Get The App

રાજકોટના યુવાનની હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓ ઝડપાયા

Updated: Feb 25th, 2026

GS TEAM

Google News
Google News
રાજકોટના યુવાનની હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓ ઝડપાયા 1 - image

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં

ચેનની ચિલઝડપ સહિતના ગુનામાં પકડાયેલા મૃતકે બંને આરોપીઓને સમાધાન માટે અમરાવતી બોલાવ્યા હતા

રાજકોટ: રાજકોટના નાણાવટી ચોક આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા અને ચેનની ચિલઝડપ સહિતના ઘણાં ગુનાઓમાં પકડાયેલા વિમલ ઉર્ફે ભાયો સતિષ અગ્રાવતની મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં હત્યા કરી ભાગી ગયેલા બે આરોપીઓ માહિર મજીદ સોલંકી (ઉ.વ.રર, રહે. જંગલેશ્વર) અને રાજ વાહીદ ચૌહાણ (ઉ.વ.રર, રહે. નાણાવટી ચોક, આવાસ યોજનાના કવાર્ટર)ને પેરોલ ફર્લો સ્કવોડે જંગલેશ્વર વિસ્તારમાંથી ઝડપી લઈ અમરાવતી રૂરલ પોલીસના હવાલે કર્યા હતા. 

રાજકોટ પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિમલની સગીર બહેનને એક શખ્સ ભગાડી ગયો હતો. તેના સગા આરોપીઓ માહિર અને રાજ છે. બહેનને ભગાડી જવાના ઝઘડામાં વિમલે આરોપી પક્ષની કાર  ગાંધીગ્રામ પોલીસ મથકના વિસ્તારમાં સળગાવી હતી. જેને કારણે બંને પક્ષો વચ્ચે માથાકૂટ વધી હતી. વિમલ આરોપી પક્ષ પાસેથી સમાધાન માટે પૈસા માંગી ધાક-ધમકી આપતો હતો. 

એટલું જ નહીં હાલ ગુજરાતમાં વોન્ટેડ હોવાથી મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં છૂપાઈ ગયો હતો. જયાંથી તેણે બંને આરોપીઓને સમાધાન માટે બોલાવ્યા હતા. તે વખતે ઝઘડો થતાં બંને આરોપીઓએ તેને છરીના ઘા ઝીંકી પતાવી દીધો હતો. ત્યાર પછી આરોપીઓ ભાગી ગયા હતા. 

આરોપીઓ રાજકોટના હોવાથી અમરાવતી પોલીસે પેરોલ ફર્લો સ્કવોડની મદદ માંગી હતી. જેના પીઆઈ ઝણકાટ અને પીએસઆઈ જે. જી. તેરૈયાએ તપાસના અંતે બંને આરોપીઓને જંગલેશ્વર વિસ્તારમાંથી ઝડપી લઈ અમરાવતી પોલીસના હવાલે કર્યા હતા.