- 4 એપ્રિલથી 8 મે સુધી રદ કરાઈ : રેલવે તંત્રનો નિર્ણય
- કોરોના કાળમાં બંધ કરવામાં આવેલી મેમુ તેમજ લોકલ ટ્રે્રેનો શરૂ કરવા માટે મુસાફરોમાંથી માગણી ઉઠવા પામી
નડિયાદ : કોરોના મહામારીમાં લોકડાઉનના પગલે અમદાવાદ-મુંબઈ રૂટની લોકલ, પેસેન્જર ટ્રેનો બંધ કરવામાં આવી હતી. જે ટ્રેનો હજુ પણ રેલવે તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી નથી. ત્યારે આ સંજોગોમાં ૪થી એપ્રિલથી ૮ મે સુધી વટવા-વડોદરા ઇન્ટરસિટી ટ્રેન બંધ રાખવા રેલવે તંત્રએ જાહેર કર્યું છે. આ ઇન્ટરસિટી ટ્રેન બંધ રાખવાનું જાહેર કરતા અપડાઉન કરતા નડિયાદ, મહેમદાવાદ, આણંદના અપડાઉન કરતા હજારો મુસાફરો કફોડી હાલતમાં મુકાયા છે.
ચરોતર વિસ્તારમાં નડિયાદ અને આણંદ રેલવે સ્ટેશન રેલ્વે તંત્રને લાખો રૂપિયાની આવક આપી રહ્યું છે. નડિયાદ, આણંદ-થી પસાર થતી લોકલ તેમજ એક્સપ્રેસ ટ્રેનો મુસાફરોથી ખીચોખીચ જોવા મળતી હતી. પરંતુ કોરોનાના લોકડાઉનના પગલે રેલવે તંત્ર દ્વારા ટ્રેન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાબેતા મુજબ રેલવે તંત્ર દ્વારા ટ્રેન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ વલસાડ-વિરમગામ-વલસાડ, અમદાવાદ-મુંબઈ-અમદાવાદ પેસેન્જર, દાહોદ-ગાંધીનગર-આણંદ મેમુ, આણંદ-અમદાવાદ મેમુ ટ્રેનો હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. બીજી બાજુ કોરોનામાં બંધ કરાયેલી આણંદ-ખંભાત ડેમુ, આણંદ-ગોધરા મેમુ તેમજ કઠાણા-વડોદરા ડેમુ ટ્રેનો રાબેતા મુજબ દોડાવવામાં આવી રહી છે.
વધુમાં કઠાણા વડોદરા ટ્રેનને પ્રતાપ નગર સુધી લંબાવવામાં આવી છે. પરંતુ અમદાવાદ-વડોદરા વચ્ચે દોડતી લોકલ તેમજ મેમુ ટ્રેનો હજુ સુધી શરૂ કરવામાં આવી નથી.આ સંજોગોમાં અપડાઉન કરતા મુસાફરો માટે આશીર્વાદરૂપ બનેલી મણીનગર-વડોદરા-વટવા ઇન્ટરસિટી ટ્રેન કાંકરિયા વટવા રેલખંડ ઉપર ચાલી રહેલી કામગીરીને લઈને બ્લોક લેવામાં આવતા ૪ એપ્રિલથી ૮મે સુધી ઇન્ટરસિટી ટ્રેન રદ કરવામાં આવી છે. જેથી અપડાઉન કરતા મુસાફરો કફોડી હાલતમાં મુકાયા છે. ત્યારે કોરોના કાળમાં બંધ કરવામાં આવેલી મેમુ તેમજ લોકલ ટ્રેનો શરૂ કરવા મુસાફરોમાંથી માગણી ઉઠવા પામી છે.


