ્યની અનિશ્વિતતાને કારણે ગ્રાહકો પેટ્રોલ વાહન ખરીદવામાં ખચકાટ અનુભવી રહ્યા છે, જેના કારણે ડીલરોમાં મંદીનો માહોલ છવાયો છે. બીજી તરફ ફક્ત સીએનજી અને ઈલેક્ટ્રિક હોય તેવા વાહનોની માગમાં વધારો નોંધાઈ રહ્યો છે.
જો વૈશ્વિક પરિસ્થિતિ અને ઇંધણના ભાવમાં સ્થિરતા નહીં આવે તો આગામી સમયમાં વાહન બજારમાં વધુ મંદી જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


