Gujarat

જામજોધપુરમાં શેઠ વડાળા વાડી વિસ્તારમાંથી દેશી તમંચા અને તેના છરા-પાવડર સાથે ઉપલેટા પંથકના બે શખ્સો પકડાયા

By GS Team
24 Jan 20221 min read
This article was originally published on 24 Jan 2022
જામજોધપુરમાં શેઠ વડાળા વાડી વિસ્તારમાંથી દેશી તમંચા અને તેના છરા-પાવડર સાથે ઉપલેટા પંથકના બે શખ્સો પકડાયા

જામનગર, તા.24

જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક અને તેના છરા તેમજ પાવડર સહિતની સામગ્રી સાથે ઉપલેટા પંથકના બે શખ્સોને પોલીસે પકડી પાડયા છે, અને તેઓ સામે હથિયાર ધારા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામ પાસે ગઈકાલે રાત્રે શેઠ વડાળાની પોલીસ ટીમ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન ઉપલેટા તાલુકાના પડવાલ ગામના વતની હારૂન હુસેનભાઇ મથુપોત્રા અને જાવીદ અલીભાઈ નોઈડા નામના બે શખ્સો શંકાસ્પદ હાલતમાં બાઇક પર નીકળતાં તેઓને રોકવામાં આવ્યા હતા, અને તલાશી લેવાઈ હતી.

જે તલાશી દરમિયાન તેઓ પાસેથી એક દેશી બનાવટની ડબલ બેરલ મઝલલોડ બંદૂક મળી આવી હતી. સાથોસાથ બંદૂકના 310 નંગ છરા, તેમજ એલ્યુમિનિયમની સીશીમાં ભરેલા સો ગ્રામ જેટલો કલરનો પાવડર વગેરે મળી આવ્યા હતા.

જેઓ એક મોટરસાયકલ પર નીકળ્યા હોવાથી પોલીસે તેઓનું મોટરસાયકલ, તેમજ ગેરકાયદે હથિયાર બંદૂક અને છરા તથા પાવડર વગેરે કબજે કરી લઈ બંનેની અટકાયત કરી લીધી છે. જ્યારે તેઓ સામે શેઠ વડાળા પોલીસ મથકમાં હથિયાર ધારા ભંગ અંગેની કલમ હેઠળ ગુનો નોંધી વિશેષ પૂછપરછ હાથ ધરી છે.