Gujarat

વડોદરાનું પ્રાણી સંગ્રહાલય અને પક્ષીઘર પર્યટકો માટે આકર્ષણનુ સ્થાન બનશે

By GS Team
14 Nov 20212 mins read
This article was originally published on 14 Nov 2021
વડોદરાનું પ્રાણી સંગ્રહાલય અને પક્ષીઘર પર્યટકો માટે આકર્ષણનુ સ્થાન બનશે

વડોદરા, તા. 14 નવેમ્બર 2021 રવિવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સયાજી બાગ પ્રાણી સંગ્રહાલય અને પક્ષી ઘર ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ની ગાઈડ લાઈન પ્રમાણે ત્રણ તબક્કામાં બનાવવામાં આવી રહ્યું છે જેમાં અંદાજે રૂપિયા 25 કરોડનો ખર્ચ થનાર છે જેમાં પ્રથમ બે તબક્કા નું કામ પૂર્ણ થવાના આરે છે ત્યારે કેવડીયા કરતા પણ વડોદરાના પ્રાણી સંગ્રહાલય અને પક્ષીઘર પર્યટકો માટે આકર્ષણરૂપ અને પ્રાણી પક્ષી માટે સુવિધાપૂર્ણ હોવાનું અન્ય રાજ્યના ઝૂ કુરેટરોએ વખાણ્યું છે.

વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ સયાજી ભાગની ભેટ આપી હતી જેમાં પ્રાણી સંગ્રહાલય અને પક્ષીઘર તેમજ ટોય ટ્રેન સહિતના આકર્ષણો પર્યટકો માટે બનાવ્યા હતા. સમય જતા ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ પ્રાણી સંગ્રહાલય અને પક્ષી ઘર માટે નવા નિયમો બનાવ્યા જેમાં સયાજીબાગ સ્થિત પ્રાણી સંગ્રહાલય અને પક્ષીઘર ના પિંજરા નાના પડતા હતા જેને ધ્યાનમાં રાખી પ્રાણી સંગ્રહાલય નું સ્થળાંતર કરી આજવા સરોવરની બાજુમાં નવું પ્રાણીસંગ્રહાલય બનાવવાનું આયોજન હાથ ધર્યું હતું તે સમયે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ફંડ એકઠું કરવા રવીના ટંડન સહિતના કલાકારો ની સ્ટાર નાઈટ રાખી હતી ત્યારે એક કરોડથી વધુ ડોનેશન એકઠું કરવામાં આવ્યું હતું.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સયાજીબાગ માંથી આકર્ષણરૂપ પ્રાણી સંગ્રહાલય નું સ્થળાંતર કરવામાં આવે તો સયાજીબાગના આકર્ષણમાં ઘટાડો થાય તેમ હતો જેને ધ્યાનમાં રાખી તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદ રાવે સયાજીબાગમાં ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ની ગાઈડ લાઈન પ્રમાણે નવા પિંજરા બનાવવાનું આયોજન હાથ ધર્યું હતું જેમાં ત્રણ તબક્કામાં પ્રાણી સંગ્રહાલય અને પક્ષીઘર બનાવવાનું નક્કી થયું હતું.


ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ની ગાઈડ લાઈન પ્રમાણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રથમ તબક્કામાં મોટા પ્રાણીઓ માટે અને પ્રાણીઓ અને પક્ષીઓની સારવાર માટે હોસ્પિટલ બનાવવાનું આયોજન હાથ ધર્યું હતું .જેની પાછળ અંદાજે 6 કરોડનો ખર્ચ થયો હતો. જે બે વર્ષ અગાઉ પૂર્ણ થઇ ગયું છે જ્યારે બીજા તબક્કામાં અદ્યતન વિદેશ જેવા પક્ષીઘર બનાવવાનું આયોજન જે વર્ષ 2018 માં શરૂ થયું હતું અને ટૂંક સમયમાં પૂર્ણ થશે.

ત્રીજા તબક્કામાં હવે પક્ષીઓ અને પ્રાણીઓના બ્રિડીગ માટેની અલગ વ્યવસ્થા તેમજ નવીન ફુડ સ્ટોર બનાવવા નું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેની પાછળ રૂપિયા 4 કરોડનો અંદાજીત ખર્ચ થનાર છે.

કેવડિયા ખાતે દેશના વિવિધ રાજ્યો ના પ્રાણીસંગ્રહાલયના ઝૂ ક્યુરેટરની મળેલી બેઠકમાં વડોદરાના ઝૂ કુરેટર પ્રત્યુશ પાટણકરે વડોદરા પ્રાણીસંગ્રહાલય અને પક્ષીઘર અંગે રજુ કરેલા પ્રેઝન્ટેશન માં માહીતી રજુ કરતા દસથી બાર જેટલા અધિકારીઓએ પ્રાણી સંગ્રહાલય અને પક્ષી ઘરની મુલાકાત લીધી હતી અને કેવડિયા કરતાં પણ વધુ સુવિધાપૂર્ણ પ્રાણી સંગ્રહાલય અને પક્ષી ઘર બનાવ્યું હોવાનું જણાવી કોર્પોરેશને તૈયાર કરેલી ડિઝાઇન પણ માંગી હતી.