Get The App

વાવ-થરાદ: ચૂંટણીમાં વહીવટી તંત્રની મનમાની સામે ગેનીબહેનનો હુંકાર, કહ્યું- 'લોકશાહીનું હનન કરનારા અધિકારીઓને ખુલ્લા પાડીશું'

Updated: Apr 14th, 2026

GS TEAM

Google News
Google News
વાવ-થરાદ: ચૂંટણીમાં વહીવટી તંત્રની મનમાની સામે ગેનીબહેનનો હુંકાર, કહ્યું- 'લોકશાહીનું હનન કરનારા અધિકારીઓને ખુલ્લા પાડીશું' 1 - image


Gujarat Local Body Elections 2026: ઉત્તર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે વાવ અને થરાદ પંથકમાં ફોર્મ ચકાસણી દરમિયાન વહીવટી તંત્રની કામગીરી વિવાદના ઘેરામાં આવી છે. કોંગ્રેસના સાંસદ ગેનીબહેન ઠાકોરે અધિકારીઓ પર રાજકીય દબાણ હેઠળ પક્ષપાતી નીતિ અપનાવવાનો ગંભીર આક્ષેપ કરી આરપારની લડાઈના સંકેત આપ્યા છે.

ભોરોલ સીટ પર નિયમોનું ઉલ્લંઘન થયાનો આક્ષેપ

થરાદની ભોરોલ જિલ્લા પંચાયત સીટ પર ઉમેદવાર જોગાજી રાજપૂતે કોંગ્રેસ અને ભાજપ એમ બંને પક્ષો તરફથી ફોર્મ ભરતાં કાયદાકીય ગૂંચ ઊભી થઈ છે. આ મામલે ગેનીબહેને પ્રહાર કરતાં જણાવ્યું કે, 'ચૂંટણીના નિયમ મુજબ જે ફોર્મ સમય ક્રમમાં પ્રથમ ભરાયું હોય તેને જ માન્યતા મળવી જોઈએ. તેમ છતાં વહીવટી તંત્ર સત્તાધારી પક્ષના ઇશારે ભેદભાવભર્યું વલણ દાખવી રહ્યું છે.'

આ પણ વાંચો: નવસારીમાં રાજકીય ભૂકંપ! ગણદેવીમાં મેન્ડેટ ન મળતા કોંગ્રેસના 20 ફોર્મ રદ, ભાજપનું ક્લીન સ્વીપ

'ભાભરની મીઠા સીટનો વિવાદ હાઇકોર્ટ પહોંચશે'

ભાભર તાલુકાની મીઠા સીટ પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવતા મામલો ગરમાયો છે. ગેનીબહેને આક્ષેપ કર્યો છે કે 'પૂરતા દસ્તાવેજો હોવા છતાં રાજકીય દબાણ હેઠળ ફોર્મ રદ કરાયું છે, જ્યારે અન્ય ઉમેદવારના સમાન કિસ્સામાં ફોર્મ માન્ય રખાયું છે. જે અધિકારીઓ લોકશાહીની હત્યા કરી રહ્યા છે, તેમના નામ અમે જનતાની વચ્ચે જઈને જાહેર કરીશું અને આ અન્યાય સામે અમે હાઇકોર્ટના દ્વાર ખખડાવીશું.'

નજીકના સાથીના પક્ષપલટા પર પ્રહાર 

ચૂંટણી ટાણે જ થરાદ તાલુકાના તેમના અત્યંત નજીકના સાથી (સારથિ) કે જેઓ ભાજપમાં જોડાઈ ગયા છે, તેના પર પ્રહાર કરતાં ગેનીબહેને જણાવ્યું કે, 'જે લોકોએ પક્ષ અને જનતાના વિશ્વાસ સાથે દ્રોહ કર્યો છે, તેમને આવનારા દિવસોમાં પ્રજા જ પાઠ ભણાવશે. ગદ્દારી કરનારાઓને જનતા ક્યારેય માફ નહીં કરે.'

અધિકારીઓને કડક ચેતવણી

વહીવટી તંત્રને આડે હાથ લેતા સાંસદે ગેનીબહેને કહ્યું કે, 'અધિકારીઓ પ્રજાના ટેક્સના પૈસાથી પગાર મેળવે છે, કોઈ પક્ષના ગુલામ બનીને કામ ન કરવું જોઈએ. જો નિષ્પક્ષતા નહીં જળવાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.' કોંગ્રેસ નેતાના આ આક્રમક વલણથી સ્થાનિક વહીવટી તંત્ર અને રાજકીય વર્તુળોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.