Get The App

ગુજરાતમાં વધુ એક બ્રિજ ધારાશાયી, નિર્માણાધીન ઓવરબ્રિજ કડાકાભેર તૂટ્યો, ભ્રષ્ટાચાર કે બેદરકારી?

Updated: May 30th, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં વધુ એક બ્રિજ ધારાશાયી, નિર્માણાધીન ઓવરબ્રિજ કડાકાભેર તૂટ્યો, ભ્રષ્ટાચાર કે બેદરકારી? 1 - image

Under Construction Railway Overbridge Collapses In Anand Adas  : ગુજરાતમાં સરકારી કે અર્ધ-સરકારી પ્રોજેક્ટ્સમાં બની રહેલા બ્રિજની ગુણવત્તા પર ફરી એકવાર મોટું પ્રશ્નાર્થચિહ્ન લાગ્યું છે. આણંદ જિલ્લાના અડાસ ગામે વડોદ અને અડાસ સ્ટેશનની વચ્ચે (ફાટક નંબર 250) બની રહેલા રેલવે ઓવરબ્રિજનો એક મોટો ભાગ શનિવારે અચાનક ધરાશાયી થઈ ગયો. વડોદરાના ગતિશક્તિ યુનિટ દ્વારા નિર્માણ પામી રહેલા આ બ્રિજના બે મુખ્ય પિલર (થાંભલા) વચ્ચેનો આખો સ્પાન અચાનક જમીનદોસ્ત થતાં તંત્ર દોડતું થઈ ગયું છે. સદનસીબે દુર્ઘટના સમયે નીચે કોઈ મજૂર કે વાહન હાજર નહોતું, બાકી મોટું આક્રંદ જોવા મળ્યું હોત.

એન્જિનિયરિંગની ખામી કે નબળું મટીરિયલ? સમજો ટેકનિકલ પાસું

આ બ્રિજનું કામ કોઈ જૂની પદ્ધતિથી નહીં, પરંતુ આધુનિક ગણાતી 'પ્રીસ્ટેડ ગર્ડર બ્રિજ ટેકનોલોજી'થી થઈ રહ્યું હતું. બ્રિજના બે મુખ્ય પિલર પર જે 'પીયર કેપ' (પિલરનો સૌથી મજબૂત ઉપરનો ભાગ જેના પર આખો લોડ હોય છે) બનાવવામાં આવી હતી, તેના પર ગોઠવેલું ગર્ડર અચાનક તૂટી પડ્યું. એન્જિનિયરિંગની દ્રષ્ટિએ પીયર કેપ પરથી ગર્ડરનું આ રીતે નમી પડવું કે તૂટવું એ બાંધકામની ગુણવત્તામાં ગંભીર ખામી અથવા ગણતરીમાં મોટી ભૂલ હોવાનું સ્પષ્ટ સૂચવે છે.

સીરીઝ ઑફ કોલાપ્સ : ગુજરાતમાં બ્રિજ તૂટવાનો સિલસિલો કેમ અટકતો નથી?

આણંદની આ દુર્ઘટના કોઈ એકલદોકલ ઘટના નથી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં આવી ઘટનાઓની જાણે હેટ્રિક થઈ છે.

દુર્ઘટનાની તારીખ : 5 નવેમ્બર 2024

સ્થળ / પ્રોજેક્ટ      :  વાસદ પાસે (બુલેટ ટ્રેન પ્રોજેક્ટ)

શું થયું હતું?       :  નિર્માણ કાર્ય દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી.


દુર્ઘટનાની તારીખ  : 9 જુલાઈ 2025

સ્થળ / પ્રોજેક્ટ       : ગંભીરા નદી પરનો બ્રિજ

શું થયું હતું?        : નદી પર બની રહેલો બ્રિજ ધરાશાયી થયો હતો.


દુર્ઘટનાની તારીખ  : 30 મે 2026

સ્થળ / પ્રોજેક્ટ       : અડાસ (રેલવે ઓવરબ્રિજ)

શું થયું હતું?       : બે પિલર વચ્ચેનું ગર્ડર કડાકાભેર તૂટી પડ્યું.


આ આંકડા અને તારીખો સાબિત કરે છે કે કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓ માટે કદાચ સુરક્ષાના ધોરણો માત્ર કાગળ પર જ સીમિત રહી ગયા છે.

સ્થાનિકોનો આક્રોશ અને તંત્રની મનમાનીના આક્ષેપો

ઘટના બાદ અડાસ ગામના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને વહીવટી તંત્ર સામે પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, 'જ્યારે ગર્ડર તૂટ્યું ત્યારે એટલો ભયાનક અવાજ આવ્યો કે જાણે મોટો ભૂકંપ આવ્યો હોય. જો નીચે કોઈ ગ્રામજન હોત તો આજે લાશો ઉઠાવવાનો વારો આવ્યો હોત.' સ્થાનિકોએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે, અગાઉ ગામના 2000 જેટલા લોકોએ સહી કરીને સર્વિસ રોડ આપવા માટે એજન્સીને રજૂઆત કરી હતી. પરંતુ ગતિશક્તિ યુનિટ હેઠળ કામ કરતી આ કોન્ટ્રાક્ટર એજન્સી માત્ર પોતાની મનમાની ચલાવી રહી છે, અને સ્થાનિકોની સુરક્ષાની કોઈ પરવાહ કરતી નથી.

હવે આગળ શું?

ઘટનાની ગંભીરતાને જોતાં પોલીસ અને રેલવે તેમજ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે. જોકે, સવાલ એ ઊભો થાય છે કે શું દર વખતની જેમ માત્ર 'તપાસ સમિતિ' રચીને મામલો થાળે પાડી દેવાશે, કે પછી લાખો લોકોના જીવ જોખમમાં મૂકનાર ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર અને બેદરકાર એન્જિનિયરો સામે કોઈ કડક ફોજદારી પગલાં લેવામાં આવશે?