વડોદરા: 'શેરબજારમાં રોકાણ કરશો તો ઊંચું વળતર મળશે' તેમ જણાવી રૂ. 46.95 કરોડની છેતરપિંડી આચરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મૂકતા અદાલતે અરજદારની અરજી નામંજૂર કરી હતી. ન્યાયાધીશે ચુકાદામાં નોંધ્યું હતું કે, ચાર્જશીટ દાખલ થયા પછી સંજોગોમાં કોઈ મોટો બદલાવ આવ્યો નથી અને ગુનાની ગંભીરતા જોતા આરોપીને જામીન પર મુક્ત કરવા માટે આ યોગ્ય કેસ નથી.
આ કેસની વિગત એવી છે કે આરોપી ધવલ ઠક્કરે અન્ય સહ-આરોપીઓ સાથે ગુનાહિત કાવતરું રચીને ફરિયાદીનો વોટ્સએપ દ્વારા સંપર્ક કર્યો હતો. તેણે પોતાની ઓળખ ખાનગી કંપનીના અધિકારી તરીકે આપીને ફરિયાદીને ટિપ્સ આપતા વોટ્સએપ ગ્રૂપમાં સામેલ કર્યા હતા. ગ્રૂપમાં શેરબજારમાં રોકાણ કરીને ઊંચા વળતરની લાલચ આપીને અલગ-અલગ ગ્રૂપના માધ્યમથી ફરિયાદી પાસેથી રૂ. 46,95,90,010 જેવી માતબર રકમ પડાવી લીધી હતી.
આ કેસમાં આરોપી ધવલ ઠક્કરે જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આરોપીએ કરોડોના કૌભાંડમાં સક્રિય ભૂમિકા ભજવી છે અને આટલી મોટી રકમ હજુ રિકવર કરવાની બાકી છે. બંને પક્ષની દલીલો તેમજ તપાસના કાગળોને ધ્યાને લઈ અદાલતે અરજદારની અરજી નામંજૂર કરી હતી અને ચુકાદામાં નોંધ્યું હતું કે, અરજદારની અગાઉની જામીન અરજી પણ કોર્ટ દ્વારા નકારી કાઢવામાં આવી હતી.


