વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા કોઠી ચાર રસ્તા પાસે પાણીની મુખ્ય લાઈનમાં આવેલા વાલ્વ પર લીકેજ સર્જાતા છેલ્લા ત્રણથી ચાર દિવસથી લાખો લિટર શુદ્ધ પીવાનું પાણી રસ્તા પર વહી રહ્યું છે. એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા અને કકળાટ જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ કોર્પોરેશનની બેદરકારીના કારણે પાણીનો મોટા પાયે વેડફાટ થતાં સ્થાનિક નાગરિકોમાં ભારે નારાજગી વ્યાપી છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાણીની મુખ્ય લાઈનના વાલ્વમાંથી સતત લીકેજ થઈ રહ્યું છે, જેના કારણે સ્થળ પર આશરે 10 ફૂટ ઊંચો પાણીનો ફુવારો ઊડી રહ્યો છે. દરરોજ પાણીનો વાલ્વ ઓન-ઓફ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ સ્થળ પર આવે છે, પરંતુ લીકેજનું કાયમી સમારકામ કરવાની દિશામાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી.
સ્થાનિક રહિશો દ્વારા અનેક વખત કોર્પોરેશનના સંબંધિત વિભાગને જાણ કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. પરિણામે સતત ત્રણથી ચાર દિવસથી પાણીનો બગાડ થઈ રહ્યો છે
નાગરિકોએ આક્ષેપ કર્યો હતો કે પાણી બચાવવા અંગે જાગૃતિ અભિયાન ચલાવતી મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાના જ તંત્ર દ્વારા થતા પાણીના વેડફાટને રોકવામાં નિષ્ફળ રહી છે. તેમણે તાત્કાલિક લીકેજનું સમારકામ કરીને પાણીના બગાડને અટકાવવાની માંગ કરી છે.


